કોરોનાની બીજી લહેરમાં જૂનાગઢથી ભાવુક કરી દે તેવા સમાચાર આવી રહ્યાં છે. જેમાં કોરોનાગ્રસ્ત મહિલા ફોન પર વાત કરતા કરતા પ્રાણ છોડી દે તે સંભળાઈ રહ્યું છે.
ગુજરાતને જબરદસ્ત રીતે કોરોનાએ પોતાની સેકન્ડ ઈનિંગમાં ઝપેટમાં લીધું છે. જ્યાં જુઓ ત્યાં હાલ ચિંતાજનક દ્રશ્યો અને માહોલ દેખાઈ રહ્યો છે. આવામાં રાજકોટમાં કોવિડ મહિલા દર્દીનો અંતિમ વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.
વાત કરતા કરતા જ દેહ છોડ્યો
કોરોનાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. આ દરમ્યાન તેમના કોઈ સંબંધીએ તેમને ફોન કરીને તબિયત પૂછ્યા હતાં. સંબંધીએ પૂછ્યું કે કેમ છે તબિયત, કોઈ ડૉક્ટર જોવા આવ્યાં કે નહીં. આટલી વાતચીક દરમ્યાન જ મહિલાએ હૂંકારો ભરતા ભરતા જ પોતાના પ્રાણ છોડ્યાં હતાં. સારવાર લઈ રહેલા મહિલાની અંતિમ ટેલિફોનિક વાતચીતનો ઓડિયો હાલ વાયરલ થયો છે.
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં ચિંતાજનક આંકડા
રાજ્યમાં 12 એપ્રિલ 2021ના રોજ 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે.