બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / LOK SABHA ELECTION 2024 nitish kumar trying for alliance, will mamata banerjee and akhilesh yadav will be ready
ADVERTISEMENT
દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં સૌથી મોટી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિપક્ષી પાર્ટીઓ ફરીવાર ગઠબંધન સાથે લડવાની તૈયારી દર્શાવી રહી છે અને તેમાં હાલ આગેવાની લીધી છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે. જોકે એકબીજાના કટ્ટર વિરોધીઓ માત્ર મોદી વિરોધમાં જ એક થઈને વોટ ખેંચી શકશે કે નહીં તે જોવાનું રહ્યું.
શું કોંગ્રેસ તરફથી બેટિંગ કરી રહ્યા છે નીતિશ?
બિહારના મુખ્યમંત્રીએ સૌથી પહેલા દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ખડગે અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, જે બાદ તેઓ અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી અને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા. એવામાં એવું બની શકે કે કોંગ્રેસ પાર્ટી સીધી ચર્ચા કરી ન શકતી હોવાથી નીતિશ કુમારના માધ્યમથી સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા હોય.
ADVERTISEMENT

ચંદ્રબાબુ નાયડુ જેવા હાલ થશે તો?
બિહારમાં જ પોતાનું રાજકીય જીવન શરૂ કરવા માટે પ્રયાસ કરી રહેલા પ્રશાંત કિશોર કટાક્ષ કરતાં કહ્યું છે કે નીતિશ બાબુના હાલ પણ ચંદ્રબાબુ નાયડુ જેવા જ થશે.
ADVERTISEMENT
શું થયું હતું ચંદ્રબાબુ જોડે?
ચંદ્રબાબુ નાયડુની પાર્ટી પહેલા NDAમાં જ હતી પરંતુ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવા મુદ્દે તેમણે મોદી સરકાર સામે વિદ્રોહ કર્યો અને ભાજપ સાથે નાતો તોડ્યો. બાદમાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે ચંદ્રબાબુ નાયડુ એક બાદ એક રાજ્યની મુલાકાત લઈ રહ્યા હતા, તેમણે અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી અને શરદ પવાર સહિતના તમામ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી. પોલિટિકલ પંડિતો માને છે કે તે સમયે તેઓ આ ક્ષેત્રીય નેતાઓને 1996નું ઉદાહરણ આપતા હતા અને ત્રીજા મોરચાની સરકારમાં ક્ષેત્રીય નેતાઓમાંથી જ કોઈ PM બને તેવા પણ દાવા કરવામાં આવી રહ્યા હતા. TDP નેતાઓએ તો ખૂલીને કહ્યું હતું કે ચંદ્ર બાબુ નાયડુ PM બની શકે છે, જોકે પરિણામ આવ્યા તો બધા દાવ ઉંધા પડ્યા.

ADVERTISEMENT
લોકસભા ચૂંટણીમાં તો ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો અને ઐતિહાસિક જીત મેળવી જ, આંધ્ર પ્રદેશમાં ચંદ્ર બાબુનો ચાંદ ઝાંખો પડ્યો. 175 બેઠકની વિધાનસભામાં જગન મોહન રેડ્ડીની પાર્ટીને 151 બેઠકો મળી અને TDP માત્ર 23 બેઠકો પર સમેટાઇ ગઈ.
આમ જે નેતાજી PM બનવાના અને PM બનાવવાના સપના જોઈ રહ્યા હતા તેમણે અંતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
ADVERTISEMENT
અત્યારે દેશમાં કેટલા ક્ષેત્રીય ક્ષત્રપ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (AAP), બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી(TMC), UPના પૂર્વ CM અખિલેશ યાદવ (SP), શરદ પવાર (NCP), બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (JDU), બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવ (RJD), તમિલનાડુના CM MK સ્ટાલિન (DMK), કેરળના CM પિનારાઈ વિજયન (CPI-M), આંધ પ્રદેશના પૂર્વ CM ચંદ્ર બાબુ નાયડુ (TDP), આંધ પ્રદેશના CM જગન મોહન રેડ્ડી (YSRCP), ઓડિશાના CM નવીન પટનાયક (BJD)
મમતા બેનર્જીએ કહ્યું BJP ઝીરો થઈ જવી જોઈએ
નીતિશ કુમાર સાથે બેઠક બાદ મમતા બેનરજીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મીડિયાની મદદથી હીરો બની ગઈ છે પણ મારી ઈચ્છા છે કે ભાજપ ઝીરો થઈ જાય. તમામ પાર્ટીઓ દેશ માટે એક થઈને લડશે અને અમારી અંદર કોઈ ઇગો નથી. આટલું જ નહીં તેમણે આગામી સમયમાં બિહારમાં જ ઓલ પાર્ટી મીટિંગ થવી જોઈએ તેમ પણ કહ્યું હતું.
ADVERTISEMENT

