મુંબઇ : ગૌતમ ગંભીર બાદ વધુ એક ભારતીય ક્રિકેટર રાજનીતિમાં એન્ટ્રી મારવાનું વિચારી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ક્રિકેટ જગતના ભગવાન અને ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરએ તાજેતરમાં શરદ પવારની મુલાકાત લીધી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન તેંડુલકરે આજરોજ વહેલી સવારે NCPના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન શરદ પવારને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જો કે આ મુલાકાત રાજનૈતિક હતી કે પછી વ્યક્તિગત તે અંગે હજી સુધી કોઇપણ પ્રકારે ખુલાસો થઇ શક્યો નથી.
પરંતુ એક તરફ દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને તેની વચ્ચે કેટલીય ફિલ્મ જગતની તથા રમત જગતની હસ્તીઓ રાજનૈતિક પાર્ટીઓ સાથે જોડાઇ રહી છે ત્યારે સચિનની આ મુલાકાતે અનેક તર્ક-વિતર્ક સર્જયા છે.
આપને જણાવી દઇએ કે, સચિન તેંડુલકર અને શરદ પવાર વચ્ચે વર્ષો જુનો સંબંધ રહ્યો છે. UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા શરદ પવાર 2005થી 2008 સુધી BCCI ના અને 2010 થી 2012 વચ્ચે ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ICCC ના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ 2018માં પૂર્ણ થયેલ. તેઓ તત્કાલિન કોંગ્રેસ સરકારના સમર્થનથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. જો કે, પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ભાગ્યે જ સંસદ ગૃહમાં હાજર રહ્યા છે.