એક સમયનું ગોહિલવાડ સ્ટેટ તરીકે ઓળખાતું ભાવનગર શહેર કે જે આમ તો જ્યારે પણ શાસન વિશે ચર્ચા નીકળે છે ત્યારે લોકો રાજાશાહી કરતાં લોકશાહીને ઉત્તમ ગણી રહ્યાં છે. પરંતુ જ્યારે આ લોકશાહીમાં પણ ભાવનગરનાં વિકાસની વાત આવે છે ત્યારે લોકો રાજાશાહીને ઉત્તમ ગણી રહ્યાં છે. કેમ કે, હાલ ભાવનગરનો વિકાસ જાણે અટકી ગયો હોય તેમ લોકો અનુભવી રહ્યાં છે.
ભાવનગર છોડીને લોકો કરી રહ્યાં છે અન્ય શહેરોમાં સ્થળાંતર
297 વર્ષ પહેલા રાજાશાહી સમયે ગોહિલવાડ સ્ટેટ તરીકે ઓળખાતું આજનું ભાવનગર (Bhavnagar) અન્ય શહેરોની જેમ વિકાસ (Vikas) પામ્યું નથી અને તેને કારણે ભાવનગરનાં લોકોને ના છુટકે ભાવનગર છોડીને અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડી રહ્યું છે. નવાઈની વાત એ છે એક બાજુ વિકાસને વરેલી વર્તમાન ભાજપ સરકારમાં રાજકીય ક્ષેત્રે ભાવનગરના નેતાઓ ઉચ્ચ હોદ્દાઓ શોભાવી રહ્યાં છે છતાં આ શહેરનો વિકાસ જેવો થવો જોઈએ એવો થયો નથી. ત્યારે કેવી છે જનતાના મનમાં લાગણી અને શું કહી રહ્યાં છે નેતાઓ તે જોઈએ આ અહેવાલમાં.
રાજાશાહી સમયમાં ગોહિલવાડ સ્ટેટનાં રાજવીઓએ અનેક જળાશયો તેમજ સુંદર નગરરચના અને ડ્રેનેજની અનેક સુવિધાઓ આ શહેરને આપી હતી. પરંતુ આઝાદી બાદ રાજકીય પક્ષો સત્તામાં આવ્યાં પછી શહેરના વિકાસની ગતિ જાણે થંભી ગઈ છે. આઝાદીનાં 70 વર્ષો બાદ પણ ભાવનગર અન્ય મોટા શહેરો સાથે સંપર્ક કરી શકે તેવા ઉત્તમ રોડ રસ્તા કે રેલ કનેક્ટિવિટીની ઉત્તમ વ્યવસ્થા નથી. શહેરને અન્ય દેશ સાથે જોડતી એરલાઈનની સુવિધા નથી. કનેક્ટિવિટીના અભાવે શહેરનો વિકાસ જાણે થંભી ગયો છે તેમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખનું માનવું છે.
એક સમયનું સૌરાષ્ટ્રનું વડું મથક આજે વિકાસનાં નકશામાં ગાયબ!
એક જમાનામાં સૌરાષ્ટ્રનું વડું મથક ગણાતું ભાવનગર આજે ક્યાંય ધકેલાઈ ગયું છે. ડાયમંડ પાર્ક બનાવવાની વાત વીસરાઈ ગઈ છે. મરિન યુનિવર્સિટી અને શીપ બિલ્ડીંગ યાર્ડ હજુ કાગળ પર છે. શહેરમાં ઓવરબ્રિજ બનવાની નાગરિકો રાહ જુવે છે. જહાજ નિર્માણ માટેના યુનિટ આલ્કોક એશડાઉનને તાળા લાગી ગયા છે. ઘોધા, મીઠી વીરડી અને મહુવા બંદરનો વિકાસ થયો નથી. મીઠી વીરડીમાં અણુ આધારિત વીજમથકની વાત કાગળ પર છે. વિશાળ પાયે રોજગારી આપનાર એક પણ યુનિટ ભાવનગરમાં નથી. વર્લ્ડ ક્લાસ ઉચ્ચ શિક્ષણની સુવિધાનો અભાવ યુવાઓને મુંઝવી રહ્યો છે.
ભાવનગરમાં એક પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ ન હોવાથી શહેરમાં બેરોજગારીની સમસ્યા પણ ઊભી છે. ભાવનગરનો હીરા ઉધોગ હોય, પ્લાસ્ટિક ઉધોગ હોય કે અલંગ શીપ યાર્ડનો ઉધોગ હોય આ તમામ પોતાની રોનક ગુમાવી ચૂક્યાં છે. આથી ના છૂટકે ભાવનગરનાં લોકોને ભાવનગર છોડી સ્થળાંતરણ કરવું પડી રહ્યું છે. ભાવનગરવાસીઓમાં વિકાસના નામે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોય તેવો રંજ જોવા મળી રહ્યો છે.
નવાઈની વાત એ છે કે, ભાવનગર મહાનગર પાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું જ શાસન છે. વર્તમાન સરકારમાં ભાવનગર જિલ્લાનાં બે ધારાસભ્યો છે. જેમાંથી એક રાજ્યકક્ષાનાં મંત્રી છે. ભાવનગરમાં સંસદ સભ્ય અને રાજ્ય સભાનાં સાંસદ સભ્ય મળી કુલ બે સાંસદ સભ્યો મળ્યાં છે જેમાં એક કેન્દ્રીય મંત્રી પણ છે તો બીજી બાજુ સત્તાધારી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ભાવનગરનાં જ છે. જ્યારે બે સરકારી સાહસોના ચેરમેનો પણ ભાવનગરનાં જ છે.
વર્તમાન સરકારમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરતા સતાધારી પક્ષોનાં રાજનેતાઓ સરકારમાંથી ગ્રાન્ટ લાવવાના દાવાઓ તો કરે છે પણ ઊડીને આંખે વળગે તેવા એક પણ કામો આજ સુધી થયા નથી. ડાયમંડ અને અલંગનાં ઉધોગપતિઓએ શહેરમાંથી પોતાનો બીઝનેસ 50 ટકા ઘટાડી દીધો છે. છતાં શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે કે મોટા ઉદ્યોગો ભલે બંધ થઈ ગયા પરંતુ તેની જગ્યા નાના ઉદ્યોગોએ લીધી છે. એ પણ એક વિકાસનો પ્રકાર છે. રાજ્ય સરકાર વિકાસનાં મોટા દાવાઓ કરે છે પરંતુ એ વિકાસનાં નકશામાં ભાવનગર ક્યાંય દેખાતું નથી અને તેને કારણે ભાવનગર ભાંગતું જાય છે અને મહાનગરમાંથી જાણે કે મોટું ગામડું બનવા જઈ રહ્યું હોય તેવું ચિત્ર ભાવનગરનાં લોકો જોઈ રહ્યાં છે.