જોકે બંગાળમાં જો ગઠબંધન થઈ પણ જાય તો કઈ રીતે સમીકરણ બનશે તે મોટો પ્રશ્ન છે. મમતા બેનર્જીનું રાજકીય જીવન લેફ્ટના વિરોધથી જ શરૂ થયું અને તેઓ લેફ્ટની સરકારને જ હરાવીને મુખ્યમંત્રી બન્યા. લેફ્ટ અને કોંગ્રેસ વર્ષોથી ગઠબંધન કરીને બંગાળમાં ચૂંટણી લડે છે,એવામાં સૌથી મોટા વિરોધી સાથે TMCનું ગઠબંધન કઈ રીતે થશે અને જો થાય તો મમતા બેનર્જી કેટલી બેઠકો કોંગ્રેસ-લેફ્ટ માટે જતી કરશે એ મોટો પ્રશ્ન છે.
અખિલેશ યાદવ UPમાં કોંગ્રેસને કેટલી બેઠકો આપી શકશે?
નીતિશ કુમારે અખિલેશ યાદવ સાથે પણ બેઠક કરી, JDUનું UPમાં કોઈ પ્રભુત્વ નથી, એવામાં કોંગ્રેસ સાથે જ ગઠબંધનનો મુદ્દો આવશે. 2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એક સાથે આવ્યા હતા અને ખૂબ દાવા કરવામાં આવ્યા હતા. 403 વિધાનસભા સીટમાંથી કોંગ્રેસ પાર્ટીને માંડ 7 બેઠકો મળી, સમાજવાદી પાર્ટીની સાઇકલ 47 બેઠકો પર જ પંચર થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીને મળી 312 બેઠક. એવામાં હવે ફરીથી ગઠબંધનનું રિસ્ક અખિલેશ યાદવ લેશે?

આટલું જ નહીં 2019ની ચૂંટણીમાં અખિલેશ યાદવે મિત્ર રાહુલ ગાંધીનો સાથ છોડી ફોઈબા માયાવતી સાથે ગઠબંધન કર્યું. લોકસભા ચૂંટણીમાં બસપા અને સપા સાથે ચૂંટણી લડી પણ જેટલો ફાયદો માયાવતીને થયો, એટલો ફાયદો અખિલેશનો થયો નહીં. 80 લોકસભા બેઠકોમાંથી 62 બેઠકો પર કમળ ખીલ્યું, BSPને 10 જ્યારે SPને માત્ર 5 જ બેઠકો મળી હતી.
શરદ પવારના અનેક નિવેદનો કોંગ્રેસ કરતાં ભિન્ન
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP લાંબા સમયથી ગઠબંધનમાં છે. પણ અદાણી મુદ્દે જ્યાં રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે ત્યાં શરદ પવારે તેમાં અલગ નિવેદન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા. શરદ પવારે કહ્યું કે અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિના કારણે લોકોને રોજગાર મળે છે. JPCના મુદ્દા કરતા ખેડૂતોના મુદ્દા વધારે જરૂરી છે. આટલું જ નહીં તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે મહા વિકાસ આઘાડી આગામી ચૂંટણીમાં પહેલાની જેમ જ ચૂંટણી લડશે કે નહીં તે હજુ નક્કી નથી.
બીજી તરફ શરદ પવારના ભત્રીજા અજીત પવાર સતત ચર્ચામાં છે, પહેલા તો તે વિદ્રોહ કરીને ભાજપને સમર્થન આપવા જઈ રહ્યા છે તેવા સમાચાર આવ્યા, જોકે બાદમાં તેમણે આ તમામ અહેવાલોને રદિયો આપ્યો. તે બાદ તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે હું પહેલા જ CM બની ગયો હોત પણ નેતાઓની ભૂલના કારણે બની ન શક્યો. આગામી ચૂંટણીમાં અજીત પવાર CM ચહેરા માટે દાવો પણ કરી શકે છે.
આ સિવાય રાહુલ ગાંધી સાવરકર મુદ્દે હંમેશા કટાક્ષ મારતા રહે છે પણ મહારાષ્ટ્રની પોલિટિકલ પાર્ટીઓ તેનું સમર્થન કરી શકે નહીં, ઉદ્ધવ ઠાકરે અને પવાર બંને નેતાઓને સાવરકરનો મુદ્દો નહીં તે નિશ્ચિત છે.
અરવિંદ કેજરીવાલ સાથે કઈ રીતે સમીકરણ બનશે?
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો જે રીતે વિસ્તાર થઈ રહ્યો છે તેને જોતાં હવે તેઓ પણ મોટા ક્ષેત્રીય નેતા તરીકે ઊભરી આવ્યા છે. જો દિલ્હીની બેઠકો માટે અરવિંદ કેરજીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર થઈ પણ જાય તો પંજાબમાં શું થશે? કારણ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની ભારે બહુમત સાથેની સરકાર છે, એવામાં આમ આદમી પાર્ટી કઈ રીતે બેઠકો કોંગ્રેસ માટે જતી કરશે? અને શું આમ આદમી પાર્ટી કરતાં ઓછી સીટો પર ચૂંટણી લડીને કોંગ્રેસ પંજાબમાં સંતોષ માની શકશે?
મહત્વપૂર્ણ છે કે અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી સિવાયના તમામ મુખ્યમંત્રીઓને ડિનર માટે બોલાવ્યા હતા. જોકે એક પણ મુખ્યમંત્રી આ ડિનરમાં સામેલ થયા નહોતા.

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.