તૌકતે વાવાઝોડાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવે વાવાઝોડું સીધું મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
તૌકતે વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર
વાવાઝોડુ સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાંથી થશે પસાર
ગમે તે સમયે અમદાવાદને સ્પર્શશે વાવાઝોડું
ગુજરાતમાં આગળ ધપી રહ્યું છે તૌકતે
તૌકતે વાવાઝોડું પહેલા કરતાં ધીમે ધીમે નબળું પડતું જઈ રહ્યું છે ત્યારે આ વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગમે તે સમયે અમદાવાદને સ્પર્શી શકે છે અને સાથે સાથે વડોદરા તથા સુરતમાં પણ પવન સાથે વરસાદ વરસશે. વાવાઝોડાની દિશા અનુસાર તે પાટણના મધ્યમાંથી બનાસકાંઠામાં પ્રવેશ કરશે.
પાટણથી 17 કિમી દૂર નબળું પડી જશે વાવાઝોડું : આગાહી
પાટણથી મધ્યમાં થઈને બનાસકાંઠામાંથી વાવાઝોડું 11થી 12 વાગ્યાની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. વાવાઝોડાને જોતાં રણકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર માટે ટીમો મોકલી દેવામાં આવી છે. રાધનપુર તાલુકાના 127 ગામોમાં થશે સ્થળાંતર પ્રક્રિયા જેમાં કાચા મકાન અને ઝૂંપડાના મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. પાટણથી 17 કિ.મી દૂર વાવાઝોડું નબળુ પડવાની શક્યતા છે.
ગુજરાત પર ત્રાટક્યું તૌકતે
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે.
રાજુલામાં 175 કિમીની ઝડપે ફૂંકાયો પવન
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.
ગીરસોમનાથમાં તૌક્તે વાવાઝોડાએ સર્જી તારાજી
વેરાવળ બંદર પર લાંગરેલી બોટો રાતે ફંગોળાઈ, અનેક બોટો બંદરમાંથી ફરી દરિયામાં પહોંચી ગઈ, ત્રણેક બોટ સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી
દીવ આખામાં દરિયાનું પાણી ઘૂસ્યુ
દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે.
મહુવામાં પણ ભયંકર પરિસ્થિતિ
તૌકતે વાવાઝોડાને પગલે ભાવનગરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના મહુવામાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીગમાં સામે આવ્યું છે કે મહુવામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી ભરાઇય ગયા છે. આખી રાતમાં મહુવામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પાલીતાણામાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.
મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ
વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ તથા અમરેલીમાં નોંધાયો છે. બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ , ઉનામાં 7 ઇંચ, સાવરકુંડલામાં 6.5 ઇંચ વરસાદ, પાલીતાણામાં 6 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ વરસાદ, મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.