રાજ્યમાં ચોમાસું તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. અત્ર, તત્ર, સર્વત્ર નદી, નાળા, ચેકડેમ અને મહાબંધો છલકાઈ ગયા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આટલી મેઘમહેર વચ્ચે પણ રાજ્યમાં એક ગામ પીવાનાં મીઠા પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે. એ એવું ગામ છે જેની નજીક નદી બે કાંઠે વહી રહી છે. છતાં લોકો વીરડો ગાળીને પીવાનું પાણી મેળવવા મજબૂર બન્યાં છે. તો કયું છે એ ગામ કે જ્યાં ચંદ્ર પર પહોંચેલી સરકાર પીવાનું પાણી નથી પહોંચાડી શકી. ત્યારે જોઈએ આ અહેવાલમાં.
રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થઈ ગઈ છે અને હજુ પણ મેઘો અવિરત વરસી રહ્યો છે. રાજ્યમાં સર્વત્ર જળબંબાકાર વચ્ચે છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાનું જોજવા ગામ કે જ્યાં એક તરફ રાજ્યનો એક એક ખૂણો પાણી પાણી થઈ ગયો છે ત્યારે આ જોજવા ગામના લોકો પીવાના મીઠા પાણી સંઘર્ષ કરી રહ્યાં છે. ચેકડેમમાંથી લીકેજ થતા પાણીનાં ગાગર અને હાંડા ભરીને ઊંચી પરથાળ સુધી પહોંચાડવાની આ કવાયત પ્યાસ બુઝાવવા માટેની છે. પાણી ભર્યા બાદ પથ્થરનાં ટેકાના સહારે ઉપરના રસ્તે ચડવાનો આ સંઘર્ષ મીઠા પાણી માટેનો છે. આ સંઘર્ષ માટે ગામનાં પુરુષ શું કે મહિલા શું કે બાળકો શું દરેકને મીઠા જળ માટે આ કવાયત કરવી પડી રહી છે. કેમ કે આ સવાલ તરસનો છે.
છોટા ઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાનાં જોજવા અને આસપાસનાં ગામોની મીઠા જળની તરસ કંઈ આજ કાલની નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી આ ગામોમાં મીઠા પાણીની તંગીએ અહીંનાં લોકોનું જીવવું દોહ્યલું કરી દીધું છે. એવું નથી કે ગામમાં પાણી માટેનાં કોઈ સોર્સ નથી. ગામમાં થોડાં હેન્ડપંપ છે. પરંતુ હેન્ડપંપમાં ખારું પાણી આવે છે જે પીવા માટે કે વાપરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.
હાલમાં ગામની બાજુમાંથી ઓરસંગ નદી વહી રહી છે. પરંતુ પીવા માટે નદીનું પાણી એમ સીધે સીધું ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. આથી જોજવા ગામની મહિલાઓ નદી કાંઠે જ વીરડો ગાળીને પાણી મેળવી રહી છે. વીરડો ભરાવાની કલાકો સુધી રાહ જોયાં બાદ આખરે પીવાનું મીઠું પાણી મેળવી શકાય છે. રાજ્યમાં સર્વત્ર શ્રીકાર વચ્ચે મીઠું પાણી મેળવા માટેના સંઘર્ષના દ્રશ્યો તમને ઝકઝોરી દેશે. પરંતુ તંત્ર પર આ દ્રશ્યોની અસર થશે કે કેમ તે એક સવાલ છે. કેમ કે, સ્થાનિક લોકોનું કહેવું છે કે, તંત્રને વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્રએ અહીંનાં નાગરિકો સુધી મીઠું પાણી પહોંચાડાવાની વ્યસ્થા કરી નથી.
બોડેલી તાલુકાનાં અનેક ગામોમાં મીઠા પાણીની તંગીની ગંભીર સમસ્યા છે. પુરુષો, મહિલાઓ અને નાની બાળાઓ દરેકને પીવાલાયક પાણી માટે દરરોજ આ પ્રકારની કવાયત કરવી પડે છે અને જોખમી અખતરાઓ અજમાવવા પડે છે. ત્યારે ગામ લોકો ઈચ્છી રહ્યાં છે કે તંત્ર દ્રારા અહીં કોઈ મીઠું પાણી પહોંચાડવાનો પ્રોજેકટ ઊભો કરવામાં આવે અને પીવાનાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે.