ઓસ્ટ્રેલિયાને ચોથી અને આખરી ટેસ્ટમાં હરાવ્યા બાદ ભારતે શ્રેણી જીતવાની સાથે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ સાથે ભારતીય ટીમે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને ખોટા પુરવાર કર્યા હતા.
અનેક ખેલાડીઓની ભવિષ્યવાણીઓ પડી ખોટી
રિકી પોન્ટિંગ, માઇકલ ક્લાર્ક, માઇકલ વોન, બ્રેડ હેડિન, માર્ક વો જેવા ખેલાડીઓને ખોટા પુરવાર કર્યા
ભારતીય બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લીધી મજા
ગાબામાં 33 વર્ષ પછી ટેસ્ટ મેચ હાર્યું ઓસ્ટ્રેલીયા
ભારતીય ક્રિકેટ ટીમે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં જિતની સાથે અનેક વિક્રમો તોડી નાખ્યા છે. સતત બીજી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવાની સાથે ભારતીય ટીમે એ કરી બતાવ્યું હતું જે છેલ્લા 33 વર્ષમાં કોઈપણ ટીમ કરી શકી નથી. ઓસ્ટ્રેલિયાના ગાબામાં 33 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમે અને ભૂતપૂર્વ ક્રિકેટરોની બોલતી બંધ કરાવી દીધી હતી.
પ્રથમ ટેસ્ટમાં માત્ર 36 રનના ટોટલ સ્કોર પર ઓલઆઉટ થઇ હતી ટીમ
ટેસ્ટ સિરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ માત્ર 36 રનના ટોટલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલીયા સહિતના ઘણા ક્રિકેટરોએ ભવિષ્યવાણી કરી હતી કે ભારત 4-0 થી સીરિઝ હારશે. આ ક્રિકેટર્સમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ, માઇકલ ક્લાર્ક, માર્ક વો જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેસ્ટમેન હેડીને કહ્યું હતું કે ભારત પાસે માત્ર એડિલેડમાં જીતવાની તક હતી પરંતુ બીજા મેદાનમાં જીતવું તો વધારે અઘરું રહેશે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન ટ્વિટર પર બીજા ખેલાડીઓની ચૂટકી લેવા માટે જાણીતો છે. માઇકલ વોને પણ ભારત પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ કહ્યું હતું કે ભારત આ શ્રેણી ખરાબ રીતે હારશે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમે એ કરી બતાવ્યું હતું જે અનપેક્ષનીય અને અભૂતપૂર્વ પરાક્રમ હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ગઢ સમાન ગાબામાં પછાડવાની સાથે સતત બીજી વાર શ્રેણી કબજે કરી હતી.
અનેક મુખ્ય ખેલાડીઓ વગર રમી હતી ભારતીય ટીમ
ભારતીય ટીમનો આ વિજય એટલા માટે પણ મહત્વનો છે કે આ શ્રેણી દરમિયાન ટીમના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં જસપ્રીત બૂમરાહ,ઉમેશ યાદવ,રવીન્દ્ર જાડેજા,અશ્વિન,હનુમા વિહારી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. તો ભારતીય કપ્તાન વિરાટ કોહલી પણ ટીમમાં હાજર ન હતા. આવા સમયે પણ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા હતા.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લીધી મજા
ભારતના શાનદાર વિજય બાદ ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ ભવિષ્યવાણી કરનાર ક્રિકેટરોના નિવેદનોનો ફોટો શેર કરતાં કહ્યું હતું કે, "તમારા શબ્દોને કઇ રીતે ખાવાનું પસંદ કરશો?" આ સાથે તેમણે ભારતીય ટીમના વખાણ પણ કર્યા હતા.