ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ચિંતાજનક રીતે માથું ઊંચક્યું છે, દરરોજ નોંધાતા કેસનો આંકડો ગંભીર પરિસ્થિતિનો અણસાર આપી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર ફરી એકવાર કોવિડ પ્રતિબંધોમાં મોટા ફેરફાર કરી શકે છે.
રાત્રિ કર્ફ્યૂના સમયમાં થઈ શકે ફેરફાર
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, રાત્રી કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી થઇ શકે છે. તો આ સાથે જ લગ્ન,ધાર્મિક અને રાજકીય પ્રસંગોને લઇને પણ નવા નિયમો જાહેર કરવામાં આવી શકે છે.
અંબાજી મંદિર કરાયું બંધ
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે સરકારી કર્મચારીઓ માટે 15 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે. તો આ સાથે જ 51 શક્તિપીઠ પૈકીના અંબાજી મંદિરને પણ ભક્તોના પ્રવેશ પર પણ પાબંધી લાદવામાં આવી છે.
ગુજરાતમાં આજે નોંધાયેલા કેસની વિગત
ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે કોરોનાના 10,019 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. તો 2 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 55,798 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો અને દર્દીઓ ઓછા સાજા થતા રિકવરી રેટ ઘટ્યો છે. આજે 92.73 ટકા રિકવરી રેટ નોંધાયો છે. આજે 3,11,217 લોકોને રસી અપાઈ ચૂકી છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 836140 દર્દી સાજા થયા અને કુલ 10142 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં 38,446 લોકોનું રસીકરણ કરાયું છે.
3 જિલ્લાઓમાં કોરોનાની ગંભીર સ્થિતિ
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3,164 કેસ નોંધાયા છે. તો સુરતમાં 3,259, વડોદરામાં 1,373 અને રાજકોટમાં 373 કેસ નોંધાયા છે.