સુરત શહેર માત્ર ડાયમંડ સિટી તરીકે જ નહીં પરંતુ બ્રિજ સિટી તરીકે પણ જાણીતું છે. સુરત શહેરમાં સો કરતાં પણ વધારે બ્રિજ હયાત છે છતાં પણ ટ્રાફિકની સમસ્યાથી નિવારણ માટે હજુ પણ કેટલાક બ્રિજના નિર્માણકાર્ય ચાલી રહ્યાં છે. જો કે, સુરતમાં એક બ્રિજ એવો પણ છે કે જેનું માત્ર પાંચ ટકા કામ બાકી છે અને પ્રોજેક્ટ ટલ્લે ચડ્યો છે.
બ્રિજના ઉતરતા છેડે 23 મકાન અને 33 પરિવારો થયા અસરગ્રસ્ત
જમીન સંપાદન કર્યા બાદ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હોત તો આ સ્થિતિ ન સર્જાત
ડાયમંડ સીટી, ટેક્સટાઇલ સીટી ઉપરાંત સુરત સીટી બ્રિજ સીટી તરીકે પણ જાણીતું છે. બ્રિજની સંખ્યામાં જોવા જઈએ તો સુરત શહેરે બ્રિજની સદી વટાવી છે. એટલે કે 100થી પણ વધુ બ્રિજ સુરત (Surat) શહેરમાં છે અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હજી પણ કેટલાક બ્રિજ નિર્માણાધિન છે. જો કે સુરતમાં એક બ્રિજ એવો પણ છે જેનું 95 ટકા કામ પૂરું થઈ ગયું હોવા છતાં ફક્ત સંપાદનને કારણે બ્રિજનું પાંચ ટકા કામ અટકી પડ્યું છે.
શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો કરવા તાપી નદી પર પાલ ઉમરા વચ્ચે નવો બ્રિજ (Bridge) બનાવવાની કામગીરી ચારેક વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. હાલ બ્રિજની કામગીરી 95 ટકા જેટલી પૂરી થઈ ગઈ છે પરંતુ ઉમરા તરફે 23 જેટલી મિલકત એપ્રોચમાં આવે છે. જમીન સંપાદન સામે સ્થાનિક લોકોનાં વિરોધનાં કારણે કામગીરી અટકી પડી છે તેમ SMCનાં સ્થાયી સમિતિનાં ચેરમેનનું કહેવું છે.
આ બ્રિજના ઉતરતા છેડે 23 મકાન અને 33 પરિવારોને અસરગ્રસ્ત થયા છે. જો કે, સરકાર દ્વારા અસરગ્રસ્તોને જગ્યાના બદલે મકાન આપવાની બાંહેધરી અપાઈ છે પરંતુ સાત પરિવારોનું સીટી સર્વેમાં નામ ન હોવાથી ટેક્નિકલ ગૂંચ સર્જાઈ છે વળી કેટલાંક પરિવારો મકાન છોડવા રાજી પણ નથી. જેના કારણે જમીન સંપાદની કામગીરી અટકી પડી છે. બ્રિજનું કામ 95 ટકા પૂર્ણ છતાં કામગીરી આગળ વધી નથી. આથી સરકાર તરફથી ફરજીયાત જમીન સંપાદન કરવાનો છે આદેશ થયો છે.
આપને જણાવી દઈએ કે, બ્રિજની કામગીરી આગળ ધપાવવા છેલ્લાં બે વર્ષથી અસરગ્રસ્તો સાથે વાટાઘાટો ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. જેના કારણે લોકોને અવરજવરમાં અને વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. જેના પર વિપક્ષ SMCનાં સત્તાધીશો અને સરકારને જ જવાબદાર ઠેરવી રહી છે.
હાલ તો અસરગ્રસ્તોની જિદ અને સરકારનાં આદેશ વચ્ચે બ્રિજનો મામલો આખો મામલો અટવાયો છે. પરંતુ તેના કારણે સામન્ય જનતાને પરિવહનમાં મુશ્કેલી રોજ રોજ સતાવી રહી છે. વિપક્ષનું કહેવું છે કે, સરકારે પહેલા જમીન સંપાદન કર્યા બાદ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હોત તો આ સ્થિતિ ન સર્જાત. કોંગ્રેસની આ દલીલમાં દમ તો છે જ.
બ્રિજના અધૂરા કામથી સર્જાય છે ટ્રાફિકની સમસ્યા
1992માં તાપી નદી પરના સરદાર બ્રિજ પરથી પસાર થતાં વાહનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના આધારે જાણવા મળ્યું હતું કે, સુરતના 50 ટકા લોકો 48 કલાકમાં ઓછામાં ઓછા 1 વાર તાપી નદીના એક છેડેથી બિજે છેડે બ્રિજ ઓળંગીને જાય છે અને તેથી જ ઓફિસ ટાઈમ, શાળાઓના સમય અને તહેવારોમાં કલાકોના ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. આ પ્રશ્નના ઉકેલ પછી પાલિકાએ એક પછી એક બ્રિજ બનાવવાના શરુ કર્યાં અને શહેરના બન્ને તરફના પોશ વિસ્તારને જોડવા 90 કરોડના ખર્ચે પાલ આરટીઓથી પીપલોદને જોડતા બ્રિજનું આયોજન કરવામાં આવ્યું.