બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / ગીતા પરની આસ્થાએ જન્મજાત ખામી ધરાવતા પર્વને દોડતો કર્યો, હવે ગિટાર સાથે ગીતાનો ગૂંજારવ કરાવે છે માત્ર 7 વર્ષનો પર્વ
Vishal Dave
Last Updated: 05:58 PM, 6 May 2024
ઇચ્છાશક્તિ, આત્મબળ, દ્રઢ વિશ્વાસ આ શબ્દો આપણે ઘણી બધી વખત સાંભળ્યા છે.. પરંતુ તેને આત્મસાત કરનાર કેટલા ? ઇચ્છાશક્તિની તાકાત, આત્મબળનો પરચો અને દ્રઢ વિશ્વાસનું પરિણામ ઉંચામાં ઉંચા સ્તરે શું હોઇ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ડો. કૃપેશ ઠક્કર.પરંતુ આજની આપણી વાતનો હીરો છે પર્વ ઠક્કર. ઉંમર તો માત્ર એની સાત વર્ષ જ છે. પરંતુ, આ સાત વર્ષમાં તેણે જે મુકામ હાંસલ કર્યો છે, તે આપણા જેવા લાખો લોકો માટે સ્વપ્ન સમાન છે.
ADVERTISEMENT
શું છે ક્લબફૂટ બીમારી?
જો કે, પર્વની અક્લ્પનીય સફળતાની વાત શરૂ કરીએ એ પહેલા એક એવી વાત જાણી લઈએ, જેનાથી તમારી પર્વને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જશે. એકદમ માસૂમ એવા આ પર્વને એક રેર બીમારી છે. પર્વ આ બીમારી સાથે જ જન્મ્યો છે. આને આપ બીમારી પણ કહી શકો છો અને જન્મજાત ક્ષતિ પણ. જેની સમયસર સારવાર કરાવી લો તો તે સાવ મામુલી છે.. અને સમય ગુમાવી દો તો જટિલ. દુનિયા એને ‘ક્લબફૂટ’ના નામથી ઓળખે છે. એક એવી શારીરિક ક્ષતિ જે દર એક હજાર બાળકોએ સરેરાશ 1 થી 4 બાળકોમાં જોવા મળતી હોય છે.
ADVERTISEMENT
પર્વ સંપૂર્ણ થયો સ્વસ્થ
આ ક્ષતિમાં જન્મ સમયે બાળકના પગ અંદરની તરફ વળેલા હોય છે.અને તેને ટેલિપ્સ ઇક્વિનોવેરસ પણ કહેવામાં આવે છે. પર્વનો જન્મ આ બીમારી સાથે જ થયો હતો. જો કે માતા-પિતાની મહેનત અને શ્રદ્ધાથી આજે પર્વ આ જ બીમારી સામે લડવા માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉભરી રહ્યો છે. ક્લબફૂટની ક્ષતિ સાથે જન્મેલો બાળક પણ સમયસર સારવારથી બિલકુલ સ્વસ્થ થઇને નોર્મલ બાળકની જેમ જ રમી શકે છે, દોડી શકે છે, ઉછળી શકે છે, કુદી શકે છે.. એટલે સુધી કે કોઇ તેને જોઇને કોઇ કહી પણ ન શકે કે તેનો જન્મ ક્લબ ફૂટ સાથે થયો હતો.
શ્રીમદ ભગવદ્ ગીતાની અસીમ શક્તિની કહાની
પર્વનો જન્મ ક્લબફૂટની બીમારી સાથે થયો હતો, પરંતુ હવે તો પર્વ રેસમાં પણ ભાગ લઈ શકે, તેટલી હદે સ્વસ્થ છે. આ કહાની ન તો એકલા પર્વની છે ન તો માત્ર કલબફૂટની બીમારીની. આ કહાની હિંમતની છે.ધીરજની છે. આત્મવિશ્વાસની છે..અને સૌથી વધારે તો શ્રીમદ ભગવત ગીતાની અસીમ શક્તિની.
