હાલમાં વિભાગે ગુજરાતમાં હવામાન પલટાને લઈને એક મોટી આગાહી કરી છે, તેમના અનુસાર રાજ્યના અમુક ભાગોમાં માવઠાની આગાહી છે.
હવામાન વિભાગે કરી માવઠાની આગાહી
રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો
ગાંધીનગર અને અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ
મહત્વનું છે કે હાલમાં ઉનાળામાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે, તેમજ ઉનાળામાં મે મહિનામાં ગરમીનું પ્રમાણ પણ વધી જતું હોય છે, તેથી હવામાન વિભાગની આ આગાહીથી રાજ્યના લોકોને થોડા સમય માટે ગરમીથી છૂટકારો મળશે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં આગામી ત્રણ દિવસ સુધી માવઠું પડી શકે છે, જો કે આનાથી કેરીનાં પાકને નુકસાન થવાની પણ સંભાવના છે.
કેરીનાં પાકને નુકસાનની ભીતિ
કોરોનાને કારણે ઘણી ખેતી માર્કેટ હાલ સુષુપ્ત અવસ્થામાં છે, હજુ કેરીનો ઘણો ફાલ વાડીઓમાં જ ઝૂલી રહ્યો છે, ત્યારે માવઠાનું પાણી વધુ એકવાર કેરીની રંગત બગાડી શકે છે, અને કેરીનાં ભાવમાં ઉછાળો પણ આવી શકે છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે ગુજરાતના અન્ય ક્ષેત્રોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
નોંધનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, આનાથી શહેરીજનોને ગરમીથી થોડી રાહત તો મળશે, પણ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારમાં માવઠાની અસરના પગલે ખૂબ ઝડપી એવી ધૂળની ડમરીઓ ઊડવાની પણ શક્યતાઓ બનતી હોય છે, મુખ્યત્વે આ અસર પંજાબની આગળથી ભૂમધ્ય સમુદ્રથી ઊડી આવતા પવનના લીધે છે, જેમાં ભેજ હોય છે અને તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા પશ્ચિમી વિક્ષોભ કહે છે. આગામી ત્રણ દિવસો સુધી 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાવાણી પણ શક્યતાઓ રહેલી છે.