ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતે સમગ્ર મામલે હિંસાની નિંદા કરી છે.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભારે ઘમાસાણ
સમગ્ર મામલે ભારતે હિંસા તરત જ રોકવા કરી અપીલ
જમીનની સ્થિતિને બદલવાથી બચે બંને દેશ : ભારત
ભારતે રોકેટ હુમલાની કરી નિંદા
ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ત્યારે ભારતે બધા જ પ્રકારની હિંસક ગતિવિધિઓની નિંદા કરી છે સાથે જ હિંસા તાત્કાલિક ઓછી કરવા પર ભાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ TS તિરુમૂર્તિએ બુધવારે ટ્વિટ કરીને કહ્યું પૂર્વી યરૂશલેમમાં તણાવ મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું છે કે ભારત બધા જ પ્રકારની હિંસક ગતિવિધિ, ખાસ કરીને ગાઝાથી કરવામાં આવેલા રોકેટ હુમલાઓની નિંદા કરે છે.
ભારતીય મહિલાનું પણ થયું મોત
તિરુમૂર્તિએ ઈઝરાયલમાં ભારતીય નાગરિકની મોત પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે હિંસા તાત્કાલિક ધોરણે ઓછી કરવાની જરૂર છે અને બંને પક્ષોએ જમીન પર યથાસ્થિતિમાં બદલાવ કરવાથી બચવું જોઈએ.
નોંધનીય છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને રમજાન મહિનાના છેલ્લા શુક્રવારથી બંને દેશો વચ્ચે હિંસા ચાલુ થઈ ગઈ છે. ગાઝા તરફથી હમાસ જેને ઈઝરાયલ આતંકવાદી સંગઠન માને છે તેના તરફથી ઈઝરાયલ પર હજારો રોકેટથી હુમલા કરવામાં આવ્યા, આ પહેલા ઈઝરાયલે પણ ગાઝામાં એરસ્ટ્રાઈક કરી હતી. હમાસના હુમલામાં ઈઝરાયલમાં રહેતી એક ભારતીય મહિલાનું પણ મોત નીપજ્યું હતું.
ભારતે ધીરજ રાખવા કરી અપીલ
નોંધનીય છે કે તાજા જાણકારી અનુસાર બંને પક્ષો તરફથી કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં ગાઝામાં 65 જ્યારે ઈઝરાયલમાં 7 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે ભારતે બંને પક્ષોને ધીરજ રાખવા અપીલ કરી છે તથા બંને પક્ષોને આહવાહન કર્યું છે કે તે જમીનની જે યથાસ્થિતિને બદલવાથી બચે.