....જ્યારે ખબર પડી કે ગર્ભમાં રહેલું બાળક ક્ષતિગ્રસ્ત છે
એ વર્ષ હતું 2017નું. ડૉ. કૃપેશ ઠક્કર પોતાની પત્ની સાથે અંજારના એક પ્રસિદ્ધ ગાયનેકના દવાખાનામાં હતા. તેમના પત્ની ડૉ. પૂજા ઠક્કરને પ્રેગનેન્સીનો પાંચમો મહિનો ચાલી રહ્યો હતો. ડૉ. કૃપેશના હાથમાં પત્નીનો સોનોગ્રાફીનો રિપોર્ટ હતો. પત્ની ડૉ. પૂજા ઠક્કર ના ચહેરા પર ચિંતાના ભાવ સાથે ક્યારેક એ રિપોર્ટ પર તો ક્યારેક પતિના ચહેરા પર નજર ફેરવી રહી હતી. હવે શું કરશું? રિપોર્ટ કહેતો હતો કે તેમનું આવનારું બાળક ક્લબફૂટની સમસ્યા ધરાવે છે.. સરળ શબ્દોમાં કહીએ તો બાળકનો પગ વાંકો છે.. તે નોર્મલ વ્યક્તિની જેમ ચાલી નહીં શકે.
બાળકને જન્મ આપીને તેની સારવાર કરાવવાનો નિર્ણય
એબોર્શન કરાવવું સહેલું હતું. એની સામે એવું કારણ આપવું પણ સહેલું હતું કે આવું બાળક દુનિયામાં આવે તો પણ આખી જિંદગી હેરાન થાય માટે તેને દુનિયામાં ન લાવવું જ સારું (સારુ), પણ ડૉ.કૃપેશ અને ડૉ. પૂજા ઠક્કર નોખી માટીના બનેલા જીવો હતા.. તેમના મનમાં એબોર્શનનો વિચાર તો દુર-દુર સુધી નહોતો આવ્યો.. હવે શું કરશું. એ સવાલ એટલા માટે ઉઠ્યો હતો કે આ બાળકને આ દુનિયામાં લાવીને કઈ રીતે તેને એક નોર્મલ વ્યક્તિ જેવી જિંદગી આપીશું .. બન્નેએ એકમેકની આંખોમાં આંખો પરોવી મક્કમતાથી સાંકેતિક ઉત્તર આપી દીધો કે કમ વોટ મે (જે થવું હોય એ થાય.) આપણા બાળકને આ દુનિયામાં લાવીશું અને તેને દોડતો કરીશું.
આ ફક્ત એકમેકને આપેલો દિલાસો નહોતો એકમેકને આપેલું આશ્વાસન નહોતું (નહોતુ) પરંતુ આ શબ્દોની અંદર એક પ્રચંડ વિશ્વાસ હતો. આ વિશ્વાસ ન તો પોતાની આવડત પર હતો, ન તો વર્તમાન સમયના તબીબી વિજ્ઞાનની સફળતા પર.. આ વિશ્વાસ હતો ફકતને ફક્ત સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હોઠેથી જે નીકળેલી ભગવદ્ ગીતા પર, સ્વયં ભગવાન કૃષ્ણ પર, કૃષ્ણના મુખેથી ગીતા સાંભળીને હર ઘડી તેમના મુંઝવતા પ્રશ્નોના ઉત્તર આપતા એ અર્જુન પર જેને તેઓ હવે પોતાનો આત્મા ગણતા હતા.
ભગવદ્ ગીતા પરનો અતૂટ વિશ્વાસ
ડૉ. કૃપેશ ઠક્કરનો ભગવદ્ ગીતા પરનો અતૂટ વિશ્વાસ નવો-નવો નહોતો.. એ તો ત્યારથી જ શરૂ થઈ ચૂક્યો હતો. જ્યારે તેઓ 18 વર્ષના હતા અને તબીબી અભ્યાસ દરમ્યાન ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. ત્યારે ભગવદ્ ગીતા તેમની સંજીવની બની હતી. તેમણે ભગવદ્ ગીતાનું પઠન શરૂ કર્યું હતું, આ જ અરસા દરમ્યાન તેમણે સંગીતની તાલીમ લીધી અને ગિટાર વગાડતા શીખ્યા.
ગિટારના તાર પર ગીતાના શ્લોકોને એક અનોખા સ્વરૂપમાં લાવવાની શરૂઆત બસ અહીંથી જ થઈ. ગીતા અને ગિટારે બહુ ઝડપથી તેમને ડિપ્રેશનમાંથી બહાર લાવી, એક આત્મવિશ્વાસથી ભરપૂર જિંદગી જીવતા કરી દીધા. બસ ત્યારથી ભગવદ્ ગીતાનું પઠન તેમનો નિત્યક્રમ બની ગયો હતો.. અને ગિટાર પર ગીતાના શ્લોકોને એક અનોખી રીતે રજુ કરવા એ તેમનું પેશન. આ ક્રમ અને આ પેશનમાં છેલ્લા 24 વર્ષમાં કોઇ બ્રેક નહોતો પડ્યો.
