અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ કોરોના મહામારી સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયેલાં 6 વિસ્તારો સિવાય સમગ્ર અમદાવાદના અન્ય 42 વોર્ડની દૂકાનો કાલથી ખોલી શકાશે. આ સાથે અમદાવાદમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા છે, જ્યારે 7 લોકોના મોત થયા છે અને 26થી વધુ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે.
કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં દૂકાનો ખુલશે
માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્શિંગનું ચુસ્ત પાલન કરવું પડશે
કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમે અમદાવાદ શહેરની કાર્ય પદ્ધતિને બિરદાવી
અમદાવાદમાં ખાડીયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા અને બહેરામપુરા સિવાયના તમામ 42 વોર્ડ કાલથી ખુલશે.કોરોના સંક્રમણના ડબલિંગ રેટ વિશે વિજય નહેરાએ જણાવ્યું કે રેટ વધે કે ઘટે તે કહેવું અઘરું છે પરંતુ છેલ્લા 7 દિવસમાં ઘટ્યો છે. આ ઉપરાંત જો કાલથી દુકાન ખોલવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્શિંગ, માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ જેવા નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. AMCના વિવિધ વિભાગની ટીમ કોઈ પણ સમયે ચેકીંગ કરશે અને જો અયોગ્ય જણાશે તો કાર્યવાહી થશે.
રમઝાન માસની શરૂઆત મુદ્દે વિજય નહેરાએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે ઘરમાં રહીને જ લોકો નમાઝ પઢે અને ઈબાદત કરે. કેન્દ્રીય ટીમ સાથે થયેલી બેઠક અંગે ચર્ચા કરતાં કહ્યું કે અમદાવાદ શહેરની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત શહેરમાં કરાયેલી ટેસ્ટીંગ સિસ્ટમનો અહેવાલ કેન્દ્રને સોપવા આદેશ કર્યો છે. કે જેથી અન્ય રાજ્યોમાં તેની રેપ્લિકા ઉભી કરી શકાય.