દુનિયામાં એવા ઘણા આઈલેન્ડ (ટાપુ) છે જે તેમની સુંદરતા માટે જગવિખ્યાત છે. આજે તમને એક એવા ટાપુ વિશે જણાવવું છે, જે સુંદર અને આકર્ષક તો છે જ, પરંતુ આમ છતાં પણ તેનો સમાવેશ દુનિયાના સૌથી ખતરનાક ટાપુઓમાં થાય છે. ઈટાલી (italy) માં આવેલા આ આઈલેન્ડને ‘મોતનો ટાપુ’ પણ કહેવામાં આવે છે. વેનીસિયા તળાવની ઉત્તર દિશામાં આવેલા આ રહસ્યમય ટાપુને ‘પોવેગ્લિયા આઈલેન્ડ’ (Poveglia Island) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ટાપુ પર જવું તે મોતને આમંત્રણ આપવા સમાન છે. એવું પણ કહેવાય છે કે, આ ટાપુ પર જનારા લોકો ક્યારેય પણ પરત આવતા નથી. હકીકતમાં આ આઈલેન્ડ (Poveglia Island) સાથે એક ભયાનક કહાની જોડાયેલી છે. આ ડરામણી કહાનીના કારણે જ મોટાભાગના લોકો ‘મોતના ટાપુ’ પર જવાનું ટાળે છે. સરકારે પણ લોકોના આ ટાપુ પર જવા પર પ્રતિબંધ (ban) લાદેલો છે. એવી વર્ષો જૂની માન્યતા છે કે, સેંકડો વર્ષ પહેલા આ આઈલેન્ડ પર પ્લેગના દર્દીઓને લાવીને મરવા માટે ત્યજી દેવામાં આવતા હતાં.
જે લોકો આ ટાપુ પર મોતને બેટે તેમને અહીં જ દફન કરી દેવામાં આવતા હતાં. આ આઈલેન્ડ પર પ્લેગના દર્દીઓની સંખ્યા એક સમયે ઘણી વધી ગઈ હતી. એવા સંજોગોમાં 1.60 લાખ બીમાર લોકોને ટાપુ પર જ જીવતા સળગાવી દેવામાં આવ્યાં હતાં. એ દર્દનાક અને પાશવી ઘટના બાદ લોકો આ ટાપુને ‘ભૂતિયા ટાપુ’ તરીકે પણ ઓળખવા લાગ્યા હતાં. ધીમે ધીમે આ ટાપુ પર લોકો આવતા બંધ થઈ ગયા અને પરિણામે આ ટાપુ સાવ વેરાન અને ભેંકાર બની ગયો.
વર્ષ 1922માં જોકે આ ટાપુ પર માનસિક રોગીઓની સારવાર માટે એક મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવી, પરંતુ થોડા વર્ષોમાં જ તેને બંધ કરી દેવી પડી હતી. તેની પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું હતું કે, આ હોસ્પિટલના ડૉક્ટરોથી લઈને નર્સ અને દર્દીઓને પણ અહીં અસામાન્ય અને ડરામણી ચીજો અને વ્યક્તિઓ દેખાતા હતાં. મેન્ટલ હોસ્પિટલ બંધ થયાના અનેક વર્ષો સુધી આ ટાપુ વેરાન પડ્યો રહ્યો હતો. ત્યારબાદ ઈટાલીની સરકારે વર્ષ 1960માં આ ટાપુ એક વ્યક્તિને વેચી દીધો હતો.
એ વ્યક્તિ પણ તેના પરિવાર સાથે એ ટાપુ પર શાંતિપૂર્વક જિંદગી જીવી શક્યો નહોતો અને તે થોડા સમયમાં જ ટાપુ છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો. આજે પણ કોઈ માછીમાર આ ટાપુ પર માછલીઓ પકડવા જતો નથી. કેમ કે અનેક વખત તેમની જાળમાં માછલીઓના બદલે માણસોના હાડપિંજર ફસાય જાય છે. જાતજાતની લોકવાયકાઓ અને અફવાઓના પગલે આખરે સરકારે પણ આ ટાપુ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.