અર્જુન એટલે આત્મા
ગીતાને એ ગિટારના માધ્યમથી પોતાના શરીરના અણુએ અણુમાં ઉતારતા ગયા. જો કે અહીં બધાથી અલગ વાત એ હતી કે ડૉ. કૃપેશ ઠક્કર તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા આવે તો તેનો ઉત્તર ભગવાન કૃષ્ણને નહીં પરંતુ તેમના મુખેથી ગીતા સાંભળનાર અર્જુનને પૂછતા.. અને મનમાં બેઠેલો અર્જુન તેમને દરેક સમસ્યામાં માર્ગદર્શન આપતો. આ અર્જુન એટલે તેમનો આત્મા.. જે છેલ્લા 24 વર્ષથી ભગવદ્ (ભગવત) ગીતાના રંગમાં રંગાઇ ચૂકેલો હતો..આ વખતે પણ મનમાં બેઠેલા અર્જુને ડૉ. કૃપેશને ઉત્તર આપી દીધો હતો કે તું આગળ વધ.. કોઈ ચિંતા ન કર. તારું બાળક આ દુનિયાને એક નવો સંદેશ આપશે..
ભગવદ્ ગીતાની શક્તિથી બાળકને સ્વસ્થ કરવાનું મિશન
ચાર મહિના ઝડપથી વીતી ગયા. પત્ની ડૉ. પૂજા ઠક્કર અને દિકરી વાચા ઠક્કર સાથેના ત્રણ સભ્યોના પરિવારમાં ચોથા સભ્યનું આગમન થયું. દેવરૂપ જેવા તેજસ્વી દીકરાને તેમની પત્નીએ જન્મ આપ્યો. પરંતુ સોનોગ્રાફીમાં આવેલા રિપોર્ટ પ્રમાણે જ પુત્રના પગ અંદરની તરફ વળેલા હતા.. ક્લબફૂટની સમસ્યા સાથે બાળકનો જન્મ થયો હતો બાળકના જન્મ સાથેજ ડૉ. કૃપેશ અને તેમના પત્ની ડૉ. પૂજા ઠક્કરના એક નવા મિશનની શરૂઆત થઈ. એ મિશન હતું ભગવદ્ ગીતાની અંદર રહેલી અદ્રશ્ય શક્તિથી તેમના આ સંતાનને સ્વસ્થ કરવું... દોડતું કરવું.. એટલું જ નહીં આ મિશનને સફળ બનાવી દુનિયાને ભગવદ્ ગીતાના સામર્થ્યનો પરિચય કરાવવો.
પર્વ ભાખોડિયા ભરતા પણ નહોતો શીખ્યો ત્યારથી ડૉ. કૃપેશ ઠક્કર તેની પાસે બેસી ભગવદ્ ગીતાનું પઠન કરતા. પર્વના નાનકડા કાન ગીતાના દરેક અધ્યાયના સાક્ષી બનતા ગયા. ગીતાના શ્લોકની સાથે-સાથે પર્વ જલારામ મંત્ર, હનુમાન મંત્ર જેવા વિવિધ મંત્રો હજુ તો 2 વર્ષનો પણ નહોતો થયોને બોલતો થઇ ગયો હતો..
1 વર્ષ ને 11 મહિનાની ઉંમરે પહેલું આલ્બમ
1 વર્ષ ને 11 મહિનાની એ ઉંમરે જ્યારે બાળકો મોમાં અંગુંઠો નાખીને ચૂસતા હોય છે.. તે ઉંમરે પર્વનું પહેલું મ્યુઝિક આલ્બમ લોન્ચ થઈ ગયું હતું. સમય જેમ જેમ આગળ વધતો ગયો પર્વ વધારેને વધારે ખીલતો ગયો.ડૉ. કૃપેશ એ પુત્ર પર્વના નામ પર દુનિયાનું પહેલું એવું ફ્યુઝન બેન્ડ શરૂ કર્યું. જે ઇન્ડિયાનું ફર્સ્ટ ફેમિલી મ્યુઝિક બેન્ડ છે. જેને નામ અપાયું પર્વ ફ્યુઝન બેન્ડ. ડૉ. કૃપેશ આ બેન્ડને ફ્યુઝન બેન્ડ કેમ ગણાવે છે તે સવાલ પણ અહીં અચૂક થાય તો તેનો જવાબ એ છે કે તેમનું આ બેન્ડ ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિનો સમન્વય કરે છે. તેમાં સનાતન સંસ્કૃતિની છબી તો છે જ પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ અને પશ્ચિમી સંગીતની સારી બાબતોને પણ આવરી લેવાઈ છે..
