ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટ પહેલાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લીધા ઉજ્જૈન મહાકાલેશ્વરના આશીર્વાદ.
વિરાટ-અનુષ્કા મહાકાલેશ્વરના શરણે
અમદાવાદ ટેસ્ટ પહેલાં લીધા આશીર્વાદ
અગાઉ KL રાહુલ-અક્ષર પટેલે કર્યા હતા દર્શન
ગઈકાલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 9 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારત હજુ સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી નથી કરી શક્યું. ત્યારે હવે સૌ ફેન્સની નજર અમદાવાદ ખાતે 9 માર્ચથી શરૂ થનારી ટેસ્ટ પર છે. કરાણ કે આ મેચ જીતીને ટીમ ઇન્ડિયા WTC ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લેશે. પરંતુ તમને જણાવી દઇએ કે, આ મેચ અગાઉ ટેસ્ટમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ અનુષ્કા શર્મા સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શન કરતા જોવા મળી રહ્યાં છે.
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર કોહલી અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. વિરાટ અને અનુષ્કાએ શનિવારના રોજ સવારે મહાકાલના દરબારમાં હાજરી આપી હતી. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હાલમાં ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની પર તેનો ફેન્સ વર્ગ વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યો છે. જેમાં એક ફેને કહ્યું કે, 'આ વખતે વિરાટ પોતાની સેન્ચુરીની નહીં પરંતુ આખી ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યો છે.'
અગાઉ KL રાહુલ અને ક્રિકેટર અક્ષર પટેલે પણ મહાકાલેશ્લરના દર્શન કર્યા હતા
ટેસ્ટ ક્રિકેટમાં 34 વર્ષીય વિરાટ કોહલીનું ફોર્મ કંઈ ખાસ રહ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય ટેસ્ટ મેચમાં તે ફ્લોપ રહ્યો છે. જોવા જઇએ તો નવેમ્બર 2019 પછી તે ટેસ્ટ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. એટલે કે ભારતીય ચાહકો ત્રણ વર્ષથી વધુ સમયથી તેની ટેસ્ટ સદીની રાહ જોઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ KL રાહુલ અને ક્રિકેટર અક્ષર પટેલ પણ ઉજ્જૈન મહાકાલેશ્લરના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પણ ભસ્મ આરતીનો લાભ લીધો હતો અને ભગવાનના આશીર્વાદ લીધા હતા.