લાહોરના પ્રસિદ્ધ અનારકલી માર્કેટ પાસે આવેલા વાલ્મિકી મંદિરનો કબજો ગયા મહિને જ લાંબી કાનૂની લડાઈ બાદ લઘુમતી હિન્દુઓને મળ્યો હતો.
પાકિસ્તાનમાં 1200 વર્ષ જુના વાલ્મિકી મંદિરનું જીર્ણોદ્ધાર કરાશે
હિન્દુ સમાજે વાલ્મિકી મંદિરનો ગયા મહિને જ લાંબી કાનૂની લડાઈ બાદ કબજો મેળવ્યો
20 વર્ષ પહેલાં ખ્રિસ્તી પરિવારે મંદિરનો કબજો લીધો હતો
પાકિસ્તાનના લાહોરમાં સ્થિત 1200 વર્ષ જૂના હિન્દુ મંદિરનો ગેરકાયદેસર કબજો હટાવ્યા બાદ હવે તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવશે. ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ, ફેડરલ સંસ્થા જે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય માટે પૂજા સ્થાનોની દેખરેખ રાખે છે, ગયા મહિને લાહોર સ્થિત ખ્રિસ્તી પરિવાર પાસેથી પ્રખ્યાત અનારકલી બજાર લાહોર પાસેના વાલ્મિકી મંદિરનો કબજો લીધો હતો.હિંદુ ધર્મ અપનાવવાનો દાવો કરનાર ખ્રિસ્તી પરિવાર છેલ્લા બે દાયકાથી મંદિરમાં પૂજા માટે માત્ર વાલ્મિકી જાતિના હિંદુઓને જ સુવિધા આપી રહ્યો હતો.ETPBના પ્રવક્તા અમીર હાશ્મીએ કહ્યું કે આગામી દિવસોમાં 'માસ્ટર પ્લાન' હેઠળ વાલ્મિકી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તેમણે કહ્યું, "100 થી વધુ હિન્દુઓ, કેટલાક શીખ અને ખ્રિસ્તી નેતાઓ આજે વાલ્મિકી મંદિરમાં એકઠા થયા હતા. હિન્દુઓએ તેમની ધાર્મિક વિધિઓ કરી પ્રથમ વખત લંગર (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું."
લાંબી કાનૂની લડાઈ બાદ કબજો મળ્યો
20 વર્ષ પહેલાં ખ્રિસ્તી પરિવારે મંદિરનો કબજો લીધો હતો. રેવન્યુ રેકોર્ડમાં મંદિરની જમીન ETPBને ટ્રાન્સફર કરવામાં આવી હોવા છતાં, ખ્રિસ્તી પરિવારે મિલકતના માલિક હોવાનો દાવો કરીને 2010-2011માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે આ વખતે કોર્ટે ખોટા દાવાને ફગાવી દેતા અરજદારને ઠપકો આપ્યો હતો.તમને જણાવી દઈએ કે ભારતમાં 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા બાદ હથિયારોથી સજ્જ ગુસ્સે ભરાયેલા ટોળાએ વાલ્મિકી મંદિર પર હુમલો કર્યો હતો. ટોળાએ કૃષ્ણ અને વાલ્મિકી મંદિરોની મૂર્તિઓની તોડફોડ કરી હતી. આ ઉપરાંત તેઓએ મંદિર પરિસરના રસોડામાં વાસણો અને ક્રોકરીને નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની અંદરની મૂર્તિઓ પર શણગારેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી.
ETPB કોણ છે
ઈટીપીબીના પ્રવક્તાએ એક અખબારને જણાવતા કહ્યું હતું કે, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલા એક-સદસ્ય પંચે સરકારને તેની ભલામણો સુપરત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે હિંદુ સમુદાયને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે, ETPB ભાગલા પછી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા શીખો અને હિંદુઓ દ્વારા છોડી દેવાયેલા મંદિરો અને જમીનોની સંભાળ રાખે છે. તે સમગ્ર પાકિસ્તાનમાં 200 ગુરુદ્વારા અને 150 મંદિરોની દેખરેખ રાખે છે.