આર્થિક સંકટનો સામનો કરી રેહલી જેટ એરવેઝ કંપની પર હજી પણ ખતરાના વાદળો ઘેરાયાં જોવા મળી રહ્યાં છે. જેટ એરવેઝના એક હજારથી વધારે પાયલટ 1લી એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કરી ચૂક્યાં છે. આ પાયલટોને છેલ્લા કેટલાંક મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. પાયલટો દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે શુક્રવારે એરલાઇન બેંકમાંથી રકમ મેળવવામાં નિષ્ફળ ગઇ.
જેટ એરવેઝના પાઇલટ યુનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડ (એનએજી)એ જણાવ્યું હતું કે જો પગાર નહીં મળે તો 1લી એપ્રિલથી પાયલટ વિમાન ઉડાડશે નહીં. 19 માર્ચના રોજ આ ટ્રેડ યુનિયનના 1100 સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો.
પત્રમાં વડાપ્રધાન મોદીને જણાવવામાં આવ્યું હતું કે તેઓ હસ્તક્ષેપ કરે અને કંપની પાયલટોને આપવાની રકમની ચૂંકવણી કરે. ઉલ્લેખનીય છે થોડા સમય પહેલાં જ નરેશ ગોયલે જેટ એરવેઝના બોર્ડ અને ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ નરેશ ગોયલના રાજીનામા બાદ પણ કંપની પરથી સંકટ હજી દૂર થયું નથી.
ચેરમને પદ છોડવાની સાથે જ જેટ એરવેઝમાં નરેશ ગોયલની ભાગીદારી ઘટીને અડધી થઇ ગઇ છે. પહેલા કંપનીમાં નરેશ ગોયલની 51 ટકા ભાગીદારી હતી, જે હવે ઘટીને 25.5 ટકા થઇ ગઇ છે.
આમ આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેજ કંપનીના લગભગ 1000 જેટલા પાયલટ હડતાળ પર ઉતરશે. પહેલી એપ્રિલથી પાયલટે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. એટલું જ નહીં તમામ પાયલટ્સે કંપનીના સી.ઈ.ઓ. વિનય દુબેને પત્ર લખીને પણ આ હડતાળની જાણ કરી છે અને કાયદાકીય પગલા લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.