શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગણપતિ માત્ર 10 દિવસ જ કેમ રહે છે? 10 દિવસ પછી ગણેશ વિસર્જન કરવા પાછળ એક ખાસ કારણ છે જે મહાભારત સાથે જોડાયેલ છે.
સુદ ચોથના દિવસે ગણેશચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે
10 દિવસ પછી ગણેશ વિસર્જન કરવા પાછળ એક ખાસ કારણ છે
મહાભારતનું લેખન શરૂ થયું અને સતત 10 દિવસ સુધી ચાલ્યું હતું
ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. એ દિવસે લોકો ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને તેના 10 દિવસ પછી અનંત ચતુર્દશીના રોજ ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે. જો કે ઘણી જગ્યાએ ગણપતિ વિસર્જન દોઢ દિવસ, પાંચ દિવસ પછી પણ કરવામાં આવે છે. આમતો ગણેશ ઉત્સવ આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગણપતિ માત્ર 10 દિવસ જ કેમ રહે છે? 10 દિવસ પછી ગણેશ વિસર્જન કરવા પાછળ એક ખાસ કારણ છે જે મહાભારત સાથે જોડાયેલ છે.
ગણેશજીના શરીર પર જામી ગઈ હતી ધૂળ
માન્યતા અનુસાર ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. સાથે જ પૌરાણિક કથાઓમાં એ પણ ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસે જ મહાભારતને લખવાની શરૂઆત કરવામાં આવી હતી. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ગણેશજીને પ્રાથના કરી હતી અને એ સમયે ગણેશજી એ એમને કહ્યું હતું કે લખતા સમયે સમયે તેમની કલમ ન અટકવી જોઈએ અને સાથે એમ પણ કહ્યું હતું કે જો તેની કલમ અટકી તો એમને લખવાનું અટકાવી દેવું પડશે. ત્યારે મહર્ષિ વેદ વ્યાસે કહ્યું હતું કે ભગવાન તમે વિદ્વાનોમાં સૌથી આગળ છો અને હું એક સાદો ઋષિ છું એટલા માટે મારાથી શ્લોકમાં કોઈ ભૂલ થાય તો તમે તેને સુધારી આપજો. આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું અને સતત 10 દિવસ સુધી ચાલ્યું હતું.
ગણપતિની સ્થાપના 10 દિવસ સુધી કરવામાં આવે
અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ગણેશજી એમની સામે જ બેઠા હતા અને જરાય હલનચલન ન કરવાને કારણે તેના શરીર પર ધૂળ જામી ગઈ હતી. ત્યાર પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને પોતાના શરીરને શુદ્ધ કર્યું હતું. એટલા માટે જ ગણપતિની સ્થાપના 10 દિવસ સુધી કરવામાં આવે છે અને પછી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.