આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે આજે રાજ્યભરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. રાજ્યમાં વાજતે ગાજતે ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.
દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં લાખો જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મહાનગરોમાં તમામ સોસાયટીઓમાં દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવે છે.
અમદાવાદમાં ઢોલનગારા સાથે વાજતે-ગાજતે ગણપતિને લેવા પહોંચ્યા છે. ગુલબાઇ ટેકરા ખાતે ગણેશજીની મૂર્તિ લેવા ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ગણેશ મહોત્સવને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ છે. દુંદાળા દેવની સ્થાપના કરવા ભક્તો થનગની રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. લોકોએ પોતાના ઘરોમાં અને પંડાલોમાં અલગ-અલગ થીમના આધારે ગણેશજીની સ્થાપના કરી છે. આ સાથે જ પંડાલોમાં ફાયર સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિની સ્થાપના
વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિની સ્થાપના કરવામાં આવશે. છેલ્લા 81 વર્ષથી પેલેસમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિ સંપૂર્ણ માટીમાંથી એક જ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. ગણેશજીની મૂર્તિનો વજન 90 કિલો અને 81 ઇંચની ઊંચાઇ છે. પેલેસના દરબાર હોલમાં ગણેજીની સ્થાપના કરવામાં આવશે. ગણેશજીને રજવાડી આભૂષણોથી શણગારવામાં આવી રહ્યા છે.
સુરત શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ ધામધુમથી
સુરત શહેરમાં ગણેશોત્સવની શરૂઆત થઇ રહી છે. ત્યારે સુરત શહેરમાં 70 હજાર જેટલી શ્રીજી મૂર્તિઓનું સ્થાપન થવાનું અનુમાન છે. 75 ટકા જેટલી મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જ્યારે 8 હજાર જેટલી મૂર્તિઓ 3 થી 9 ફૂટની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 40 જેટલી મૂર્તિઓ 20 થી 25 ફૂટ સુધીની ઉંચાઇ ધરાવે છે.ય તો 9 હજાર જેટલા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે.
દેશભરમાં ગણેશ ચતૂર્થીની ઉજવણી ચાલી રહી છે. અને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે.