લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આજે અંત આવ્યો છે. રાજ્યના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 4200 ગ્રેડ પે મામલે આંદોલન અને રજૂઆત બાદ શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે.
શિક્ષકોના લાંબા સંઘર્ષનો અંત
9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે
રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે
છેલ્લા કેટલાક સમયથી 4200 ગ્રેડ પે આપવાની પ્રાથમિક શિક્ષકોની માગ હતી. ત્યારે આજે પ્રાથમિક શિક્ષણ સંઘ અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને DyCM નીતિન પટેલ સાથે થઇ હતી. આ બેઠકમાં 4200 ગ્રેડ પે બાબતે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકોના ગ્રેડ પેમાં રાજ્ય સરકારે સુધારો કર્યો છે.
આ અંગે DyCMની નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવ્યો છે. લાંબી ચર્ચાના અંતે પ્રશ્રનોનો નિકાલ લવાયો છે. શિક્ષકોના પ્રશ્નોનું સરકાર હંમેશા નિરાકરણ લાવે છે. ત્યારે હવે 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી 9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે. રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે.
મહત્વનું છે કે, 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિકશાળાના શિક્ષકોને મળતો 4200 ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને વિરોધ શરૂ થયો હતો. ત્યારે હવે આ 4200 ગ્રેડ પે મામલે જૂનો પરિપત્ર રદ્દ કરાયો છે.
હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે: DyCM
વધુમાં DyCMએ કહ્યું કે, હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે. નાણા, શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કર્યુ હતું. 4200 ગ્રેડ પે મામલે વારંવાર રજૂઆતો થઈ હતી. શિક્ષણ સંઘોએ CM સમક્ષ રજૂઆતો કરી હતી. 2019ના ઠરાવથી ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. મહત્વનું છે કે, આનાથી પ્રાથમિક શાળાના શિક્ષકોને લાભ મળશે.