જીએસટી કાઉન્સીલે પોતાની 37મી બેઠકમાં એક્સપોર્ટ અને હોટલ જેવા ઉદ્યોગો માટે ભેટનું એલાન કર્યું છે. સાથે જ, ખાસ ક્ષમતાના વાહનો પર પણ જીએસટી રેટમાં ઘટાડો કર્યો. નવા દરો 1 ઓક્ટોબરથી લાગૂ થશે.
હીરા ઉદ્યોગ માટે સરકારની મહત્વની જાહેરાત કરી છે. જેને લઈને રત્નકલાકારોને ફાયદો થશે. ડાયમંડ જોબવર્ક સર્વિસમાં GSTમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોબવર્કમાં GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયના કારણે રત્ન કલાકારોને ફાયદો થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જીએસટી કાઉન્સિલમાં થયેલ મુખ્ય નિર્ણયે આ પ્રકારે છે.
10-13 વ્યક્તિઓની ક્ષમતાવાળા પેટ્રોલ મોટર વાહનો પર કંપેનસેશન સેસ ઘટાડીને 1% જ્યારે ડીઝલ વાહનો પર ઘટાડીને 3% કરી દીધો છે. આ પહેલા 15% સેસ આપવો પડતો હતો. દરિયાઇ બોટના ઇંધણ, ગ્રાઇન્ડર, આમલી અને કેટલાક ખાસ પ્રકારના રક્ષા ઉત્પાદનો પર જીએસટીમાં છૂટ આપવામાં આવી છે.
કાઉન્સિલના નાના વેપારીઓને રાહત આપતા કહ્યું કે 2 કરોડથી ઓછા ટર્ન ઓવર પર વાર્ષિક જીએસટી રિટર્ન પર છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે આ વેપારીઓ માટે 2018-19નું જીએસટી રિટર્ન ભરવા વૈકલ્પિક હશે. એટલે એવા વેપારી છેલ્લા નાણાવર્ષના જીએસટી રિટર્ન ભરવા માંગશે તો ભરી શકશે અને ન ઇચ્છે તો નહીં ભરે. આ સમગ્ર રીતે તેમની મરજી પર છે.
હોટલના રૂમ પર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા
બેઠકના નિર્ણયોની જાણકારી આપતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે 1000થી 7500 રૂપિયા સુધી હોટલના રૂમ પર જીએસટીના દરને 18 ટકા ઘટાડવામાં આવ્યા છે. ત્યારે 7500 રૂપિયાથી વધુ હોટલના રૂમો પર 28 ટકાની જગ્યાએ 18 ટકાનું જીએસટી લાગશે. એક હજાર રૂપિયાથી ઓછા હોટલના રૂમ પર કોઇ જીએસટી નથી.
કોર્પોરેટ જગતને લઇને મોટી જાહેરાત
નાણાંમંત્રીએ કંપનીઓના કોર્પોરેટ ટેકસમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેને લઇને મેન્યુફેકચરિંગ કંપનીઓને મોટી રાહત થશે. કંપનીઓ માટે નવો કોર્પોરેટ ટેક્સ 25.17 ટકા નક્કી કરવામાં આવ્યો છે જ્યારે કેપિટલ ગેન પરનો સરચાર્જને દૂર કરવામાં આવ્યો છે.
નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે IT એક્ટમાં નવી જોગવાઇ જોડવામાં આવી છે, જે નક્કી કરશે કે કોઇપણ નવી ઘરેલુ કંપનીઓનું ગઠન જે 1 ઓક્ટોબર 2019 કે ત્યારબાદ થઇ હોય અને જે નવું રોકાણ કરી રહી છે તેમને 15 ટકાના દરથી ટેક્સ ચૂકવશે.