ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલુ છે, એ જ ચરણમાં ગૃહમંત્રી અમિત શાહે પણ આજે ગુજરાતમાં આવીને મતદાન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મહત્વનું નિવેદન
ગુજરાતના મતદારો રાજ્યને ભાજપનું ગઢ બનાવશે : શાહ
આજે ગુજરાતમાં 6 મહાનગરો માટે યોજાઇ રહ્યું છે પ્રથમ તબક્કાનું મતદાન
આજે નારણપુરાની સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મતદારોમાં વિશ્વાસ દર્શાવ્યો હતો કે તેઓ ગુજરાતને ભાજપનું ગઢ બનાવશે, મહત્વનું છે કે આજે સવારે 7 વાગ્યાથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતના 6 મહાનગરો પણ સામેલ છે.
સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે મતદાન
અમિત શાહે નિવેદન આપતા કહ્યું હતું કે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયું છે, કોર્પોરેશન અને મનપા માટે પણ આજે ચૂંટણી થશે, પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું સંપૂર્ણ પણે આશ્વસ્ત છું કે ગુજરાતના લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે અને ગુજરાતને ભાજપનો મજબૂત ગઢ બનાવશે.'
નોંધનીય છે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરા સબઝોનલ ઓફિસ ખાતે તેમના પરિવાર સહિત મતદાન કર્યું હતું. નોંધનીય છે કે બે તબક્કામાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, અને જેનો બીજો તબક્કો 28 ફેબ્રુઆરીએ થશે., આજે કુલ 575 સીટો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે.
રાજ્યમાં કુલ 6 મહાનગરપાલિકા માટે યોજાઇ રહ્યું છે મતદાન
કોરોનાના નિયમોના પાલન સાથે આજે સવારના 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે, જેમાં આજે રાજ્યના 8માંથી કુલ 6 મહાનગરો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે, જ્યારે કે 81 મ્યુનિસિપાલિટી, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. આજે જે મહાનગરોમાં મતદાન શરુ છે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર માટે મતદાન યોજાઈ રહ્યું છે.જેનું પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ આવશે જ્યારે કે બીજા તબક્કાના મતદાનનું પરિણામ 2 માર્ચના રોજ આવશે.