બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Died in the battle of Mahabharata

ધર્મ / મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામેલા બધા વીર એક રાત માટે પુનઃજીવિત થયા હતા

Divyesh

Last Updated: 03:30 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૌરવો અને પાંડવો વચ્ચે કુરુ રાજ્યની ભૂમિ અને હસ્તિનાપુરની રાજગાદી માટે સંઘર્ષ શરૂ થયો અને તેના પરિણામ સ્વરૂપે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું. યુદ્ધ સમાપ્ત થયા પછી ધૃતરાષ્ટ્રનો એક માત્ર પુત્ર યુયુત્સુ જ જીવિત રહ્યો હતો, કારણ કે તેણેે પાંડવોના પક્ષેથી યુદ્ધ કર્યું હતું.

આ વાત તો બધા જાણે છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોએ ભીષ્મ, દ્રોણાચાર્ય, દુર્યોધન, કર્ણ જેવા યોદ્ધાઓનો વધ કરી દીધો હતો, પરંતુ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામેલા બધા વીર એક રાત માટે સજીવન થયા હતા. આ વાત વાંચવામાં થોડી નવાઈ જરૂર લાગશે, પરંતુ આ ઘટનાનું પૂરું વર્ણન મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ગ્રંથના આશ્રમવાસિત પર્વમાં મળે છે.

મહાભારતના આ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા હતા, તે ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કરી રહ્યા હતા. યુધિષ્ઠિર રોજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો આશીર્વાદ લેવા જતા હતા. અર્જુન, નકુલ, સહદેવ, દ્રોપદી વગેરે પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરતા હતાં.

 ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પાંડવો સાથે રહેતાં ૧૫ વર્ષ વીતી ગયાં હતાં. એક દિવસ ભીમે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સામે કોઈ એવી વાત કહી દીધી  જેને સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું. ત્યારે ધૃતરાષ્ટ્રએ વિચાર્યુ કે પાંડવો સાથે રહેતાં ઘણો સમય થઈ ગયો છે એટલે હવે વાનપ્રસ્થ આશ્રમ અપનાવી લેવો જોઈએ. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સાથે વિદુર અને સંજયે પણ વન જવાનો નિર્ણય કર્યો.

ધૃતરાષ્ટ્રે પોતાનો નિર્ણય યુધિષ્ઠિરને જણાવ્યો જેને સાંભળીને યુધિષ્ઠિરને ખૂબ જ દુઃખ થયુ, પણ મહર્ષિ વેદવ્યાસના કહેવાથી યુધિષ્ઠિર માની ગયા. વન જતાં પહેલાં ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રો અને અન્ય પરિજનોનો શ્રાદ્ધ કર્મ કર્યું.

આ બધાં વન જઈ રહ્યા હતાં તે જોઈને પાંડવાની માતા કુંતીએ પણ વનમાં રહેવાનો નિશ્ચય કર્યો. પાંડવોએ તેમને ખૂબ સમજાવ્યા પણ તે માન્યા નહીં અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સાથે વન જતાં રહ્યાં. મહર્ષિ વેદવ્યાસ પાસે વનવાસની દીક્ષા લઈને બધાં મહર્ષિ શતયૂપના આશ્રમમાં નિવાસ કરવા લાગ્યા.

વનમાં ધૃતરાષ્ટ્ર ઘોર તપ કરવા લાગ્યા, તપ કરવાથી તેમના મનનો બધો મોહ દૂર થઈ ગયો, તેમની સાથે ગાંધારી અને કુંતી પણ તપ કરવાં લાગ્યાં, જ્યારે વિદુર અને સંજય તપ કરવાની સાથે તેમની સેવા કરતા હતા. વનમાં રહેતાં તેમને એક વર્ષ પૂર્ણ થઈ ગયું. હસ્તિનાપુરમાં રાજા યુધિષ્ઠિરના મનમાં પોતાના પરિજનો સાથે મળવાની ઈચ્છા થઈ. પાંડવો પોતાના પૂરા પરિવાર અને કેટલાક નગરવાસી સાથે વન જવા નીકળ્યા.

ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીને મળીને યુધિષ્ઠિર ખૂબ જ પ્રસન્ન થયા. તે લોકો પણ પોતાના પુત્રો અને પરિવારજનોને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. યુધિષ્ઠિરે વિદુરજી વિશે પૂછતાં ધૃતરાષ્ટ્રે કહ્યું કે તે તપ કરી રહ્યા છે. ત્યારે જ યુધિષ્ઠિરને વિદુર આવતાં દેખાયા, પણ આશ્રમમાં આટલા બધાં લોકોને જોઈને વિદુર પાછા જતા રહ્યા.  યુધિષ્ઠિર તેમને મળવા તેમની પાછળ દોડ્યા. વનમાં યુધિષ્ઠિરે જોયું કે એક ઝાડ નીચે વિદુરજી ઊભા હતા, ત્યારે જ વિદુરજીના શરીરમાંથી પ્રાણ નીકળી યુધિષ્ઠિરમાં સમાઈ ગયા. યુધિષ્ઠિરે વિદુરજીના દેહત્યાગના સમાચાર ધૃતરાષ્ટ્રને જણાવ્યા. આ વાત સાંભળી બધાં ને ખૂબ જ આશ્ચર્ય અને દુઃખ થયું.

બીજા દિવસે મહર્ષિ વેદવ્યાસ આશ્રમમાં આવ્યા, તેમને ખબર પડી કે વિદરુજીએ દેહત્યાગ કર્યો છે તો તેમણે કહ્યું કે વિદુર ધર્મરાજના અવતાર હતા અને યુધિષ્ઠિર પણ ધર્મરાજના અંશ છે એટલે વિદુરજીના પ્રાણ યુધિષ્ઠિરના શરીરમાં સમાઈ ગયા છે. ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીને કહ્યું કે આજે હું તમને મારી તપસ્યાનો પ્રભાવ બતાવીશ. તમારી જે ઈચ્છા છે તે માગી લો.

 ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના પુત્રો અને કુંતીના પુત્ર કર્ણને જોવાની ઈચ્છા પ્રગટ કરી. મહર્ષિ વેદવ્યાસે કહ્યુ કે આવું જ થશે, આજે રાત્રે તમે યુદ્ધમાં માર્યા ગયા બધા જ વીર યોદ્ધાઓને જોઈ શકશો.

ત્યારબાદ મહર્ષિ વેદ વ્યાસે બધાંને ગંગા કિનારે ભેગાં થવા કીધું. વેદ વ્યાસના કહેવાથી બધાં ગંગા કિનારે ભેગા થયા અને રાત થવાની રાહ  જોવા લાગ્યા, રાત થતાં જ મહર્ષિ વેદ વ્યાસે ગંગા નદીમાં પ્રવેશ કર્યો અને પાંડવ અને કૌરવ પક્ષના સમસ્ત મૃત યોદ્ધાઓનું આહ્વાન કર્યુ. થોડી જ વારમાં ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, દુર્યોધન, દુઃશાસન, અભિમન્યુ, ધૃતરાષ્ટ્રના બધા પુત્ર, ઘટોત્કચ, દ્રોપદીના પાંચેય પુત્ર, રાજા દ્રુપદ, ધૃષ્ટધ્યુમ્ન, શકુનિ, શિખંડી વગેરે વીર યોદ્ધા ગંગાજળમાંથી બહાર નીકળ્યા. તે બધાંના મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર અને ક્રોધ ન હતો.•

સંકળાયેલા મુદ્દાઓ

Battle Death Mahabharata પુનઃજીવિત મહાભારત મૃત્યુ યુદ્ધ religious
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