વર્લ્ડ કપ 2019 પછી ફેન્સની નજર સતત પોતાના હીરો મહેન્દ્ર સિંહ ધોનીના ફરી રમતા જોવાની છે. ધોનીએ આ વખતે ફેન્સની ઇચ્છા પૂરી કરવાની તૈયારી પણ કરી લીધી હતી, પરંતુ કોરોના વાયરસને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવી છે. આ મહામારીને કારણે હવે ધોનીને રમતો જોવાની ફેન્સ ઇચ્છા હજુ બાકી રહેશે.
આ વચ્ચે પૂર્વ રાષ્ટ્રીય સિલેક્ટર એમ એસ કે પ્રસાદે સ્પષ્ટ કર્યુ હતુ કે, ''વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયામાં ધોનીનું ના હોવું તેનો પોતાનો નિર્ણય હતો. અમે ધોનીને આ વિશે વાત કરી હતી અને આ પછી રિષભ પંતને સ્થાન આપ્યુ હતુ.''
એમ એસ કે પ્રસાદે કહ્યુ કે, ''અમે વર્લ્ડકપ પછી ધોની સાથે વાત કરી હતી, તે સ્પષ્ટ કર્તુ હતુ કે તેણે થોડા સમય માટે બ્રેક જોઇએ છે. આ પછી અમે રિષભ પંતને તક આપી અને આગળ વધી ગયા.'' નેશનલ સિલેક્શન કમિટીના ચીફ રહેલા એમ એસ કે પ્રસાદનો કાર્યકાળ તાજેતરમાં જ પૂરો થયો. આ પછી તેમની જગ્યા પૂર્વ ક્રિકેટર સુનીલ જોષીએ લીધી.
45 વર્ષીય પ્રસાદે આગળ કહ્યુ કે, ''જો IPL સમયસર ફરી શરૂ થશે તો તમામને ધોની જોવા મળી શકે છે'' વર્લ્ડકપ 2019 પછી ધોનીના સંન્યાસને લઇને સતત અટકળો ચાલતી આવી રહી છે એવામાં એમ એસ ધોની તરફથી કોઇ નિવેદન સામે આવ્યુ નથી.
આ વચ્ચે એવી પણ ચર્ચા હતી કે, IPL ના પોતાના પરફોર્મન્સની મદદથી ધોની ફરી એક વખત T20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં કમબેક કરશે અને આ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ શકે છે પરંતુ કોરોના વાયરસને કારણે IPL ને પહેલાથી જ સ્થગિત કરી દેવામાં આવી છે અને T20 વર્લ્ડક પણ સ્થગિત થઇ શકે છે તેવી પૂરી સંભાવના રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ જેવી કે ઑલિમ્પિક, IPL,ફૂટબૉલ લીગ, ટેનિસ સાથે જોડાયેલી ટૂર્નામેન્ટ્સ પર અસર થઇ છે. કેટલીક ઇવેન્ટ્સ સ્થગિત કરવામાં આવી છે અને તો કેટલીક રદ્દ કરવામાં આવી છે.