દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ 74મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેના બચત ખાતામાં ધારકોને ભેટ આપી છે. SBIએ તેના બચત ખાતાના ખાતાધારકોને વિવિધ પ્રકારના ચાર્જિઝમાંથી મુક્તિ આપી છે. SBIએ 15 ઓગસ્ટે ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ મુજબ હવે ગ્રાહકોએ SMS અલર્ટ અને મિનિમમ બેલેન્સ ન રાખવા માટે ફી ચૂકવવી પડશે નહીં.
બેંકે હવે ગ્રાહકના ખાતામાં નોંધાયેલા મોબાઇલ નંબર પર સર્વિસ મેસેજ માટે લેવામાં આવતા ચાર્જને નાબૂદ કરી દીધો છે. હવે ગ્રાહકે આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
SBIએ તેની શાખાઓને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. આમાં મેટ્રો-અર્બન, સેમી અર્બન અને રૂરલ વિસ્તારોનો સમાવેશ થાય છે.
શહેરોની શાખામાં ગ્રાહકો માટે SBIનું એવરેજ મિનિમમ બેલેન્સ 3,000 રુપિયા હતું. જો કોઈ ગ્રાહક તેના ખાતામાં 3,000 રૂપિયાનું બેલેન્સ જાળવી શકતો નથી અને જો તેનું બેલેન્સ 50%થી ઓછું એટલે કે રૂપિયા 1,500ની નીચે આવે છે તો તેણે ફી તરીકે રૂપિયા 10 અને GST ચૂકવવા પડતા હતા. જો તમારા ખાતામાં બેલેન્સ મિનિમમ બેલેન્સના 75%થી નીચે હોય તો તમારે ફી તરીકે 15 રૂપિયા અને GST ચૂકવવા પડતા હતા.
એ જ રીતે, સેમી અર્બન શાખાઓમાં SBI ખાતાધારકને ઓછામાં ઓછું 2,000 રૂપિયા બેલેન્સ રાખવું જરૂરી હતું. જ્યારે ગ્રામીણ વિસ્તારની શાખાઓમાં ગ્રાહકોના ખાતામાં ઓછામાં ઓછું 1000 રૂપિયા બેલેન્સ જાળવવું જરૂરી હતું.
કેટલો લાગતો હતો ટ્રાન્સેક્શન અલર્ટ ચાર્જ
બેંક દ્વારા દરેકને ખાતાની ટ્રાન્ઝેક્શનની માહિતી આપવાનો અર્થ એ છે કે ગ્રાહક જાણી શકે છે કે તેમના એકાઉન્ટમાં શું ટ્રાન્ઝેક્શન એટલે કે પૈસાની લેવડ દેવડ થઈ રહી છે. બેંક SMS દ્વારા ગ્રાહક સુધી આ જાણકારી મોકલે છે. પરંતુ આ માટે SBI ગ્રાહકો પાસેથી દરેક ક્વાર્ટરમાં રૂપિયા 12 વત્તા GST ચાર્જ લેતું હતું.