ગુજરાતની સાત બેઠકમાંથી 6 બેઠકો પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદની અમરાઇવાડી, થરાદ, ખેરાલું, લુણાવાડા, રાધનપુર અને બાયડમાં પેટાચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસે કેટલીક બેઠકો પરથી સંભવિત ઉમેદવારોનું ગણિત તૈયાર કરી દીધું છે.
21 ઓક્ટોબરે ગુજરાતની 6 બેઠક પર યોજાશે પેટાચૂંટણી
ભાજપ-કોંગ્રેસના સંભવિત ઉમેદવારો
24મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે
ગુજરાતની વધુ બે વિધાનસભા બેઠક બાયડ અને રાધનપુરની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને બેઠકો પર પણ આગામી 21મી ઓક્ટોબરે જ મતદાન યોજાશે. 24મી તારીખે મતગણતરી થશે. આ પહેલા ગત રોજ રાજ્યની અન્ય ચાર વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હજૂ પણ એક બેઠક મોરવા હડફની પેટાચૂંટણી અંગે જાહેરાત બાકી છે.
રાધનપુર બેઠક પરથી સંભવિત ઉમેદવારો
રાધનપુર અને બાયડ બેઠક પર સંભવિત ઉમેદવારોના નામ પણ સામે આવી રહ્યા છે. જેમાં રાધનપુર બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, અને લવિંગજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ડોક્ટર ગોવિંદ ઠાકોર અને રઘુ દેસાઈનું નામ સામે આવી રહ્યું છે.
બાયડ બેઠક પરથી સંભવિત ઉમેદવારો
બીજી તરફ બાયડ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપમાં ધવલસિંહ ઝાલા અને મહેન્દ્રભાઈ પટેલનું નામ સામે આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસમાં જશુભાઈ પટેલ, માનવેન્દ્રસિંહ સોલંકી અને અશોકસિંહ પરમારનું નામ સામે આવી રહ્યું છે. જોકે આ તો સંભવિત ઉમેદવારો છે. પરંતુ આમાંથી કોના નામ પર ભાજપ-કોંગ્રેસ ફાઈનલ મહોર લગાવે છે. તે તો સત્તાવાર જાહેરાત બાદ જ જાણી શકાશે.
અમરાઇવાડી બેઠકને લઇને ભાજપના સંભવિત નામ
અમરાઇવાડી બેઠક પરના ભાજપના સંભવિત નામો આવ્યા સામે છે. જેમાં પૂર્વ મેયર આશિત વોરા, મહેશ કસવાલા, કમલેશ પટેલ અને અમૂલ ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે. આ બેઠક સાંસદ હસમુખ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહનું વર્ચસ્વ હોવાથી નિશ્ચિત બંનેના નજીક અને વિશ્વાસુને જ ટિકિટ મળશે.
લૂણાવાડા બેઠકને લઇને ભાજપના સંભવિત નામ
લૂણાવાડા બેઠકને લઇને ભાજપના સંભવિત ઉમેદવારોમાં જે. પી. પટેલનું નામ મોખરે છે. જે. પી. પટેલ ભાજપ જિલ્લાના પ્રમુખ છે. ત્યારે તેમનું નામ ચર્ચામાં છે.
થરાદ બેઠકનું ગણિત
પરબત પટેલ સાંસદ બનતાં આ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર ચૌધરીઓનું પ્રભુત્વ હોવાથી ભાજપ હંમેશા ચૌધરી ઉમેદવાર જ ઉતારતું આવ્યું છે. થરાદ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ઉઠી છે. ગત રોજ બાદ આજે પણ બેઠકોનો દૌર સતત ચાલી રહ્યો છે. કારણ કે, અહીં સ્થાનિક ઉમેદવાર મદનલાલ પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે. આ સાથે-સાથે પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ અને શંકર ચૌધરીના નામને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. જોકે અહીં મદનલાલ પટેલનું નામ મોખરે માનવામાં આવી રહ્યું છે. કારણ કે, થરાદ ભાજપના તેઓ વરિષ્ઠ અગ્રીણી માનવામાં આવી રહ્યા છે.
સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇએ ટિકિટ માંગી
રાજ્યમાં જાહેર થયેલી પેટાચૂંટણીની તારીખને લઇને ખેરાલુ બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક ભરતસિંહ ડાભી સાંસદ બનતા બેઠક ખાલી પડી છે. આમ ખેરાલું સીટ પર ઠાકોર-ચોધરી મતદાર ખાસ મહત્વના છે. આ બેઠક પર કોંગ્રેસ કરતાં ભાજપ હંમેશા મજબૂત જોવા મળી રહ્યું છે. સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈએ ટિકિટ માંગણી કરવા પર ભરતસિંહે કહ્યું હતું કે, ભાજપ ટિકિટ આપશે તો જ ચૂંટણી લડશે.
અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી
રાધનપુર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ બેઠક પર ભાજપ તરફથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. પેટાચૂંટણીની જાહેરાત થાય તે પહેલા અલ્પેશની મુશ્કેલીમાં વધારો થયો છે. સાંતલપુરના ઠાકોર સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા. આ દરમિયાન ઠાકોર સમાજના મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મગનજી ઠાકોર અપક્ષ તરફથી ઉમેદવારી નોંધાવે તો અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મગનજી ઠાકોર પણ સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. રાધનપુર બેઠક ઠાકોર સમાજની નિર્ણાયક ભૂમિકા છે. ત્યારે હવે મગનજી ઠાકોર ઉમેદવારી નોંધાવે તો અલ્પેશના વોટ કપાય તેવી શક્યતા છે.