શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોરોના વાયરસ મહામારી વચ્ચે શિક્ષણ જગતનો વધુ એક મોટો નિર્ણય લીધો છે જેનાથી 30 લાખ જેટલા વિદ્યાર્થીઓને થશે ફાયદો.
સરકારે 29 લાખ 75 વિદ્યાર્થીઓ માટે લીધો મોટો નિણર્ય
પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો વધારવામાં આવ્યા
કોરોનાકાળમાં પરીક્ષાનું ટેન્શન થશે ઓછું
ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીની સાથે સાથે શિક્ષણ ચાલુ રાખવું મોટી સમસ્યા બની ગયું છે ત્યારે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે અભ્યાસને લઈને મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે હવેથી ગુજરાતનાં ધોરણ 9થી 12નાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ NEET જેવી પરીક્ષાઓ પણ આપી શકશે. સામાન્ય પ્રવાહમાં આ વર્ષે જે પરીક્ષા લેવામાં આવશે તેમાં હેતુલક્ષી પ્રશ્નો વધારવામાં આવ્યા છે.
હવે 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી જ હશે
વાઘાણીએ કહ્યું કે વિદ્યાર્થીઓ JEE, NEET જેવી પરીક્ષાઓ આપી શકે તે માટે 29 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ જે 9થી 12માં અભ્યાસ કરે છે તેમની પરીક્ષાઓમાં તણાવ ઓછો થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી 9થી 12 ધોરણની પરીક્ષામાં જે હેતુલક્ષી પ્રશ્નો પૂછતાં હતા તેની સંખ્યા વધારવામાં આવી છે અને પેપરસ્ટાઈલ બદલવામાં આવી છે. અત્યાર સુધીમાં 20 ટકા પ્રશ્નો પૂછવામાં આવતા હતા તેની જગ્યાએ 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને 70 ટકા પ્રશ્નો વરણાત્મક રહેશે.
વિદ્યાર્થીઓને પેપરમાં વધારે ઓપ્શન અપાશે
અત્યાર સુધીમાં પરીક્ષામાં સાતમાંથી પાંચ પ્રશ્નોનાં જવાબ લખવાનું ઓપ્શન આપવામાં આવતું હતું જોકે હવે જે પેપર લેવામાં આવશે તેમાં 10માંથી 6 પ્રશ્નો લખવાનાં રહેશે.
હેતુલક્ષી પ્રશ્નો એટલે શું?
નોંધનીય છે કે પરીક્ષામાં જુદા જુદા માર્કસનાં પ્રશ્નો પૂછાતા હોય છે પરંતુ અમુક પ્રશ્નો માત્ર એક જ માર્કના હોય છે અને પ્રમાણમાં સહેલા હોય છે. આ પ્રકારના પ્રશ્નોથી વિદ્યાર્થીઓ વધુ માર્ક લઈ શકે છે ત્યારે આગામી પરીક્ષામાં આવા પ્રશ્નોની સંખ્યા 30 ટકા રહેશે.