બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IAS-ડાયરેક્ટર બની 5 લોકોને સરકારી નોકરીની લાલચ! ₹25 લાખ પડાવનાર ઠગ આ રીતે ઝડપાયો
Last Updated: 11:59 AM, 18 August 2026
સુરેન્દ્રનગરમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી મેહુલ શાહે પોતાને IAS અધિકારી તેમજ મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે ઓળખાવી પાંચ લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી આશરે 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલો સામે આવ્યા બાદ સુરેન્દ્રનગર પોલીસે કાર્યવાહી કરીને લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસ તપાસ મુજબ મેહુલ શાહે સુરેન્દ્રનગરના રહેવાસી બે સંતાનોના પિતા સહિત અન્ય લોકોને સરકારી નોકરી અપાવવાનું વચન આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. માત્ર નોકરી અપાવવાનો દાવો જ નહીં, પરંતુ પોતે સરકારના ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હોવાનું કહી ઉમેદવારોમાં વિશ્વાસ ઉભો કરતો હતો. સરકારી વિભાગો અને અધિકારીઓના નામનો ખોટો ઉપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ તેમની પાસેથી મોટી રકમ વસૂલતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપી છેલ્લા સાત મહિનાથી પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો. તપાસ દરમિયાન તે રાજસ્થાનના ઉદયપુરમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો.

ADVERTISEMENT
રાજકોટ રેન્જના DIG અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 226/2025 હેઠળ મેહુલભાઈ પીરામલભાઈ શાહ સામે BNS કલમ 316(2), 318(2) અને 61(2) મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીએ મહેસૂલ વિભાગના ડાયરેક્ટર અને ગાંધીનગર સચિવાલયના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી સરકારી નોકરી અપાવવાના બહાને સુરેન્દ્રનગરમાં અંદાજે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તપાસમાં વાંકાનેર (મોરબી)માં પણ આ જ પ્રકારની છેતરપિંડીના બનાવો સામે આવ્યા છે. ઉપરાંત અમદાવાદ શહેરના DCB પોલીસ સ્ટેશન અને નરોડા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ સુરેન્દ્રનગરમાં એક ફરિયાદી અને એક સાક્ષી તથા વાંકાનેરમાં ઓછામાં ઓછા પાંચ સાક્ષીઓ સામે આવ્યા છે, પરંતુ ભોગ બનનાર લોકોની સંખ્યા વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીનો ફોટો જાહેર કરીને અન્ય ભોગ બનનાર લોકોને આગળ આવી સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાત ગેસ CNGના ભાવ વધ્યા, ₹85થી વધીને હવે કેટલો થયો ?
ADVERTISEMENT
તપાસ દરમિયાન આરોપીની માતાએ વર્ષ 2022માં કથિત રીતે કરાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં રૂપિયા આપ-લે સંબંધિત શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર મામલો માત્ર નોકરી અપાવવાના બહાને પૈસા પડાવવાનો નહીં, પરંતુ સરકારી અધિકારીની ખોટી ઓળખ ઉભી કરીને લોકોનો વિશ્વાસ જીતી મોટી છેતરપિંડી આચરવાનું સુનિયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મેહુલ શાહે અત્યાર સુધીમાં કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે, કેટલી રકમની છેતરપિંડી કરી છે અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.