કફની સમસ્યા હોય તે વ્યક્તિઓએ ખાવા પીવામાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે. વળી શિયાળાની ઠંડીની શરુઆત થઇ ચુકી છે અને આ સીઝનમાં કફ વકરે છે. વાત અને પિત્તની સાથે શરીરમાં કફનું સંતુલન ખુબ જરુરી છે. શરીરમાં કફ વધે ત્યારે તમને 28 પ્રકારના રોગો ઘેરી શકે છે તેવું આયુર્વેદમાં કહેવાય છે. કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓએ કઇ વસ્તુઓ ન ખાવી અને કઇ વસ્તુઓ ખાવી તે પણ ઘ્યાન રાખવા જેવી બાબત છે.
ચરબીવાળી વસ્તુઓ
કોઇ પણ પ્રકારની ચરબીવાળી વસ્તુઓ કફ વધારવાનું કામ કરે છે તેથી તેનું સેવન ન કરવું જોઇએ. મેંદો, ખાંડ વાળી વસ્તુઓ, વધુ પડતો ગળ્યો આહાર ન લો.
દુધ
દુધ કફને વધારી શકે છે. જો તમારી કફ પ્રકૃતિ હોય તો તમારે દુધનું સેવન ઓછુ કરવું જોઇએ. જો દુધ પીવું જ હોય તો હળદર સાથે તેનું સેવન કરો.
નોનવેજ
કફ વધતા નોનવેજનું સેવન તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેનાથી બચો અને જો પ્રકૃતિ કફ વાળી હોય તેમ જાણતા જ હો તો નોનવેજ ઓછામાં ઓછુ ખાવુ જોઇએ.
માખણ
માખણમાં ફેટ વધુ હોય છે. તેથી તે કફ વધારવાનું કામ કરે છે. કફની સમસ્યામાં માખણ કે માખણયુક્ત પદાર્થોનું સેવન ન કરો.
પનીર
પનીર ખાવાથી કફ તો વધે જ છે, પરંતુ કેટલાક લોકોને પાચન સંબંધિત સમસ્યા પણ થઇ જાય છે કેમકે કેટલાક લોકોને પનીર સરળતાથી પચતુ નથી. તેથી તેનું અતિસેવન ન કરવું જોઇએ.
શું ખાવુ જોઇએ
- સવારે ઉઠીને અથવા ભોજન બાદ ગોળનું સેવન કરવું ફાયદાકારક છે. ગોળની તાસીર ગરમ હોય છે તેથી તે કફને ઘટાડવાની સાથે પાચનક્રિયાને સારી બનાવે છે.
- તુલસી, સુંઠ, આદુ અને મધ જેવી વસ્તુઓનુ સેવન કફ ઘટાડવામાં ખુબ ફાયદાકારક છે તેથી તેને કોઇ પણ રીતે ડાયેટમાં સામેલ કરો.
- જમ્યા બાદ તરત પાણી ન પીવો. જમ્યા પછી એક સાથે ઘણુ બધુ પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે અને શરીર ઢીલુ થતુ જાય છે. કફ અને કફજન્ય વ્યાધિ વધે છે.
- કફ પ્રકૃતિ હોય તો સાંજે દહીં ખાવાનુ ટાળવું જોઇએ અને બપોરે પણ અઠવાડિયામાં બે થી ત્રણ વાર જ દહીં ખાવુ જોઇએ.