બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ મહિલાને થયો હડકવા, રસી લીધા છતાં પાલનપુર સિવિલમાં ગંભીર હાલતમાં દાખલ
Last Updated: 11:14 AM, 19 June 2026
બનાસકાંઠાના પાલનપુરમાં હડકવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સામાન્ય રીતે કૂતરાના કરડવાથી હડકવાના કેસો સામે આવતા હોય છે, પરંતુ આ ઘટનામાં નોળિયો કરડ્યા બાદ મહિલાને હડકવા થયા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના તબીબો માટે પણ આ કેસ અસામાન્ય માનવામાં આવી રહ્યો છે અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નોળિયો કરડવાથી હડકવા થયાનો આ પ્રથમ કેસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલા મૂળ રાજસ્થાનની રહેવાસી છે. દોઢ મહિના અગાઉ મહિલાને નોળિયાએ કરડ્યું હતું. ઘટના બાદ મહિલાએ રાજસ્થાનની હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને જરૂરી રસી પણ લીધી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, રસી લીધા બાદ પણ મહિલાની તબિયતમાં ધીમે ધીમે ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા.
ADVERTISEMENT
પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી મહિલાના સ્વાસ્થ્યમાં સતત બગાડ જોવા મળી રહ્યો હતો. મહિલાને અસ્વસ્થતા અનુભવાતી હતી અને તે તરફડીયા મારતી હોવાનું પણ સામે આવ્યું છે. સ્થિતિ વધુ ગંભીર બનતા પરિવારજનોએ મહિલાને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલામાં હડકવાના લક્ષણો ગંભીર સ્તરે પહોંચી ગયા છે. તબીબોનું કહેવું છે કે હડકવા જ્યારે અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે સારવાર કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે. હાલમાં મહિલાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તબીબો દ્વારા જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ કેસે આરોગ્ય વિભાગને પણ ચિંતામાં મૂકી દીધો છે. સામાન્ય રીતે કોઈપણ પ્રાણી કરડે ત્યારે તાત્કાલિક સારવાર અને યોગ્ય રસી લેવી જરૂરી ગણાય છે. જોકે આ ઘટનામાં રસી લીધા બાદ પણ મહિલાની સ્થિતિ ગંભીર બનતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તબીબો સમગ્ર કેસની તબીબી વિગતોનું પણ વિશ્લેષણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હડકવાના વાયરસથી સંક્રમિત પ્રાણી કરડે પછી શરૂઆતમાં કરડેલી જગ્યાએ દુખાવો, બળતરા, ખંજવાળ અથવા ઝણઝણાટી જેવા લક્ષણો જોવા મળી શકે છે. ત્યારબાદ તાવ, માથાનો દુખાવો, થાક, બેચેની અને નબળાઈ અનુભવાય છે. રોગ આગળ વધતાં દર્દીમાં પાણીથી ડર લાગવો (હાઇડ્રોફોબિયા), ગળવામાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી, વધુ પડતી ચિંતા, અસ્વસ્થતા, આક્રમક વર્તન અને શરીરમાં આંચકા જેવા ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. હડકવા અંતિમ તબક્કામાં પહોંચે ત્યારે સારવાર અત્યંત મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, મોંઘવારીથી રાહત મળવાના સંકેત
આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે કોઈપણ પ્રાણી કરડે તો સૌથી પહેલા ઘાને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોવો જોઈએ. ત્યારબાદ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં જઈ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ એન્ટી-રેબીઝ વેક્સિન અને જરૂર હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિન લેવું જરૂરી છે. પ્રાણી કરડવાની ઘટનાને ક્યારેય સામાન્ય ન ગણવી જોઈએ, કારણ કે સમયસર સારવાર ન મળે તો હડકવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.