આ પણ વાંચોઃ ગાંધીનગરની અનોખી શાળા, જ્યાં વિદ્યાર્થીઓ સુંઘીને, સાંભળીને, સ્પર્શીને નક્કી કરે છે કે 'જીવનની દિશા'
ગિટાર પર ભક્તિયોગ
એક તરફ પર્વની ક્લબફૂટની સારવાર ચાલતી રહી બીજી બાજુ ગીતાના જ્ઞાન સાથે જોડાયેલા તેના સંગીતમય કાર્યક્રમો યોજાતા રહ્યા. આ કાર્યક્રમોમાં ડો.કૃપેશ ઠક્કર તેમની પત્ની ડૉ. પૂજા ઠક્કર, દિકરી વાચા પણ જોડાતા. પરંતુ કાર્યક્રમનો હિરો તો પર્વ જ રહેતો.. પર્વ ગિટાર પર ભક્તિયોગ ગાતો ગયો અને કર્મયોગને સાર્થક કરતો ગયો.. તેના પગ પણ ધીરે-ધીરે સારા થતા ગયા. જેના અણુ એ અણુમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાતકાર કરાવતી ભગવદ્ (ભગવત) ગીતા સમાયેલી હોય તેના સ્વસ્થ થવામાં પછી નવાઈ શું હોય.
હોસ્પિટલની અંદર ગીતાનું પઠન
ગયા વર્ષે જ પર્વનું અંતિમ ઓપરેશન પણ થઇ ગયું.. ઓપરેશન પૂર્ણ થયા પછી પર્વ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલની અંદરજ ગૂંજે ગીતાનું પઠન કરવામાં આવ્યું હતું..હોસ્પિટલની અંદર ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન થયું હોય તેવી કદાચ આ પહેલી ઘટના હતી.પર્વ આજે ચાલતો જ નહીં પરંતુ દોડતો થઈ ગયો છે.. બિલકુલ કોઇ નોર્મલ બાળકની જેમ જ. આને ભગવદ્ ગીતાની શક્તિ નહીં તો બીજું શું કહીશું. આજે 'ગૂંજે ગીતા' થકી પર્વ ફયુઝન બેન્ડ ન માત્ર ક્લબફૂટને લઈને જનજાગૃતિ ફેલાવે છે પરંતુ ગિટાર પર ભગવદ્ ગીતાના શ્લોકોને ખુબજ સુંદર રીતે પરફોર્મ કરે છે.
આ કાર્યક્રમોમાં સનાતન સંસ્કૃતિ સાથે પશ્ચિમી સંસ્કૃતિની ભારતીય સંસ્કૃતિ સાથે તાલ મેળવતી બાબતોને સંગીતમાં લયબદ્ધ રીતે ક્લબ કરી ગિટાર પર પરફોર્મ કરવામાં આવે છે.. અને દુનિયાને બતાવવામાં આવે છે કે જો ભગવદ્ ગીતા એક પર્વને સ્વસ્થ કરી શકે છે તો તેના જેવા બીજા લાખો પર્વને પણ ઠીક કરવાનું સામર્થ્ય ધરાવે છે. ગુજરાતભરમાં પર્વ ફ્યુઝન બેન્ડના કાર્યક્રમો યોજાય છે. પર્વ 50થી વધુ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા ગીતો આધુનિક સંગીતની ધૂન પર ગાય છે.. અત્યાર સુધી આવા 100થી વધુ કાર્યક્રમોમાં નાનકડો પર્વ પરફોર્મ કરી ચૂક્યો છે.. માત્ર પર્વ એકલો જ નહીં. તેમનો આખો પરિવાર આ કાર્યક્રમોમાં જોડાય છે.
પર્વની આ કાબિલિયત જોઈને વર્ષ 2019માં હંગામા મ્યૂઝિકે પર્વ ઠક્કરને રાઇઝિંગ સ્ટારનું બિરુદ આપીને તેના 15 ગીતોનું આલ્બમ વૈશ્વિક સ્તરે રજુ કર્યું હતું.
પર્વના દેશભક્તિ સાથે જોડાયેલા સાત ગીતોના આલ્બમનું (આલ્બમનુ) વિમોચન ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.. આ સાત ગીતોમાં જન ગણ મન, અય વતન, વંદે માતરમ, હૈ નમન - શહીદો કો સલામ, તેમજ જન ગણ મન નોટેશનનો સમાવેશ થાય છે. તો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ સાત ભક્તિ ગીતોના આલ્બમ ધ ક્લબફૂટ વોરિયર નુ વિમોચન કરવામાં આવ્યુ. આ ગીતો 200 થી વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવેલા છે.
આટલી નાની ઉંમરે ક્લબફૂટ માટે જાગૃતિ ફેલાવવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પર્વ પ્રશસ્તિપત્ર મેળવી ચૂક્યો છે.
