કચ્છના નાના અંગિયાનો 23 વર્ષનો યુવાન દર્શન પારસીયા નામનો યુવાન 12 દિવસથી ગુમ થયા બાદ આજે એકાએક વીડિયો મેસેજ દ્વારા સામે આવ્યો છે અને તેણે આ વીડિયો પોતાના પરિવારજનોને મોકલ્યો હતો.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કચ્છના નાના અંગિયા 23 એન્જિનિયર યુવક ગુમ થતા ઇસ્કોન સંપ્રદાય વિવાદમાં આવ્યું હતું. જો કે, આજરોજ એકએક વીડિયો મારફતે સામે આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. દર્શને વીડિયોમાં જણાવ્યું હતું કે, તે ઉત્તર પ્રદેશના બરસાનામાં છે અને અહીં તે પોતાની મરજીથી આવ્યો છે.
પરિવારજનોને મોકલ્યો વીડિયો સંદેશ
દર્શને પોતાની વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, હું મારા આધ્યાત્મિક જીવન માટે છું અને આજે રાતે અહીંથી નીકળી જવાનો છું. તેણે એવું પણ જણાવ્યું હતું કે, કોઇના દબાણથી કે ઉશ્કેરવાથી આવ્યો નથી પરંતુ સમગ્ર નિર્ણય મારો પોતાનો છે. દર્શને તમામને કોઇના પર દબાણ ન નાંખવા માટેની અપીલ કરી હતી.
પરિવારજનોએ ઇસ્કોન મંદિર પર લગાવ્યા આક્ષેપ
ઇસ્કોન મંદિરના સાધુ જયતીર્થ ચરણ સ્વામીએ દીકરાને ગોંધી રાખ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ઈસ્કોન મંદિરના સાધુ અને યુવક દર્શન પટેલના ગુમ થવા મામલે ગાંધી ચિંધ્યા માર્ગે યુવકના પરિવારજનો વિરોધ કરી રહ્યા છે. પોસ્ટર સાથે પરિવારજનો અને સામાજિક આગેવાનોએ વિરોધ કર્યો હતો અને ઈસ્કોન સંપ્રદાય પર ગંભીર આરોપ કર્યા હતા. માત્ર એક પરિવાર નહીં પરંતુ અન્ય એક પરિવાર પણ પોતાના દીકરાને પરત મેળવવાની આશાએ મંદિર પહોંચ્યા હતા.
કચ્છના નાના આંગીયાનો યુવાન ગુમ થવાનો મામલો : દર્શને ખુદ વીડિયો રેકોર્ડ કરીને જણાવ્યું કે તે પોતે યુપીના બરસાનામાં છે અને કોઈના દબાણથી અહીં આવ્યો નથી. જ્યારે પરિવારે ઈસ્કોન સંપ્રદાયના સાધુ પર લગાવ્યો છે આરોપ. જાણો વીડિયોમાં શું કહ્યું#KUTCH#ISCKONpic.twitter.com/ConrqRmtQg
પરિવારજનોના આરોપ- પોતાના દિકરાને ઈસ્કોન મંદિરમાં ન મોકલો
પરિવારજનોએ કહ્યું હતું કે, કોઈ પરિવાર ઈસ્કોન મંદિર ન જાય. પોતાના દિકરાને ઈસ્કોન મંદિરમાં ન મોકલો. અમે અમારો દિકરો ખોયો છે, તમે ધ્યાન રાખજો. એકના એક દીકરાને જ તેઓ ટાર્ગેટ કરે છે. દીકરાને મંદિરના એક સાધુ તરફથી પૈસા મોકલવામાં આવ્યા હતા. ઇસ્કોનનાં સાધુના સતત દર્શનના સંપર્કમાં હતા અને તેઓએ જ તેને સંપ્રદાયમાં રાખ્યો હોવાનું જણાવી રહ્યા છે. ગુમ યુવાન ફોન પર વાત કરે છે પરંતુ સામે આવી રહ્યો નથી.
શું છે સમગ્ર ઘટના?
મૂળ કચ્છના દર્શન પટેલ નામના યુવાનના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, તેમનો દીકરો દર્શન પટેલ ઇસ્કોન મંદિરના સાધુઓના સંપર્કમાં આવ્યા બાદ તેને ગેરમાર્ગે દોરીને તેનું વશીકરણ કરવામાં આવ્યુ છે. ત્યાર બાદ તેમના દીકરાને સાધુઓએ છૂપાવી દીધો છે. અમદાવાદમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે ચાર વર્ષ પહેલા દર્શન પટેલ આવ્યો હતો. આ વખતે તે ઈસ્કોન મંદિરના એક સાધુના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે મંદિરે જવા લાગ્યો અને ત્યાં રહેવા લાગ્યો હતો. દર્શનના માતા-પિતા તેને પરત ઘરે લઈ પણ ગયા. પરંતુ દર્શન છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હોવાની ફરીયાદ પરિવારજનોએ નખત્રાણા નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તો દર્શનના ગુમ થવા મામલે પરિવારજનો અમદાવાદના ઇસ્કોન મંદિર બહાર વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.