ભારતને જો મંદિરોનો દેશ કહેવામાં આવે તો કંઇ ખોટું નથી. કારણ કે અહીં ઘણાં બધા મંદિરો આવેલાં છે કે જેની તમે ગણતરી કરીને કંટાળી જશો, પણ ગણતરી કરી શકશો નહીં. અહીં અનેક મંદિરો આવેલાં છે, જે તેમની ભવ્યતા અને અન્ય માન્યતાઓ માટે જાણીતા છે.
આ મંદિરનાં 70એ 70 થાંભલાઓ લટકે છે હવામાં
લટકેલા થાંભલાઓ નીચેથી કપડું પસાર કરતાં પરિવારમાં આવે છે સુખ-શાંતિ
મંદિરનો સીધો જ સંબંધ છે રામાયણ કાળ સાથે જોડાયેલો
આવું જ એક અજોડ મંદિર આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં પણ છે. આ મંદિરની સૌથી વિશેષ અને રહસ્યમય બાબત એ છે કે તેનાં થાંભલાઓ હવામાં લટકે છે, પરંતુ આજ દિન સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી.
દક્ષિણ ભારતનાં મહત્વનાં મંદિરોની જો વાત કરીએ તો ત્યાં લેપાક્ષી મંદિર નામે એક એવું મંદિર આવેલું છે કે જે પોતાના વૈભવશાળી ઈતિહાસ માટે જાણીતું છે. આ મંદિર દક્ષિણ આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરને 'હેંગિંગ પિલર ટેમ્પલ' પણ કહેવાય છે. આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભેલું છે જેમાંથી એક પણ થાંભલો જમીનને નથી સ્પર્શ કરતો. આ મંદિરમાં તમામ થાંભલાઓ હવામાં ઝૂલી રહ્યાં છે.
આ મંદિરનાં થાંભલાઓ જમીન સાથે જોડાયેલા નથી અને રહસ્યમય રીતે હવામાં લટકેલા છે. આ થાંભલા જમીનથી લગભગ અડધો ઈંચ ઉપર જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે અહીં લટકેલા સ્તંભોની નીચેથી એક કપડું પસાર કરતાં પરિવારમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ આવે છે.
લેપાક્ષી મંદિર બેંગલુરુથી અંદાજે 140 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરનો સીધો જ સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ મંદિર વીરભદ્રને સમર્પિત છે. વીરભદ્ર દક્ષ યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવેલા ભગવાન શિવનું એક ક્રૂર સ્વરૂપ છે. આ ઉપરાંત ભગવાન શિવનાં કંકાલમૂર્તિ, દઅર્દ્ધનારીશ્વર, ક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર પણ અહીં દર્શનીય છે. આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મંદિર માત્ર એક જ પથ્થરની જ સંરચના છે.