ક્લબફૂટને લઈને તેનું જનજાગૃતિ અભિયાન હવે દેશના સીમાડાઓ વટાવી વૈશ્વિક સ્તરે પહોંચી ચૂક્યું છે. ભારતમાં રમાતી આઇપીએલ જેવી અમેરિકામાં રમાતી ટ્રાયએન્ગલ ક્રિકેટ લીગની 100 જેટલી ટીમોમાંથી 5 ટીમોએ આઈ સપોર્ટ ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વનો લોગો લગાવ્યો છે..
પર્વની આ યાત્રામાં જો આપણે તેના માતા-પિતાના યોગદાનના વખાણ ન કરીએ તો આ લેખ અધુરો ગણાશે. પિતા કૃપેશ ઠક્કરે નાનપણથી જ તેને ભક્તિની શક્તિથી પરિચિત કરાવી દીધો હતો. કૃપેશભાઇએ દીકરાનું પોષણ ભૌતિક જગતની વસ્તુઓથી કરવાને બદલે ભગવદ્ ગીતાની અંદર સમાયેલા જાદુઇ ખજાનાથી કર્યું અને તેમની પત્ની ડૉ. પૂજા ઠક્કરે એક આદર્શ પત્ની અને આદર્શ માતા બનીને તેમની આ યાત્રામાં તેમને મજબૂત ખભો પૂરો પાડ્યો.
કૃપેશભાઇએ અર્જુનની જેમ ગીતાને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો છે.. અને એમાં ક્યાંકને ક્યાંક એ સફળ પણ રહ્યા છે તેમ કહેવું પણ ખોટું નહીં ગણાય. જયારે તેમની દીકરી વાચા તેમને પૂછે છે કે 'પપ્પા કાનો ક્યાં છે?' ત્યારે દીકરી સાથે તેઓ તેની સમકક્ષ બનીને તેને સમજાય તેવી સરળ ભાષામાં તેની મૂંઝવણનો ઉકેલ આપે છે. એક પિતા અને પુત્રીનો આ સંવાદ 'અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુલ યાત્રા'નામના પુસ્તક તરીકે રજુ થયો.. જે પુસ્તક આજે વર્લ્ડ બેસ્ટ સેલરની યાદીમાં સ્થાન બનાવી ચૂક્યું છે.
ભગવદ્ ગીતા સાથે રામાયણનો અનોખો સમન્વય
ડૉ.કૃપેશ ઠક્કર હવે ભગવદ્ ગીતાની સાથે-સાથે રામાયણની વર્તમાન જગત સાથે અનુકૂલન સાધે તેવી બાબતોનો ભગવદ્ ગીતાના શ્લોકો સાથે સમન્વય કરીને એક નવું જ સમીકરણ આજના ભૌતિક જગત સમક્ષ મુકી રહ્યા છે.. તેમના અન્ય પુસ્તકોથી પ્રેરિત નવો પ્રોજેક્ટ 'ચલો રામ બને' બાળકોમાં ભગવાન રામના ગુણોનું સિંચન કરી રહ્યો છે.. તો મા પર્વ ના વિવિધ કાર્યક્રમો થકી તેઓ માતાના 11 સ્વરૂપોથી દુનિયાનો પરિચય કરાવી રહ્યા છે.
વધુ વાંચો: ગાંધીનગરની અનોખી શાળા, જ્યાં વિદ્યાર્થીઓ સુંઘીને, સાંભળીને, સ્પર્શીને નક્કી કરે છે કે 'જીવનની દિશા'
નાનકડો પર્વ જો 'ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ' નો બ્રાન્ડ એમ્બેસેડર હોય તો તેની એ એમ્બેસેડર કારનું સ્ટિયરિંગ પોતાના હાથમાં લઈ તેને દરેક આરોહ-અવરોહથી પાર કરાવી ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડનારા તેના પિતા કૃપેશભાઈ છે.
સાત વર્ષની સંઘર્ષથી સફળતા પુસ્તક સ્વરૂપે
ક્લબફૂટ જેવી જટિલ બીમારી સામે જનજાગૃતિ ફેલાવવા ની આ સાત વર્ષની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાને 'અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ' પુસ્તક રૂપે ૨૦૨૪ માં પર્વના જન્મદિવસ નિમિત્તે વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે. કર્મયોગ થકી આજની નવી પેઢીને સનાતન સંસ્કૃતિની શક્તિનો પરિચય કરાવી એક ઉમદા રાહ ચીંધવા બદલ વીટીવી ન્યૂઝ આ પિતા-પુત્રની જોડીને સલામ કરે છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT