પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઈને લોકો મોટાભાગે સીએનજી કાર ખરીદવાનું વધારે પસંદ કરે છે. જેના ભાગરૂપે જો પેટ્રોલ કાર હોય તો તેને પણ સીએનજીમાં કન્વર્ટ કરવાનું વિચારતા હોય છે. સીએનજી કારમાં જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે જોખમી સાબિત થઈ શકે છે. સીએનજી કાર વિશે જાણવા જેવી કેટલીક બાબતો અહીં પ્રસ્તુત છે.
જ્યારે પણ તમે સીએનજી કારમાં ગેસ ભરાવો ત્યારે ધ્યાન રાખો કે તમારી કારમાં કોઈ બેઠેલું ન હોય. કાર ખાલી હોય તે ચેક કરો. સીએનજીના પ્રેશરમીટર ચાલી રહ્યા છે કે નહીં તે ચેક કરો અને સાથે જ સ્ટાન્ડર્ડ આઈએસઆઈ માર્કાવાળી કિટ વાપરવાનો આગ્રહ રાખો તે હિતાવહ છે. ગાડીમાં રાખેલી સીએનજીની બોટલ હલતી તો નથી ને તે ચેક કરો. ગેસ ભરાવ્યા બાદ બોટલનું હેન્ડલ બરોબર બંધ છે કે નહીં તે અચૂક ચેક કરો.
યોગ્ય સમયે કરાવો સીએનજી કીટની સર્વિસ
જો આપની પાસે સીએનજી કાર હોય અને 15 હજાર કિમીની સર્વિસ ડ્યૂ હોય તો એવું જરૂરી નથી કે એટલાં કિમી થાય પછી જ સર્વિસ કરાવવી. તમે 12 હજાર કિમીની મર્યાદામાં પણ સર્વિસ કરાવી શકો છો. કારમાં ફિલ્ટર, એન્જિન ઓઈલ અને કૂલન્ટ જેવા પાર્ટસ ઘણી મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે. આ તમામ પાર્ટસ સારી સ્થિતિમાં રહે તેનું સર્વિસ સમયે ધ્યાન રાખો.
કંપનીની સીએનજી કિટ વાપરો
સારું માઈલેજ અને સસ્તું સીએનજી હોવાના કારણે લોકોની પસંદ સીએનજી કાર બની રહી છે. કંપનીઓ પણ હવે સીએનજી કિટ સાથેની કાર માર્કેટમાં વેચી રહી છે. જો કોઈ કસ્ટમર્સે પેટ્રોલ કાર ખરીદી હોય અને હવે તેને સીએનજીમાં કન્વર્ટ કરવા માંગતા હોય તો કંપનીની જ કિટ લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ. ઓછા ખર્ચની લાલચે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય સીએનજી કિટની ખરીદી કરવાની ટાળવી જોઈએ.
સ્પાર્ક પ્લગ
સામાન્ય રીતે પેટ્રોલ કારની સરખામણીએ સીએનજી કારનો સ્પાર્ક પ્લગ જલ્દીથી ખરાબ થઈ જાય છે. તેની બે રીત હોય છે, જેમાં સીએનજી માટે બવાનેલા સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરવો જોઈએ. માર્કેટમાં તેની કિંમત 150થી 200 રૂપિયાની વચ્ચે હોય છે. બીજી રીતે સ્પાર્ક પ્લગમાં મેટાલિક ટિપનાં ગેપને ઓછો રાખી તેને લાંબો સમય સુધી ચલાવી શકાય છે.
સમયસર વાલ્વ બદલવો
સીએનજી સ્ટેશન પર ગેસ ભરાવતી વખતે સીએનજી વાલ્વ દ્વારા સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવે છે. આવું વારંવાર કરવાથી વાલ્વ ઢીલો પડી જાય છે અને ગેપ વધતી જાય છે. વાલ્વ સમયસર ચેક કરાવી લેવો જોઈએ. જો જરૂર લાગે તો વાલ્વ તરત જ બદલાવી નાંખવો. આવું કરવાથી ગેસ લિકેજની સમસ્યાથી બચી શકાય છે.
સીએનજી કિટ ક્યારેય ખાલી ન રાખો
સીએનજી કારનો ઉપયોગ કરતા હોવ તો કારની કિટને ક્યારેય ખાલી રાખવી નહીં. આવું કરવાથી જોખમ વધી શકે છે. ખાસ કરીને ડ્રાઈવ કરતી વખતે ખાલી સીએનજી ટેન્કમાં પ્રેશર વધતું જાય છે અને વાલ્વ ફાટવાની શક્યતા વધી જાય છે. તેથી કારની સીએનજી ટેન્ક ક્યારેય ખાલી રાખવી નહીં.