હવે ખેતીને વ્યવસાય કહીને ટેક્સમાં છૂટ નહીં મેળવી શકાય કારણ કે હવેથી શ્રીમંત ખેડૂતો વિરૂદ્ધ ઇન્કમ ટેક્સનાં અધિકારીઓ દ્વારા કડક તપાસ હાથ ધરાશે.
અતિ ધનવાન ખેડૂતો સામે થશે તપાસ
ઇન્કમ ટેક્સથી બચનાર ધનવાન ખેડૂતો પર સરકારની નજર
સંસદમાં નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું નિવેદન
કેન્દ્ર સરકારે સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાવ્યું કે, જે લોકો પોતાની આવકને કૃષિમાંથી થયેલી આવક બતાવીને ટેક્સમાં છૂટ મેળવે છે તેઓની માટે એક મજબૂત માળખું બનાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને તેઓ આવકવેરા વિભાગને છેતરી ના શકે. કેન્દ્ર સરકારે 'કૃષિમાંથી થનારી આવક' પર કર મુક્તિ (ટેક્સમાં છૂટ) આપવા માટે હાલની પદ્ધતિમાં અનેક છટકબારી દર્શાવી છે. એક ખાનગી ન્યૂઝ અખબારના રિપોર્ટ અનુસાર, સંસદીય સમિતિના પ્રશ્નોના જવાબમાં નાણા મંત્રાલયે કહ્યું કે, શ્રીમંત ખેડૂતોએ હવે કર અધિકારીઓ દ્વારા કડક તપાસનો સામનો કરવો પડશે કે જેઓ પોતાની આવકના સ્ત્રોતને કૃષિમાંથી કમાયેલી આવક બતાવીને વર્તમાન આવકવેરા કાયદા અંતર્ગત ટેક્સમાં છૂટ મેળવે છે.
આવાં લોકોને હવે સંપૂર્ણ આવકવેરા ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે કે જેમની કૃષિમાંથી થતી વાર્ષિક આવક રૂ. 10 લાખથી વધુ છે. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ સંસદને જણાવ્યું હતું કે, લગભગ 22.5% કેસોમાં અધિકારીઓએ દસ્તાવેજોનું યોગ્ય મૂલ્યાંકન અને ચકાસણી વિના ખેતીમાંથી મળેલી આવકના સંદર્ભમાં કરમુક્તિના દાવા મંજૂર કરી દેવાયાં છે, કે જેનાથી કરચોરી કરવાનો મોકો મળી રહે. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ 5 એપ્રિલના રોજ સંસદમાં પોતાનો 49મો રિપોર્ટ 'કૃષિ આવક સંબંધિત આકારણી' રજૂ કર્યો હતો. જે ભારતના મહાલેખા પરીક્ષક અને નિયંત્રકના એક અહેવાલ પર આધારિત છે.
છત્તીસગઢનો એક કિસ્સો બન્યો ઉદાહરણ
આ અહેવાલમાં, છત્તીસગઢમાં ખેતીની જમીનના વેચાણને કૃષિ આવક તરીકે ગણાવી રૂ. 1.09 કરોડની ટેક્સમાં છૂટ મેળવવાના મામાલને ઉદાહરણ તરીકે સામેલ કરવામાં આવેલ છે. વર્તમાન તંત્રમાં ખામીઓ તરફ ઇશારો કરતા સંસદીય પેનલે ઉપરોક્ત ઉદાહરણ આપીને કહ્યું કે, અધિકારીઓએ ન તો 'દસ્તાવેજો' ની તપાસ કરી છે કે જેઓ 'મૂલ્યાંકન રેકોર્ડ' માં ટેક્સમાં છૂટને સમર્થન કરે છે, ન તો તેની 'મૂલ્યાંકન આદેશમાં ચર્ચા' કરવામાં આવી છે.
કૃષિ આવક પર આવકવેરામાંથી મુક્તિની જોગવાઈ છે
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 10 (1) અંતર્ગત 'કૃષિમાંથી આવક' ને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખેતીની જમીનનું ભાડું, મહેસૂલ અથવા ટ્રાન્સફર અને ખેતીમાંથી થતી આવકને કાયદા હેઠળ કૃષિ આવક તરીકે ગણવામાં આવે છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, પોતાની પાસે તમામ અધિકાર ક્ષેત્રમાં છેતરપિંડીના તમામ કેસોની તપાસ કરવા માટે પર્યાપ્ત માનવબળ નથી. સંસદીય પેનલને જણાવવામાં આવ્યું હતું કે, આવી કરચોરી અટકાવવા માટે નાણા મંત્રાલયે કૃષિ આવક રૂ. 10 લાખથી વધુ દર્શાવવામાં આવી હોય તેવાં કિસ્સામાં ટેક્સ-મુક્તિના દાવાઓની સીધી તપાસ કરવા માટે તેની પોતાની સિસ્ટમ તૈયાર કરી છે.
તો મોટા ખેડૂતો અને કંપનીઓ પર ટેક્સ લાગશે?
એક ખાનગી ન્યૂઝ અખબારે આવકવેરા વિભાગના ભૂતપૂર્વ અધિકારી નવલકિશોર શર્માને અનુલક્ષીને જણાવ્યું હતું કે, 'કૃષિથી થનારી આવક પરના ટેક્સનો ઉલ્લેખ કરવા માત્રથી રાજકારણીઓને ડર લાગે છે. ભારતના મોટા ભાગના ખેડૂતો ગરીબ છે અને તેમને ટેક્સમાં છૂટ મળવી જોઈએ, પરંતુ મોટા અને અમીર ખેડૂતો પર ટેક્સ ન લગાવવો જોઈએ તેવું કોઈ કારણ નથી.'
અગાઉની પૂર્વવતી યોજના આયોગ (જે હવે નીતિ આયોગ તરીકે ઓળખાય છે) નાં એક પેપર મુજબ, જો ખેતીમાંથી થનારી આવક માટે ટોચના 0.04% મોટા ખેડૂત પરિવારો સાથે કૃષિ કંપનીઓને પણ કૃષિમાંથી થતી આવક માટે 30% ટેક્સ સ્લેબ હેઠળ લાવવામાં આવે તો સરકારને 50,000 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક ટેક્સ રેવન્યુ પ્રાપ્ત થઇ શકે છે.