બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા આઠ વર્ષથી છે બંધ હાલતમાં, ક્યારે ખુલશે અધિકારીઓની આંખ?
Last Updated: 07:08 AM, 26 May 2024
મોરબી શહેરના લોકોને પીવા માટેનું પાણી મોરબી નજીકના મચ્છુ બે ડેમમાંથી ઉપાડીને પાણી પુરવઠા અને નગરપાલિકા દ્વારા સપ્લાય કરવામાં આવે છે. જોકે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા હોય તેવો ઘાટ મોરબીના નજરબાગ પાસે આવેલ પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર હાઉસ ખાતે જોવા મળી રહ્યો છે. ત્યાં પાણીના શુદ્ધિકરણ માટે થઈને સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. પરંતુ તે બંને ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા એક બે નહીં પરંતુ આઠ વર્ષ જેટલા સમયથી બંધ છે તેમ છતાં જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેને ચાલુ કરવા માટે થઈને હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરેલ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
મોરબીના માળિયા વનાળીયા, ત્રાજપર સહિતના ગ્રામ્ય વિસ્તારો તથા નગરપાલિકામાં આવતા સામાકાંઠાના સોસાયટી વિસ્તારોમાં નજરબાગ ફિલ્ટર હાઉસ ખાતેથી શુદ્ધ કરેલું પાણી લોકોને પીવા માટે આપવામાં આવે છે. તેવી વાતો કરવામાં આવે છે. જો કે આ ફિલ્ટર હાઉસ છેલ્લા આઠ વર્ષથી બંધ છે. જેની જવાબદાર અધિકારી અને કર્મચારીઓને જાણ હોવા છતાં પણ ફિલ્ટર હાઉસની અંદર પાણી શુદ્ધ થાય અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેના માટેની દરકાર કોઈએ લીધેલ નથી. આજની તારીખે ત્યાં મોરબીના મચ્છુ બે ડેમમાંથી જે પાણી ઉપાડવામાં આવે છે. તે સીધેસીધું મચ્છુ બે ડેમનું પાણી લોકોને પીવા માટે પાઇપલાઇન મારફતે તેના ઘર સુધી પહોંચાડી દેવામાં આવી છે. તેમાં શુદ્ધિકરણ કોઈ પણ પ્રકારનું કરવામાં આવતું નથી. જેથી કરીને આ ડેમનું પાણી પીવાના કારણે કોઈપણ પ્રકારનો રોગ ફાટી નીકળે તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરમાં લોકોને પીવાનું પાણી સપ્લાય કરવા માટે રોજનું અંદાજે 100 એમએલડી જેટલું પાણી ડેમમાંથી ઉપાડવામાં આવે છે. જેમાંથી લગભગ 10 એમએલડી કરતાં વધુ પાણી સામાકાંઠે નજરબાગ ફિલ્ટર હાઉસ ખાતે મોકલવામાં આવતું હોય છે. અને આ 10 એમએલડી પાણી નો જથ્થો ક્લોરીનેશન, બ્લીચિંગ કે પછી ફટકડીનો ઉપયોગ કર્યા વગર સીધે સીધો સંપમાં મોકલીને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. જેના કારણે લોકોને ચામડીના અને પાણીજન્ય રોગ થવાની શક્યતાઓ હોય છે. જેથી કરીને આ બાબતની સ્થાનિક આગેવાનોને જાણ થતા તેમણે બંધ પડેલા ફિલ્ટર હાઉસની અંદર ફિલ્ટર પ્લાન્ટ શરૂ થાય તેના માટે જવાબદાર અધિકારીઓ સાથે સંપર્ક કર્યો. પરંતુ ત્યાંથી પણ તેઓને સંતોષકારક જવાબ મળ્યો નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં અધિકારીઓને શું રસ છે.
સામાન્ય રીતે એક બે દિવસ માટે કોઈ ટેકનીકલ ખામી હોય અને અશુદ્ધ પાણીનો વિતરણ થાય તે સમજી શકાય તેમ છે. પરંતુ છેલ્લા આઠ વર્ષથી જો ફિલ્ટર હાઉસની અંદર મૂકવામાં આવેલા બબ્બે ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં પડ્યા હોય અને ડેમમાંથી ઉપાડવામાં આવતું પાણી સીધેસીધું લોકોના ઘર સુધી સપ્લાય કરવામાં આવતું હોય તો આવા સંજોગોમાં અધિકારીઓ પોતાની ફરજના ભાગરૂપે ફિલ્ટર હાઉસની ક્યારેય મુલાકાત લેતા જ ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ બાબતે બેદરકાર અધિકારીઓની સામે આકરા પગલાં લેવામાં આવે તો જ આવી ગંભીર બેદરકારી રાખનારા અધિકારીઓની આંખ ખુલે તેમ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.