અમદાવાદઃ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજનાં રોજ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવશે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક માટે અમિત શાહનું નામ જાહેર થયાં બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત આવ્યાં છે.
આપને જણાવી દઇએ કે, અમિત શાહ આજનાં રોજ ઉમેદવારી પત્રક ભરવાનાં છે. તેઓ ગાંધીનગર બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. અમિત શાહ સીએમ રૂપાણી, નીતિનભાઇ પટેલ, પ્રમુખ વાઘાણી સહિતનાં પક્ષનાં અન્ય આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં આ ઉમેદવારી ફોર્મ ભરશે.
અમિત શાહઃ
ભારતીય રાજનીતિનાં આધુનિક ચાણક્ય તરીકે જાણીતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ત્યારે આજે અમિત શાહે ચાર કિલોમીટર લાંબા અને ત્રણ કલાક રોડ શો પહેલાં સરદાર ચોકમાં 'ભારત માતા કી જય'નાં નાદ સાથે જનસભાને સંબોધન કરતાં જણાવ્યું કે, "આજે મને 1982ની યાદ આવી ગઈ. 1982માં હું અહીં બૂથ કાર્યકર્તા તરીકે જોડાયો હતો.
નારણપુરા વિસ્તારમાં હું પોસ્ટર અને પરચીઓ ચિપકાવતો હતો અને આજે હું આ પાર્ટીનો અધ્યક્ષ છું. આજે મારી પાસે જે કંઈ પણ છે તે ભાજપનાં હિસાબે જ છે. ભાજપનાં તમામ જૂના સાથીઓનું ગુજરાતમાં સ્વાગત છે. હું જનતાની વચ્ચે રહેનારો વ્યક્તિ છું. આજે ચૂંટણી માત્ર એક જ વાત પર લડવામાં આવશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે.
દેશનાં ખૂણે ખૂણેથી મોદી-મોદી અવાજ જ આવી રહ્યો છે. મોદીજી નિશ્ચિત રૂપે એક વાર ફરી દેશનાં પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યાં છે. હું ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે ગુજરાતની તમામ 26 સીટો નરેન્દ્ર મોદીને આપી દો અને શાનથી પ્રધાનમંત્રી બનાવો."
ત્યારે મહત્વનું છે કે અમિત શાહ આજે ઉમેદવારી પત્રક ભરવા જઇ રહ્યાં છે ત્યારે હાલમાં તેઓનો રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં તેઓ નારણપુરા ચાર રસ્તાથી નારણપુરા ક્રોસ રોડ, અંકુર ક્રોસ રોડ, શાસ્ત્રી શાક માર્કેટ, રન્ના પાર્ક, ઘાટલોડિયા, પ્રભાત ચોક, પાટીદાર ચોક થઇને ગાંધીનગર સુધીનાં આ રોડ શોમાં ભાજપનાં કેન્દ્રીય મંત્રીઓ પણ શામેલ થયાં છે.
મહત્વનું છે કે અમિત શાહની આ વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, રામવિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પંજાબનાં પૂર્વ CM પ્રકાશસિંહ બાદલ પણ હાજર રહ્યાં છે. અમદાવાદમાં આજે કેન્દ્રીય નેતાઓનો જમાવડો જામ્યો છે. ત્યારે આ તમામ દિગ્ગજ નેતાઓએ આ સંકલ્પ સભામાં સંબોધન કર્યુ હતું.
રામવિલાસ પાસવાનઃ
કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને અમિત શાહની જીતની આશા વ્યક્ત કરી છે તેમજ રાહુલ ગાંધીની ખેડૂતો માટેની 'ન્યાય' યોજના અંગે પણ કટાક્ષ કર્યો. કોઈ નથી જાણતું કે 72 હજાર ક્યાં છે અને કોણ આપી રહ્યું છે. ચૂંટણીનો સમય છે એટલે ચંદ્રમા જોઈએ તો ચંદ્રમા આપી દેશે. રામ વિલાસ પાસવાને કહ્યું કે, અમિત શાહ દેશનાં મહાન નેતા છે. 2019માં અમે એક થઇને કામ કરીશું. ગુજરાતની જનતા ફરી જીત અપાવશે.
અમિત શાહે NDAને નવી ઉંચાઇ સુધી પહોંચાડી છે. આજે આખા દેશમાં ક્યાંય કોંગ્રેસનું નામોનિશાન નથી. ક્યાંક ગઠબંધન લઠબંધનમાં પરિવર્તન પામ્યું છે. 2014 કરતાં વધુ બેઠકો સાથે 2019માં ભાજપની જીત થશે. 2019માં પ્રધાનમંત્રી પદ માટે હાલમાં કોઇ જ જગ્યા નથી. અમારી સરકાર ગરીબોની સરકાર છે. તેમજ રામ વિલાસ પાસવાને ગુજરાતનાં ખેડૂતોની સ્થિતિ અને રામ મંદિર અંગે પણ વાત કરી.
નીતિન ગડકરીઃ
અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યાં છે. ત્યારે અમિત શાહનાં આગમનને લઈને અમદાવાદમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ આજે અમદાવાદ આવી પહોંચ્યાં છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, 'ભાજપની સરકાર બનશે અને પીએમ મોદી ફરી એક વાર પ્રધાનમંત્રી બનશે. તેમજ ભાજપની જંગી જીત થશે તેવો દાવો પણ નીતિન ગડકરીએ કર્યો છે.'
ઉદ્ધવ ઠાકરેઃ
અવાર નવાર ભાજપ પર અને પીએમ મોદી પર પ્રહાર કરનાર શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ અમિત શાહની આજની આ ભવ્ય રેલીમાં હાજરી આપી. ત્યારે આ કાર્યક્રમમાં શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંબોધન કરતા જણાવ્યું કે, "મારી હાજરીથી ઘણાંને તકલીફ પહોંચી હશે. કેટલાંક લોકોનું પેટ પણ દુખ્યું હશે.
પરંતુ જેમને તકલીફ છે એમનો ઇલાજ મારી અને અમિત શાહ પાસે છે. અમે તમામ વિવાદો ઉકેલી લીધાં છે. અમારી અને ભાજપની વિચારધારા એક છે. હિંદુત્વ એ અમારો શ્વાસ છે. એક વિચારધારાવાળાં 2 પક્ષને લડતા જોઇને ઘણાંને આનંદ થતો હતો. અમે આ વખતે ઐતિહાસિક જીત મેળવીશું."