પાકિસ્તાનના F 16 વિમાનોની ગણતરીના રિપોર્ટને લઈને વિવાદ ઊભો થયો છે. ભારતના રક્ષા મંત્રીએ રિપોર્ટને નિરાધાર ગણાવતા કહ્યું કે, ''ભારતે પહેલાં જ પાકિસ્તાનના F 16 માં ઉપયોગ થનારી એમ્રામ મિસાઈલના ટુકડાંઓ પુરાવા તરીકે રજૂ કર્યા છે.'' આ પહેલાં અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગોને કહ્યું કે, ''અમને આવી કોઈ તપાસ અંગેની જાણકારી નથી, જેમાં પાકિસ્તાનના F 16 વિમાનોની ગણતરી કરવામાં આવી હોય.'' ગુરૂવારે મીડિયા રિપોટ્સમાં દાવો કરાયો હતો કે, 27 ફેબ્રુઆરી ભારત-પાકિસ્તાન વાયુસેના આમનેસામને આવ્યાં બાદ અમેરિકાએ F 16 વિમાનોની ગણતરી કરી હતી, જેમાં એક પણ વિમાન ગુમ ન હતું.
બાલાકોટમાં 24 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ આંતકી ઠેકાણાંઓ પર કાર્યવાહી કરી હતી. જે બાદ પાકિસ્તાની વાયુસેનાના વિમાન 27 ફેબ્રુઆરીએ ભારતીય સરહદમાં ઘૂસ્યાં હતા. જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનનું એક F 16 વિમાન તોડી પાડ્યું હતું. જો કે પાકિસ્તાન સેનાનો દાવો છે કે, તેના એક પણ વિમાનને કોઈ જ નુકસાન થયું ન હતુ.
રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે અમેરિકી મેગેઝીનના રિપોર્ટ પર કહ્યું, "ભારતીય વાયુસેનાએ F 16ના ઈલેકટ્રોનિક સિગ્નેચર પુરાવા તરીકે રજૂ કર્યા છે. એવામાં જે કોઈએ આ રિપોર્ટ લખ્યો છે તે નિરાધાર છે. એમ્રામ મિસાઈલ માત્ર F 16 વિમાનોમાં જ ઉપયોગ કરાય છે. તેનો એક ટુકડો ભારતમાંથી કઈ રીતે મળ્યો?"
સીતારમણે કહ્યું કે, "મેગેઝીનમાં આવેલા લેખને અનેક લોકો આધારહીન જણાવી રહ્યાં છે. કોઈએ સોશ્યલ મીડિયા પર મને આ અંગે જણાવ્યું કે હવે તો અમેરિકાના અધિકારીઓ પણ કહી રહ્યાં છે કે અમે આવી કોઈ જ તપાસ નથી કરી. અનેક લોકો ખોટી સુચનાઓ ફેલાવે છે. આ દુઃખદ છે કે આપણાં જ દેશમાં કેટલાંક લોકો જેમાં કોંગ્રેસ પાર્ટીના લોકો પણ સામેલ છે તેઓ સુરક્ષાદળો પર આંગળી ઉઠાવી રહ્યાં છે."
વિદેશ નીતિ પર આધારિત મેગેઝીને ગુરૂવારે જણાવ્યું હતું કે, યુએસ સુરક્ષા વિભાગના અધિકારીઓએ વ્યક્તિગત રીતે પાકિસ્તાનના F 16 વિમાનોની ગણતરી કરી હતી. આ દરમિયાન તમામ વિમાન સુરક્ષિત મળ્યાં હતા, એક પણ ગુમ થયું ન હતું. અધિકારીઓનું એમ પણ કહેવું છે કે, વિમાનોની ગણતરી પાકિસ્તાનના નિમંત્રણ પર કરવામાં આવી હતી.
યુએસ સુરક્ષા વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, "અમને આ પ્રકારની કોઈ તપાસ અંગે જાણકારી નથી." જ્યાં સુધી આ રિપોર્ટમાં કહેવામાં આવેલી વાતનો સવાલ છે તો તે કોઈ અજ્ઞાત સુરક્ષા અધિકારીના હવાલાથી કહેવામાં આવી છે.
ભારતની ત્રણેય સેનાઓએ 28 ફેબ્રુઆરીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન સેનાએ પાકિસ્તાની વાયુસેના દ્વારા ભારતીય સરહદમાં F 16 વિમાન હુમલો કરવાના પુરાવાઓ રજૂ કર્યા હતા. વાયુસેનાના એરવાઈસ માર્શલ આરજીકે કપૂરે કહ્યું કે પાકિસ્તાને સૈન્ય ઠેકાણાંઓને નિશાન બનાવતાં એમ્રામ મિસાઈલનો ઉપયોગ કર્યો, જેને માત્ર પાકિસ્તાનમાં રહેલા એકમાત્ર F 16 વિમાન જ છોડી શકે છે. આર્મીએ એમ્રામ મિસાઈલના ટુકડાંઓ પણ દેખાડ્યાં હતા.