બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત ભાજપથી લઈ સરકારમાં ફેરફારના એંધાણ, જાણો ગાંધીનગરની ગલીઓમાં ચાલતી ચર્ચાઓ
Last Updated: 11:08 AM, 10 June 2024
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કેટલાક અધિકારીઓને વધારોનો ચાર્જ અપાયો છે. બદલીઓ નહી થતા તેમના પર કામનું ભારણ વધ્યુ છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે ગુજરાતમાં અનેક IAS અધિકારીઓની બદલી લટકી પડી હતી. પરંતુ હવે રીઝલ્ટ આવી જતા આચારસંહિતા દૂર થઈ ગઈ હોવાથી સરકાર દ્રારા IAS અધિકારીઓની બદલીઓની પ્રક્રિયાને આગળ વધારાશે. જેમાં ખાસ કરીને જે જે અધિકારીઓ પાસે વધારાના હવાલાઓ છે તે લઈ લેવાશે અને તેનો ચાર્જ રેગ્યુલર રીતે કોઈ અન્ય અધિકારીને અપાશે. એટલે કે, લાંબો સમય પછી સીનિયર અધિકારીઓને કામના ભારણમાંથી મુક્તિ મળશે. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો વધારાનો હવાલો સંભાળતા મોના ખંધાર, રમતગમત યુવા સંસ્કૃતિનો વધારોનો હવાલો સંભાળી રહેલા અશ્વિનીકુમાર, દિલ્હી રેસિડેન્ટ કમિશનરનો વધારોનો હવાલો સંભાળતા આરતી કંવર, ક્લાઈમેટ ચેન્જનો વધારાનો હવાલો સંભાળતા સંજીવકુમાર અને વહીવટી સુધારણા તાલીમ પ્રભાગનો વધારાનો હવાલો સંભાળતા મોહમ્મદ શાહીદનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય કેટલાક અધિકારીઓ પાસે પણ છેલ્લા સાતેક મહિનાથી વધારોનો હવાલો છે. વધારાના હવાલાને કારણે જે તે વિભાગોમાં ફાઈલોના ઢગલા થાય છે. જલ્દીથી નિકાલ થતો નથી, નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ મુશ્કેલીઓ આવતી હોય છે. ચર્ચા થઈ રહી છે કે, આઈએએસ અધિકારીઓની થનારી સામૂહિક બદલીઓમાં આવા અધિકારોઓ પાસેથી વધારાનો ચાર્જ લઈ લેવાશે. તેમજ અન્ય સિનિયર અધિકારીઓની પણ બદલીઓ કરાશે. જેમાં અઢીથી પાંચ વર્ષ સુધી એક જ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓ કરી દેવાશે.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ગુજરાતમાં ભાજપે બનાસકાંઠાની બેઠક ગુમાવતા સતત ત્રીજી વખત હેટ્રીક કરવાનુ સપનુ પૂરુ થયુ નથી. જો કે બીજી બાજુ ભાજપને એકલા હાથે પણ કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતિ નહી મળતા હવે ગુજરાતમાં પણ નવા જૂની થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, ગુજરાત સરકારના મંત્રીમંડળમાં છથી સાત ફેરફાર આવી શકે છે. એટલે કે કેટલાકની હકાલપટ્ટી કરાશે જ્યારે કેટલાકના ખાતાની ફેરબદલ નિશ્ચિત બની છે. છેલ્લા કેટલાક વર્ષોથી શાંત બેઠેલા અને ભાજપને વફાદાર હોય એવા કેટલાક નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાશે. આ જ રીતે ભાજપના સંગઠનમાં પણ ઘરમૂળથી ફેરફારો થશે. જેમાં હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની મુદ્ત પૂર્ણ થઈ હોવાથી અને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હોવાથી તેમની જગ્યાએ કોઈ અન્ય નેતાને પક્ષ પ્રમુખનો હવાલો સોંપાશે. એ સાથે જ ગુજરાત ભાજપમાં સંગઠનનુ સમગ્ર માળખુ નવુ બનશે. પ્રમુખ પદે કોઈ ઓબીસી નેતાની પસંદગી થઈ શકે છે. થઈ રહેલી ચર્ચા મુજબ, કેન્દ્રમાં એક વખત મોદી સરકારની રચના થઈ જાય, વિશ્નાસનો મત જીતી જવાય અને ત્યાંના મંત્રીમંડળનો પોર્ટફોલીયો અપાઈ ગયાના એક કે બે અઠવાડીયાની અંદર જ ગુજરાતનો મામલો હાથમાં લેવાઈ શકે છે. સરકાર અને સંગઠનમાં ફેરફારની સંભાવનાઓને પગલે કેટલાય નેતાઓએ પદ અને હોદ્દો મેળવવા માટે અત્યારથી જ લોબીંગ ચાલુ કરી દીધુ છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી બોર્ડ-નિગમોમાં નિમણૂકો થતી નથી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે કેટલાક બોર્ડ નિગમોમાં રાજકીય નિમણૂકો થઈ હતી. સૌથી વધુ નિમણૂકો કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીકાળ દરમિયાન થઈ હતી. આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી સમયમાં પણ માત્ર ગણતરીની નિમણૂકો થઈ હતી. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સમયમાં એકપણ નિમણક થઈ નથી. પરંતુ સમયાંતરે બોર્ડ-નિગમોમાં રાજકીય નિમણૂકોની વાતો થતી રહેતી હોય છે. ખાસ કરીને વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવવાની હોય કે પછી મંત્રીમંડળનુ રચના થવાની હોય ત્યારે આ પ્રકારની વાતો થતી હોય છે. જેને પગલે ભાજપના મોટા નેતાઓ ખાનગીમાં એવી વાતો કરતા હોય છે કે, નાના આગેવાનો અને કાર્યકરોને ચાર્જ કરવા માટે જ જાણીજોઈને ભાજપ હાઈકમાન્ડ દ્રારા વખતોવખત બોર્ડ-નિગમોમાં રાજકીય નિમણૂંકનુ ગાજર લટકાવામાં આવતુ હોય છે. તાજેતરમાં ફરીથી જે આ પ્રકારની ચર્ચા થઈ રહી છે તે પણ આવુ જ છે. કોઈ મોટી નિમણૂકો થવાની નથી. લોકસભાની ચૂંટણી પહેલા પણ ગુજરાતના કેટલાક નેતાઓ-આગેવાનો પાસેથી બાયો ડેટા મંગાવ્યો હતો. જેને લઈને ચૂંટણા પહેલાના બે મહિના પહેલાથી જ આવા લોકો આશા રાખતા હતા કે, હવે મતદાન પહેલા જ બોર્ડ-નિગમોમાં નિમણૂકો થઈ જશે. પરંતુ એવુ કશુ થયુ નથી. જેથી ફરીથી બોર્ડ-નિગમોમાં નિમણૂક કરાશે એ પ્રકારની ચર્ચા માત્ર ગાજર લટકાવવાથી વિશેષ કશુ નથી એવી વાતો ભાજપના જ આગેવાનો કરી રહ્યા છે. બીજી બાજુ નેતાઓ હળવાશથી એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, આ વખતનુ ગાજર કોઈને ખાવા મળે એવી અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT