પોતાના ફાર્મ નજીક નર્મદા નદીમાં પાળા બાંધવાના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતાં દાનવીર તરીકે પ્રખ્યાત થયેલાં સુરતના સવજી ધોળકિયા જાણે "ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે "જેમ પોતે નર્મદા નદીની જમીન ઉપર કેમ અને કોની પરવાનગીથી "પાળા" બાંધી રાહદારી રસ્તો બનાવ્યો હતો.
તેની ચોખવટ કરવાં કરતાં સરકાર, સિસ્ટમ અને સૂકી નર્મદા નદી બાબતે ઉકળી ઉઠ્યા હતા અને તેમ જ્યારે સમગ્ર મામલે વિટીવીની ટિમ તેમની પ્રતિક્રિયા લેવા પહોંચી ત્યારે કેમેરા સમક્ષ અકળાઈને "દાનવીર" સવજી ધોળકીયાએ પોતાની અને સરકારની કામગીરી વચ્ચે તફાવત છે અને પોતે લોકોને રોજીરોટી આપી તેવી પ્રતિક્રિયા આપી હતી.
સવજી ધોળકિયાનું નિવેદન
સવજી ધોળકિયાએ VTV સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું તે સ્થળે છેલ્લા દશ વર્ષથી કામ કરી રહ્યો છું અને છેલ્લા ચાર વર્ષથી તો નદીમાં પાણી આવ્યું જ નથી જેથી કરીને નર્મદા નદી રેતીથી ધીમે-ધીમે બુરાતી જાય છે. દરિયાનું પાણી રેતી લઇને આવે છે. નર્મદા નદીનો આશરે 100 કિલોમીટરનો એરિયા ખારો થઇ રહ્યો છે.
અમારે ત્યાં પાણીમાં ખારાશ છે. બહું ઉંડેથી બોર કરીએ ત્યારે મીઠું પાણી આવે છે. નર્મદાના કાંઠાના વિસ્તારના લોકોને ખબર જ નથી કે કેટલું મોટું નુકસાન આપણને થઇ રહ્યું છે. જ્યાં સુધી ભાડભૂતનો બંધ નહીં બને ત્યાં સુધી નુકસાની વેઠવાનો વારો આવશે. આ તો મારું નામ છે તેથી ઇશ્યુ ઉભો થયો છે અને એટલે જ મુદ્દો ઉછળ્યો છે.
પાળા તુટતા આવી પ્રતિક્રિયા
આપને જણાવી દઇએ કે, પોતાનાં ફાર્મમાં જવા માટે નજીકના રસ્તેથી જવાય તેથી નર્મદા નદીમાં પોતાની મનસુબીથી "પાળા" બનાવડાવી ને કામ શરૂ કરાવ્યા બાદ મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં તંત્રએ પાળા તોડવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી.
જેને લઈને એક ઉદ્યોગપતિ સાથે સાથે પોતાનાં કર્મચારીઓને વાર્ષિક લાભો આપતા હોય તેવી મીડિયા સ્ટોરીઓ બાદ "દાનવીર" બનેલાં સવજી ધોળકિયા "પાળા" મામલે પોતે જવાબદાર સામાજિક વ્યક્તિ તરીકે ભૂલ કરી બેઠા હોય તેવું માન્યા વગર જાણે સરકારે છેલ્લા દસ વર્ષમાં નર્મદા નદીને જાણે સૂકી ભંઠ કરી નાખી હોય તેમ સરકાર ઉપર આડકતરી રીતે આક્રોશ ઠાલવ્યો હતો.
તેમજ પોતાનાં પ્રોજેકટને કારણે નર્મદા નદી અને પર્યાવરણ ને ક્યારેય કોઈ નુકશાન થયું નથી અને થવાનું પણ નથી તેમ કહી પોતે નર્મદા નદીમાં ચાલવાનો રસ્તો બનાવવા પાળા બનાવેલ તેનું કોઈ દુઃખ કે લાગણી વ્યક્ત કરી નહોતી....!!