બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:44 PM, 13 June 2026
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવા મામલે પશ્ચિમી દેશોના નિશાના પર રહેલા ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. ફિનલેન્ડના સત્તાવાર પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની હાજરીમાં ખુદ યુરોપિયન યુનિયનના સભ્ય દેશ ફિનલેન્ડે રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો છે. ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોને સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે ભારતે વૈશ્વિક નિયમો અને પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાના દાયરામાં રહીને જ તેલની ખરીદી કરી છે. બીજી તરફ, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ પોતાની આગવી શૈલીમાં ઊર્જા સુરક્ષાના મુદ્દે ભારતની આલોચના કરનારા પશ્ચિમી દેશોના બેવડા વલણનો જડબાતોડ જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દીધી છે.
ADVERTISEMENT
ફિનલેન્ડમાં આયોજિત એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ દરમિયાન પશ્ચિમી મીડિયા અને વિવેચકોને આડે હાથ લેતા ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોને જણાવ્યું કે, જ્યારે પશ્ચિમી દેશો દ્વારા રશિયન ક્રૂડ ઓઈલ પર ભાવ મર્યાદા લાગુ કરવામાં આવી હતી, ત્યારે અમારો હેતુ રશિયા પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે ઠપ કરવાનો નહોતો. હું ભારતના સમર્થનમાં એ સ્પષ્ટ કહેવા માંગું છું કે, ભારતે પશ્ચિમ દ્વારા નિર્ધારિત કરાયેલી પ્રાઇસ કેપ હેઠળ જ તેલ ખરીદ્યું છે અને પશ્ચિમી દેશોની નીતિ પાછળનો અસલ ઈરાદો પણ આ જ હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી નીતિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટમાં સપ્લાય ચેઈનને ખોરવવાનો કે અડચણો ઊભી કરવાનો નહોતો, પરંતુ અમે માત્ર એટલું જ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે ગ્લોબલ માર્કેટમાં ઓઈલનો સપ્લાય ચાલુ રહે અને રશિયા તેલના વેચાણમાંથી યુદ્ધ માટે મોટી કમાણી ન કરી શકે. અમે ક્યારેય કોઈ દેશને રશિયા પાસેથી તેલ ખરીદતા રોક્યા નથી.
ADVERTISEMENT
આ જ કાર્યક્રમમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની સાર્વભૌમ ઊર્જા નીતિનો પક્ષ મજબૂતાઈથી રજૂ કર્યો હતો. ભારતની ટીકા કરનારાઓને આયનો બતાવતા તેમણે એક મોટો ખુલાસો કર્યો કે, વર્ષ 2022 માં જ્યારે રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા, ત્યારે યુરોપિયન દેશોએ રાતોરાત મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) ના દેશોમાંથી મોટા પાયે તેલ ખરીદવાનું શરૂ કરી દીધું હતું, જે વાસ્તવમાં ભારતનું પરંપરાગત ઓઈલ સપ્લાયર માર્કેટ હતું. યુરોપના આ પગલાને કારણે ગ્લોબલ માર્કેટમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારને સ્થિર રાખવા માટે ખુદ અમેરિકાએ જ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે સત્તાવાર વિનંતી કરી હતી, જેથી વૈશ્વિક સ્તરે તેલના ભાવો આસમાને ન પહોંચે. જયશંકરે રોકડા પરખાવતા કહ્યું કે, વ્યવહારિક અને આર્થિક કારણો તેમજ ઉપલબ્ધતાના આધારે જ ઊર્જાની ખરીદી થાય છે, કોઈ રાજકીય દબાણથી નહીં. તેથી પશ્ચિમી દેશોએ હવે એવો દેખાડો બંધ કરવો જોઈએ કે આમાં કોઈ બહુ મોટો નૈતિક સિદ્ધાંત સામેલ છે.
ADVERTISEMENT
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના તટસ્થ વલણ પર સવાલ ઉઠાવતા યુરોપિયન ટીકાકારોને સણસણતો જવાબ આપતા એસ. જયશંકરે કહ્યું કે, યુરોપિયન દેશોએ ઇતિહાસમાં એવા દેશોને ઘાતક હથિયારો વેચ્યા છે, જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ અનેક વર્ષો સુધી હુમલાઓ કરવા માટે કરવામાં આવ્યો છે. તેમણે ગંભીરતાપૂર્વક યાદ અપાવ્યું કે, "આપણે ભારતીયોએ ક્યારેય એવું કોઈ કામ નથી કર્યું જેનાથી યુરોપની સુરક્ષા ખતરામાં પડે. તેથી યુરોપ જ્યારે ભારતને સલાહ આપે ત્યારે તેણે આ વાસ્તવિકતા હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આસામમાં એરફોર્સનું વિમાન ક્રેશ થતા પાયલટ સહિત 5 શહીદ, આગ લાગતા વિમાનના બે ટુકડા થયા
ADVERTISEMENT
વૈશ્વિક સ્તરે ભારત ખાડી દેશોથી દૂર જઈ રહ્યું હોવાની અટકળોને નકારી કાઢતા વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ભારત પોતાની જરૂરિયાત મુજબ ઊર્જાના સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરી રહ્યું છે. હાલના સમયમાં રશિયા ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર છે અને અમેરિકા સૌથી મોટો ગેસ સપ્લાયર બનીને ઉભર્યું છે. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે, ખાડી દેશો સાથે ભારતના સંબંધો માત્ર ક્રૂડ ઓઈલની લેવડ-દેવડ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે વ્યાપક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.