ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે ત્યારે હવે ગુજરાત ભાજપ કોના નેતૃત્વમાં રહેશે તે જોવાનું રહેશે.
CM રૂપાણીએ આપ્યું રાજીનામું
PM મોદી અને ભાજપનો માન્યો આભાર
મને યોગદાન કરવાનો જે અવસર મળ્યો તે માટે આભાર : CM RUPANI
આજે ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, રાજીનામાં સમયે તેમની સાથે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર હતું.
રાજીનામું આપતી વખતે રૂપાણીએ શું કહ્યું?
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ ઘણું બધુ શીખવા મળ્યું છે. તથા ગુજરાતનો વિકાસ પણ થયો છે. ભાજપ દ્વારા મારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો તે બદલ આભારી છું.આ સાથે જ તેમણે કહ્યું કે, 5 વર્ષમાં ગુજરાતના વિકાસમાં યોગદાન આપવાની જે તક મળી તે બદલ આભારી છું. આગામી સમયગાળામાં સંગઠન દ્વારા જે જવાબદારી આપવામાં આવશે તે હું સુપેરે નિભાવિશ.
રાજીનામાં વખતે કોણ કોણ હાજર હતું
નોંધનીય છે કે આજે સરદાર ધામનાં કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથે વી સતીશ સહિતનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલને મળવા પહોંચ્યા છે ત્યારે તેમની સાથે પક્ષના મોટા નેતાઓ અને મંત્રીઓ પણ હાજર હતા.તેમની સાથે સંગઠનના મહામંત્રી વી.સતીષ સહિત ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર છે.
વિજય રૂપાણીની રાજકીય સફર
વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા
હાલમાં પણ રાજકોટ પશ્ચિમ સીટનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
7 ઓગસ્ટ 2016એ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘમાં પણ સક્રિય હતા
ભાજપની સ્થાપનાથી જ એટલે કે 1971થી પક્ષનાં કાર્યકર્તા છે
1976માં કટોકટી વખતે ભાવનગર, ભુજમાં જેલમાં રહી ચૂક્યા છે
1978થી 1981 સુધી RSSના પ્રચારક પણ હતા
1987માં રાજકોટ મનપાના સભ્ય તરીકે ચૂંટાયા
જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યા છે
1996થી 1997 સુધી રાજકોટ મનપાના મેયર તરીકે કાર્ય કર્યું
1998માં ગુજરાત ભાજપના વિભાગાધ્યક્ષ થયા
2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે
2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે
વિજય રૂપાણી વિષે જાણવા જેવુ
07-08-2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ વિનમ્ર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળપણથી જ સંઘના પ્રખર સ્વયંસેવક રહ્યા છે.વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મા (રંગૂન શહેર)ખાતે થયો છે. લો પ્રોફાઈલ ધરાવતા CM રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો વિદ્યાર્થી કાળમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. તો કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.