વિશ્વના તમામ રાષ્ટ્રોની પોતાની આગવી પરંપરા અને ઉત્સવો છે. તેમ આપણું રાષ્ટ્ર પણ ભાતીગળ પરંપરા તથા વિવિધ ઉત્સવોના મેઘધનુષી રંગે રંગાયેલું છે.તેમાં પણ દિવાળીના દિવસો એટલે પરિવાર સાથે મળી ભરપુર આનંદ-ઉલ્લાસ કરવાના દિવસો.નાના બાળકથી શરુ કરી ઘરના મોભી સુધી સૌ આ દિવસો બહુ મસ્તીથી ઉજવતા હોય છે.વિક્રમ સંવત મુજબ બેસતું વર્ષ સબરસ અને અળશ કાઢવાની પ્રથા સાથેની નવી નક્કોર સવાર સાથે શરુ થાય છે. 'અળશ જાય અને લક્ષ્મીજી આવે'ની પરંપરા આજે પણ ગામડાઓ સાચવીને બેઠા છે.
માત્ર તનથી જ નહિ મનથી પણ ઉજવીએ દિવાળી
પરંપરા અને પરિવારનું અનોખું સંયોજન છે પ્રકાશનું પર્વ
અંતરમનથી પ્રગટાવીએ અજવાસ જેનો બારેમાસ રેલાતો રહે પ્રકાશ
થોડા વર્ષો પહેલાના ભૂતકાળની ઝાંખી કરીએ તો યાદ આવે કે દિવાળી અને સાતમ-આઠમ જેવા પરબ (ઉત્સવો)ના દિવસોમાં નવા લૂગડા (કપડાં) ખરીદવાનો રીવાજ હતો.ગામડાની સંસ્કૃતિ મુજબ દેવદર્શન પછી સગા-વહાલાના ઘેર જઈને રામ...રામ...કે જય શ્રીકૃષ્ણ કરી મોં મીઠા થતા.સમય બદલાતા તેનું સ્થાન ઈ-મેઈલ, ફેસબુક, વ્હોટસેપ, ટ્વીટર પર હેપ્પી ન્યૂ યર અને હેપ્પી દિવાલી એ લઈ લીધું છે.
અંતરમાં પથરાયેલા અજવાળા હોલવાતા જાય
ભીંત ભડાકા, ટીલડી, દેરાણી-જેઠાણી, ભો'ચકેડી, લવિંગીયાની જગ્યાએ માનવશરીર અને વાતાવરણને નુકશાન પહોંચાડતા ફટાકડા બજારમાં મળતા થયા છે.દરેક વ્યવસાયમાં પગ પેસારો કરનાર સુપરમાર્કેટે બજારની અસલિયત ખોઈ નાંખી છે.શરુ થતા નવા વરહના મીઠા વધામણા આંગણે દીવડા મુકીને કરાય છે પરંતુ અંતરમાં પથરાયેલા અજવાળા હોલવાતા જાય છે.આ વાત સવારથી મોડી રાત સુધી મોબાઈલ 'મંતરતી' પેઢી જાણતી નથી.
બીજાને પણ એટલું જ જલ્દીથી માફ કરો જેટલું જલ્દી તમે પોતાને માફ કરવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરો છો
એક સરસ વાક્ય છે "બીજાને પણ એટલું જ જલ્દીથી માફ કરો જેટલું જલ્દી તમે પોતાને માફ કરવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરો છો" જીવનમાં કેટલાક એવા પ્રસંગો બનતા હોય છે જેના લીધે આપણા હૃદયને ઠેસ પહોંચતી હોય છે.ક્યારેક કોઈ મિત્ર કે પ્રિયપાત્ર સાથે થયેલો ઝઘડો કે પરિવારના વડીલ સાથે થયેલ બોલાચાલીને લીધે ક્યારેક એવો વિચાર આવે છે કે આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.
નાની-નાની બાબત પર ગુસ્સે થઇ જવું માનવ મનની ખાસિયત છે પણ ક્યારેક આપણાથી કોઈ ભૂલ થઇ જાય તો તરત જ ભગવાન પાસે માફી માંગતા હોઈએ છીએ તો પછી આપણા સ્વજનની ભૂલને આપણે કેમ નથી માફ કરી શકતા એ વાત અજૂગતી લાગે છે.
માફ કરવાની કળા શીખીએ
નવું વર્ષ શરુ થઇ રહ્યું છે ત્યારે માફ કરવાની કળા શીખીએ અને જે સ્વજનોને આપણી કોઈ હરકતને લીધે દુઃખ પહોંચ્યું છે તેમની પાસે જઈ સોરી બોલી અને જેના લીધે આપણી લાગણીને ઠેસ પહોંચી છે તેને મેં તમને માફ કર્યા કહીને તૂટવા જઈ રહેલા સંબંધોને ટકાવી રાખીએ.
આ સંકલ્પનો અમલ આજથી...અત્યારથી જ...કરીએ ખરું ને..??? આવનારું નવું વર્ષ આપના તથા પરિવાર માટે મંગલદાયી નીવડે એ જ પ્રાર્થના સાથે સૌ સ્વજનોને વરહ નવાનાં રામ....રામ....