ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મદદ માટે રેલવેએ એક મોટી મદદનું એલાન કર્યું છે.
ઓડિશા ટ્રેન પીડિતોને વધુ એક મોટી મદદ
ટિકિટ વગરના મુસાફરોને પણ મળશે મદદ
રેલવે દ્વારા જાહેર થયેલ પુરુ વળતર મળશે
ઓડિશાના બાલાસોરમાં 175થી વધુ લોકોના ભોગ લેનારા રેલ અકસ્માતને લઈને રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. રેલવેએ જાહેરાત કરી છે કે બન્ને ટ્રેનોમાં જે પણ મુસાફરો ટિકિટ વગરના હતા તેમને પણ જાહેર થયેલું પુરુ વળતર આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે આ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવશે.
ઘાયલ થયેલા દરેક મુસાફર પાસે એક ગાઈડ
રેલવે બોર્ડના મેમ્બર જયા વર્મા સિંહાએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં દાખલ દરેક ઈજાગ્રસ્ત મુસાફરની સાથે એક સ્કાઉટ અથવા ગાઇડ હોય છે, જે તેમને તેમના સગાઓ શોધવામાં મદદ કરી રહ્યાં છે.
ઘાયલો 139 પર ફોન કરે, મળશે તાત્કાલિક મદદ
સિંહાએ કહ્યું કે રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ હેલ્પલાઈન નંબર 139 પર પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે અને શક્ય તેટલા વધુ લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇજાગ્રસ્ત અથવા મૃતકના પરિવારના સભ્યો અમને ફોન કરી શકે છે અને અમે સુનિશ્ચિત કરીશું કે તેઓ તેમને મળી શકે. અમે તેમના પ્રવાસ અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખીશું."
મૃતકોને દરેકને 10 લાખનું વળતર
રેલવેએ કહ્યું કે 139 સેવા અવિરત ચાલુ રહેશે અને રેલવે પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી વળતરની રકમ - મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર ઈજાઓ માટે રૂ. 2 લાખ અને સામાન્ય ઈજાઓ માટે રૂ. 50,000 - ની તાત્કાલિક વહેંચણી સુનિશ્ચિત કરવામાં આવશે.
ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા
રેલવેના જણાવ્યા મુજબ ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતના બે દિવસ બાદ અનેક મુસાફરોના પરિવારજનો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. ઘટના સ્થળે સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં 1100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.