સંસદમાં આ વર્ષે જાન્યુઆરીમાં આરટીઈ કાયદામાં સુધારા સૂચવતું બિલ રજૂ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળામાં ધોરણ 5થી 8માં ભણતા બાળકોને નાપાસ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે તાજેતરમાં તેમાં `નો ડિટેન્શન પોલીસી' ઉમેરીને થોડો સુધારો કર્યો છે.
ધોરણ 5થી 8નાં બાળકોને નાપાસ કરવાની જોગવાઈમાં સુધારો
નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે જ મહિનાની અંદર પરીક્ષા પાસ કરવાની ઉત્તમ તક
ધોરણ નવ સુધી સરળતાથી પ્રવેશ મેળવવાનાં નિયમથી શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો
આ સુધારા મુજબ હવે નાપાસ થયેલા બાળકોને બે મહિનામાં જે તે ધોરણની પરીક્ષા પાસ કરવાની તક આપવામાં આવી છે. ત્યારે આ સુધારા અંગે શું કહી રહ્યું છે શિક્ષણજગત અને જૂના કાયદાના કારણે કેવી થઈ છે શિક્ષણની દશા તે જોઈએ આ અહેવાલમાં.
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1થી 8 એટલે કે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકમાં કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ ન કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે વિદ્યાર્થીઓની યોગ્યતા ન હોવા છતાં ધોરણ નવ સુધી સરળતાથી પ્રવેશ મેળવી શકતા હતાં પરંતુ તેનાં કારણે શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. એ કાયદાના કારણે વિદ્યાર્થીઓની શિખવાની ક્ષમતા પર ગંભીર અસર થઈ છે તો ફરજિયાત આગળના ધોરણમાં ચડાવી દેવાના કાયદાના કારણે શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ટકાઉ શિક્ષણ આપવામાં સુસ્ત દેખાયા હતાં. જેની ગંભીર અસર બાળકોનાં શિક્ષણ પર પડી છે. વીટીવીએ સૌથી પહેલા નવસારી જિલ્લાની કેટલીક શાળામાં બાળકોનાં શિક્ષણસ્તરનું રિયાલિટી ચેક કર્યું તો ગંભીર બાબત સામે આવી.
ખાડે ગયેલા શિક્ષણની વાસ્તવિકતાથી રાજ્યનો શિક્ષણ વિભાગ હવે થયો જાગૃત
પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોની આવી સ્થિતિ માત્ર નવસારી જિલ્લા પૂરતી જ નથી. આ તો માત્ર પ્રતિક તરીકે એક શાળા છે. પરંતુ સમગ્ર રાજ્યમાં મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોની શીખવાની ક્ષમતા પર ગંભીર અસર થઈ છે. કેમ કે કશું આવડે કે ન આવડે આગળનાં ક્લાસમાં તેઓ નિશ્ચિત જવાના જ છે. નિશ્ચિતતાએ તેમને અભ્યાસ પ્રત્યે નિશશ્ચત બનાવી દીધા હતાં. જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. માત્ર નવસારી નહીં. વીટીવીની ટીમે સાબરકાંઠા જિલ્લાની પણ કેટલીક સ્કૂલોમાં જઈને બાળકો સાથે સવાલ જવાબ કર્યા ત્યાં પણ ચિંતાજનક સ્થિતિ જોવા મળી.
ફરજિયાત પાસ કરી દેવાના કાયદાનાં કારણે દિન પ્રતિદિન ખાડે ગયેલા શિક્ષણની વાસ્તવિકતાથી રાજ્યનો શિક્ષણ વિભાગ પણ હવે જાગૃત થયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ગુજરાતનાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 અને 8 યોગ્યતાને આધારે જ પાસ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. જો કે તેમાં થોડો સુધારો કરીને નાપાસ થનાર વિદ્યાર્થીઓને તે જ વર્ષે પરિણામ મળ્યાનાં બે મહિનાની અંદર પરીક્ષા પાસ કરવાની તક આપવામાં આવી છે.
સરકારે હવે અયોગ્ય વિદ્યાર્થીઓને પાસ નહીં કરવાની નીતિ અમલી બનાવી છે. પરંતુ હવે સરકારની એ પણ જવાબદારી બને છે કે કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તેટલો નબળો ન રહી જાય. કેમ કે, કાયદાથી અયોગ્ય વિદ્યાર્થીને પાસ થતો રોકી શકાય છે. પરંતુ તેને આ કાયદાનું બંધન ન નડે તેવો સક્ષમ બનાવવાની ફરજ પણ શિક્ષણ તંત્રનાં નિતિનિર્ધારકોની જ છે.