શ્રદ્ધાળુ લોકોને પુરાવાની કોઈ જરૂર પડતી નથી. કર્ણોપકર્ણ સાંભળી વાત સાથે તેમની કોઈ માન્યતા મેળ ખાય પછી શ્રદ્ધા એટલી તો દ્રઢ થઈ જાય છે કે પછી તે વર્ષો સુધી તેમના માટે એક રિવાજ બની જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
ગુજરાતનાં આ ગામમાં પળાય છે 350 વર્ષ જૂની માન્યતા
ચોમાસામાં જો ગામમાં વાહન લઈને પ્રવેશ કર્યો તો ગામ લોકો થશે નારાજ
બનાસકાંઠાનાં વાધણા ગામેથી જ્યાં લોકો ચોક્કસ વાયકાને કારણે અષાઢ મહિનાથી આસો મહિના સુધી ગામમાં વાહન લઈને જતા નથી. શું છે આ રિવાજ પાછળનું કારણ તે જોઈએ આ અહેવાલમાં. બનાસકાંઠા જિલ્લાનું વાધણા ગામ કે જે ગામનાં બોર્ડ પર સૂચના લખવામાં આવી છે કે, હાં આ ગામ તમારું સ્વાગત તો જરૂર કરે છે પરંતુ જો તમે આ ગામમાં હાલ વાહન લઈને પ્રવેશ કર્યો તો ગામ લોકો તમારાથી નારાજ થઈ જશે. માટે જ્યારે પણ તમે આ ગામમાં જાઓ તો તમારું વાહન ગામના પાદરમાં મૂકીને પછી જ ગામમાં પગપાળા પ્રવેશ કરજો. જો કે આવું કષ્ટ તમારે સમગ્ર વર્ષ દરમિયાન નથી ભોગવવાનું.
ચોમાસાના ચાર મહિના દરમ્યાન ગ્રામજનો ગામની બહાર પાર્ક કરે છે વાહનો
સૂચનામાં લખ્યું છે કે ચોમાસા એટલે કે અષાઢ મહિનાની ચૌદશથી આસો મહિનાનાં દશેરા સુધી ગામમાં કોઈએ વાહન લઈને પ્રવેશ કરવો નહીં. એટલે કે તમારે માત્ર ચાર મહીના જ આ કષ્ટ ભોગવવું પડશે. 3 હજારથી વધુ વસતી ધરાવતા આ ગામમાં એક 350 વર્ષ જૂની માન્યતા છે કે જો આ સમયગાળા દરમિયાન જો કોઈ વાહન લઈને આવ્યું તો ગામમાં રોગચાળો ફેલાઈ જશે. એથી જ આ ગામના લોકો સદીઓ બાદ પણ એ માન્યતાને વળગી રહ્યાં છે અને ચોમાસાના ચાર મહિના પોતાના વાહનો ગામની બહાર પાર્ક કરે છે અને ગામમાં પગપાળા જ અવર જવર કરે છે.
ગુરુ મહારાજની આજ્ઞાનું ગ્રામજનો વર્ષો બાદ પણ કરે છે પાલન
પાલનપુરથી દસ કિલોમીટરનાં અંતરે આવેલા નાના સરખા વાધણા (Vadhana) ગામે ગુરુ મહારાજનું વર્ષો જૂનું મંદિર આવેલું છે અને આ ગામ લોકો ગુરુ મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને ભૂલેચૂકે પણ ગુરુ મહારાજના ખોટા સોગંધ ખાતા નથી. લોકોનું એમ માનવું છે કે ગુરુ મહારાજ આશીર્વાદથી ગામમાં મોટો રોગચાળો ફેલાતો નથી અને વર્ષો અગાઉ ગુરુ મહારાજે ચોમાસા દરમ્યાન ગામમાં રથ કે પૈડાંવાળા વાહનોને પ્રવેશ ના કરવા માટે આપેલા વચનનો ગામ લોકો આજે પણ પાલન કરી રહ્યાં છે. જેનાં કારણે ગામમાં ચોમાસા દરમિયાન પણ રોગચાળો ફેલાતો નથી.
હવે આ માન્યતાનો વૈજ્ઞાનિક આધાર કેટલો છે તે તો નાગરિકો જાણે. પરંતુ હાલ તો ગામ લોકો આ નિયમને ચુસ્ત રીતે વળગી રહ્યાં છે. પરંતુ ક્યારેક ઈમર્જન્સી મેડિકલ સેવાની જરૂરિયાત વખતે આ ગામના નાગરિકો પોતાના રિવાજને ન વળગી રહે તો અને 108નાં પૈડા ગામમાં આવતા ન થંભાવે તો આસ્થા અને વિજ્ઞાનનો સુમેળ થયેલો ગણાશે.