બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:38 AM, 19 March 2026
US Intelligence Report: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની પરિસ્થિતિ બહારથી શાંત જણાતી હોવા છતાં ખતરો પૂર્ણ રીતે ટળ્યો નથી એવો ખુલાસો અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના તાજેતરના અહેવાલમાં થયો છે. ‘Annual Threat Assessment 2026’ માં જણાવાયું છે કે બંને દેશો વચ્ચે શાંતિ નાજુક છે અને કોઈ પણ સમયે તણાવ વધવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને આતંકવાદી સંગઠનો નાના ઉશ્કેરણથી પણ મોટા સંકટ સર્જી શકે છે. જે પરમાણુ શસ્ત્રોથી સજ્જ બંને દેશો માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ અહેવાલ બહાર આવતા ભારત-પાકિસ્તાન સંબંધોને લઈને ફરી ચર્ચાઓ તેજ બની છે અને ભવિષ્યમાં સંભવિત જોખમો અંગે ધ્યાન દોરાયું છે.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ આતંકવાદને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સૌથી મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે એવી પરિસ્થિતિઓ સતત અસ્તિત્વમાં છે જ્યાં આતંકવાદી સંગઠનો કોઈપણ સમયે ગંભીર કટોકટી ઉભી કરી શકે છે. ખાસ કરીને જો કોઈ મોટો આતંકવાદી હુમલો થાય તો બંને દેશો વચ્ચેનો તણાવ ઝડપથી વધીને સીધા મુકાબલામાં ફેરવાઈ શકે છે. 2025ના પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં નોંધાયું છે કે આવી ઘટનાઓ બંને રાષ્ટ્રોને ટકરાવની સ્થિતિમાં ધકેલી શકે છે. જે સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા ફેલાવી શકે છે.
ADVERTISEMENT
‘Annual Threat Assessment 2026’ રિપોર્ટમાં જણાવાયું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સ્પષ્ટ રીતે બતાવ્યું કે આવા હુમલાઓ મોટા સંઘર્ષની ચિનગારી બની શકે છે. આ ઘટનાને પગલે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. જેમાં 6-7 મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ અને નિશાનાબંધ હુમલા કર્યા હતા. આ ઓપરેશન દરમિયાન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના 100થી વધુ આતંકવાદીઓ, તેમના ટ્રેનર્સ અને હેન્ડલર્સ સહિત ઠાર મારાયા હતા. રિપોર્ટ અનુસાર આ કાર્યવાહી ખૂબ જ વિચારીને અને કાળજીપૂર્વક આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. જેને એક સફળ સૈન્ય ઓપરેશન તરીકે ગણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા પરમાણુ તણાવને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના હસ્તક્ષેપના કારણે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં નિયંત્રણમાં આવી ગઈ હતી. સાથે જ ‘Annual Threat Assessment 2026’ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનમાંથી કોઈ પણ દેશ યુદ્ધ ઇચ્છતો નથી. જે પ્રદેશમાં સ્થિરતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.
ADVERTISEMENT
યુનાઇટેડ સ્ટેટ્સના અહેવાલમાં પાકિસ્તાનની વધતી મિસાઇલ ક્ષમતાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ મુજબ પાકિસ્તાન સતત પોતાની મિસાઇલ ટેકનોલોજીનું આધુનિકીકરણ કરી રહ્યું છે. જેના કારણે તેની સૈન્ય શક્તિમાં વધારો થઈ રહ્યો છે. આ વિકાસ ભવિષ્યમાં માત્ર દક્ષિણ એશિયા સુધી મર્યાદિત ન રહી પરંતુ અન્ય વિસ્તારોને પણ નિશાન બનાવવાની ક્ષમતા ઉભી કરી શકે છે. આ કારણે વૈશ્વિક સુરક્ષા પર પણ અસર પડી શકે છે જેને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અહેવાલમાં ISIS-K જેવા આતંકવાદી સંગઠનોને પણ પ્રાદેશિક સુરક્ષામાં મોટો ખતરો ગણાવવામાં આવ્યા છે. કારણ કે તેઓ આ વિસ્તારમાં સક્રિય રહી મોટા હુમલાઓની યોજના બનાવી રહ્યા છે. જોકે તાલિબાન દ્વારા તેમની સામે કેટલીક કાર્યવાહી કરવામાં આવી છે અને ઘણા હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં,આ સંગઠનોની સતત સક્રિયતા અને હુમલાની ક્ષમતા પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાજનક બની રહી છે.
ADVERTISEMENT
‘Annual Threat Assessment 2026’ રિપોર્ટ મુજબ પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેના સંબંધોમાં સતત બગાડ જોવા મળી રહ્યો છે. બંને વચ્ચે સરહદી વિસ્તારોમાં અથડામણો અને લશ્કરી કાર્યવાહી ચાલુ રહેતા પરિસ્થિતિ વધુ તંગ બની રહી છે. આ વધતા તણાવના કારણે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા યથાવત રહી છે અને સુરક્ષા સંબંધિત ચિંતાઓમાં પણ વધારો થયો છે.

એકંદરે રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ જોવા મળે છે પરંતુ તે ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. કોઈપણ સમયે આતંકવાદી હુમલાઓ પરિસ્થિતિને બગાડી શકે છે અને તણાવને ફરી ઉગ્ર બનાવી શકે છે. આવી સ્થિતિ બંને દેશોને ફરી સંઘર્ષ તરફ ધકેલી શકે છે. જે પ્રદેશની સ્થિરતા માટે ગંભીર પડકાર ઉભો કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.