પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફને આંચકો લાગ્યો છે. તેમના પુત્ર હમઝા શાહબાઝને પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે પંજાબના CMની ખુરશી પરથી ઉતારી દીધા છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પરવેઝ ઈલાહી પંજાબના નવા CM હશે. પરવેઝ ઈલાહીનું સંગઠન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સાથી છે.મંગળવારે સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર મોહમ્મદ મજારીના નિર્ણયને ગેરકાયદે ગણાવતા આ નિર્ણય આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેન્ચે આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે હવે પંજાબના ગવર્નર બલીધ ઉલ રહેમાનને પરવેઝ ઈલાહીને CM પદના શપથ લેવડાવવા કહેવામાં આવ્યું છે. આ સાથે એવી પણ ટકોર કરવામાં આવી છે કે, જો તેમના દ્વારા શપથ લેવડાવવામાં નહિ આવે તો રાષ્ટ્રપતિ આરિફ અલ્વી આ શપથ લેવડાવશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરવેઝ ઈલાહી પંજાબના CM છે કારણ કે તેમને 186 વોટ મળ્યા છે, જ્યારે હમઝાને 179 વોટ મળ્યા છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેન્ચે આપ્યો હતો. તેમાં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ ઈજાઝુલ અહેસાન અને જસ્ટિસ મુનીબ અખ્તર સામેલ હતા.
શું હતો સમગ્ર મામલો
મહત્વનું છે કે પાકિસ્તાન હમઝા શાહબાઝે શનિવારે પંજાબ પ્રાંતના CM તરીકે શપથ લીધા હતા. એક દિવસ અગાઉ, તેઓ માત્ર ત્રણ મતોના માર્જિનથી ફરીથી ચૂંટાયા હતા. જો કે તેમની જીતના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. તેમની જીતને હરીફ ઉમેદવાર ચૌધરી પરવેઝ ઈલાહી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.પંજાબની 368 સભ્યોની વિધાનસભામાં હમઝાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને 179 વોટ મળ્યા જ્યારે ઈલાહીની પાર્ટીને 176 વોટ મળ્યા હતા. જોકે, આમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દોસ્ત મોહમ્મદ માજરીએ બંધારણની કલમ 63-Aને ટાંકીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-ક્યૂ પાર્ટીના ઉમેદવાર ચૌધરી પરવેઝ ઈલાહીના 10 મતોને ફગાવી દીધા હતા. જે બાદ હમઝા માત્ર ત્રણ મતોના માર્જીનથી પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દોસ્ત મોહમ્મદ માજરીના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. કોર્ટે 10 મત ઉમેર્યા અને કહ્યું કે ઇલાહીને 186 મત મળ્યા, જે હમઝાના 179 મતો કરતાં વધુ છે.