કોરોનાની બીજી લહેરના વિષમ પરિણામોના કારણે દેશ હાલમાં અત્યંત નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો છે
કોરોનાના કેસો સતત વધતાં મુંબઇમાં ચિંતા વધી હતી
મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ છે
મુંબઈમાં પણ કોરોનાના લીધે સ્થિતિ ગંભીર, જો કે કેસોમાં આંશિક ઘટાડો છે
કોરોનાની બીજી લહેરના વિષમ પરિણામોના કારણે દેશ હાલમાં અત્યંત નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો છે, દર્દીઓ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની રાહ જોતાં જોતાં જોવ છોડી રહ્યા છે, ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ સ્થિતિ કઇંક હદે આવી જ છે.
આવી સ્થિતિમાં મદદ માટે વધુ એક વાર રિલાયન્સ ગ્રુપ આગળ આવ્યું છે, આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આ મામલે અમુક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, ખાસ કરીને મુંબઇમાં 650 બેડની સુવિધા વિકસાવવાનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે, નોંધનીય છે કે આની પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ ઓક્સિજન સપ્લાય કરીને રિલાયન્સ દ્વારા મદદ કરવામાં આવી હતી.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 100 આઇસીયુ બેડ્સની નવી સુવિધા તૈયાર થઈ રહી છે
એસિમ્ટોમેટિક દર્દીઓ માટે ટ્રાયડન્ટ હોટેલ, બીકેસીમાં 100 બેડ્સ તૈયાર કરાઈ રહ્યાં છે
સેવન હિલ્સ હોસ્પિટલમાં સુવિધાઓમાં વધારો કરી 45 આઇસીયુ બેડ્સ સહિત 125 બેડ્સ તૈયાર થયા અને સેવન હિલ્સ હોસ્પિટલ અને NSCI માં તમામ દર્દીઓની સારવાર નિઃશુલ્ક થાય છે.
દર્દીઓને ચોવીસ કલાક તબીબી સારવાર મળી રહે અને તેમની સુવિધાઓ સચવાય તે માટે તબીબો, નર્સિસ અને નોન-મેડિકલ પ્રોફેશનલ્સ સહિતના 500 ફ્રન્ટલાઇન વર્કર્સની ટીમને તૈનાત કરવામાં આવશે.
આઇસીયુ બેડ્સ અને મોનિટર, વેન્ટિલેટર્સ અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ સહિતના તમામ માળખાગત સુવિધાઓનો ખર્ચ અને 650 બેડ્સની સુવિધાનો તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે.
ગત વર્ષે RF અને BMC દ્વારા સાથે મળીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલ ખાતે 225 બેડ્સ ધરાવતી ભારતની પહેલી કોવિડ હોસ્પિટલ તૈયાર કરી હતી. આ 225 બેડ્સમાંથી 100 બેડ્સ અને 20 આઇસીયુ ધરાવતા બેડ્સનું સંચાલન સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
કોવિડના હળવા તથા મધ્યમ લક્ષણો ધરાવતાં અને એસિમ્ટોમેટિક દર્દીઓની સારવાર માટે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે આવેલી ટ્રાયડન્ટ હોટેલમાં 100 બેડ્સની સુવિધા પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં બીએમસીની માર્ગદર્શિકાને અનુસરવામાં આવી છે. આ સુવિધાનું સંચાલન પણ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.
જાણો સંસ્થાના ચેરપર્સન નીતા અંબાણીએ શું કહ્યું?
કોવિડની સારવાર અંગે સંકલિત સુવિધાઓના વિસ્તાર અંગે બોલતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું કે, "રિલાયન્સ ફાઉન્ડેશન આપણા રાષ્ટ્રની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ મહામારી સામેની ભારતની અવિરત લડાઈમાં યોગદાન આપવું એ અમારી ફરજ છે. અમારા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન હેલ્થકેર સ્ટાફ થાક્યા વગર સતત તેમના કાર્યો કરી રહ્યા છે અને જરૂરિયાતમંદોને શક્ય એટલી શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી તેમની જિંદગી બચાવવા માટે પ્રયાસરત છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઈમાં કુલ 875 બેડ્સની સુવિધાનું સંચાલન કરશે."
"અમે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દમણ, દીવ અને નગર હવેલીને તદ્દન નિઃશુલ્ક આપી રહ્યા છીએ. આ પુરવઠાને આગામી દિવસોમાં વધારાશે. ભારત અને મુંબઈ શહેર માટે આકરી કસોટીના આ સમયમાં એક ભારતીય તરીકે દેશની સેવા કરવાના અમારા સમર્પણને અકબંધ રાખવા અમે પ્રતિબદ્ધ છીએ," તેમ નીતા અંબાણીએ ઉમેર્યું હતું.