મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર હવે સરકારી ચોપડે દેખાઈ રહ્યો છે. આવામાં સરકાર ઍક્શનમાં આવતા સમયવધારા સાથે નાઈટ કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાવાયો છે. બીજી બાજુ પ્રજા આ મુદ્દે આક્રોશ પણ વ્યક્ત કરી રહી છે.
ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલથી 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લંબાવાયો છે. પરંતુ આ વખતે સમય વધારવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.
એક વર્ષનો કોરોના કહ્યાગરો થઈ ગયો?
જે રીતે ગુજરાતમાં તંત્ર અને સરકાર કોરોનાને લઈને નિર્ણયો કરી રહી છે તે જોતાં ચર્ચા એવી થઈ રહી છે કોરોના તો કહ્યાગરો થઈ ગયો છે. તંત્ર કહે ત્યારે કોરોના જતો રહે છે અને તંત્ર કહે ત્યારે કોરોના આવી જાય છે. આવામાં લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કે જ્યારે ચૂંટણી અને મૅચ જેવા કાર્યક્રમો હોય છે ત્યારે સરકાર અને તંત્રને કોરોના નથી નડતો. હવે જ્યારે આ કાર્યક્રમો પૂર્ણ થઈ ગયાં છે ત્યારે સામાન્ય પ્રજા અને વેપારીઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે તે બધું દેખાય છે. લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે આ તંત્રની બેવડી નીતિ છે અને જો રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા હોય તો તેમાં સામાન્ય પ્રજા અને વેપારીઓનો કોઈ વાંક નથી.
સરકાર પાસે કોઈ પ્લાન જ નથી, શું કરી રહી છે તે ખબર નહીં : પ્રજા
લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આક્રોશ ઠાલવ્યો હતો કે સરકાર પાસે કોરોનાને પહોંચી વળવા માટે કોઈ ઠોસ પ્લાન દેખાતો નથી. જો હોત તો અત્યાર સુધી પરિણામ દેખાઈ ગયું હોત. મનફાવે ત્યારે નિયમો બદલે છે અને મનફાવે ત્યારે નિર્ણયો લાદી દેવામાં આવે છે. જ્યારે ચૂંટણી સભા, મેળાવડા અને સરકારના પોતાના કાર્યક્રમો હોય ત્યારે છૂટ આપી દેવાય છે. જ્યારે આ બધું પતી જાય છે ત્યારે ફરી નિયમો લાદી દેવામાં આવે છે. આવામાં પ્રજા અને ખાસ કરીને વેપારીઓ હેરાન થાય છે.
"વેપારીઓના કારણે આ કર્ફ્યૂ નથી આવ્યો"
વડોદરામાં વેપારીઓએ કહ્યું હતું કે નાઈટ કર્ફ્યૂ અને નિયમો અમે સ્વીકારીએ છીએ કે મહામારીને કાબૂમાં લાવવા જરૂરી છે. પરંતુ આ નાઈટ કર્ફ્યૂ અને કોરોના વધવાનું કારણ વેપારીઓ અને તેમના ધંધા છે તેવું કહેતા હોવ તો ચોક્કસપણે ખોટું છે. આ અમારા લીધે કોરોના વધ્યો નથી પરંતુ તંત્ર અને સરકારની મનફાવે ત્યારે છૂટ આપવાની નીતિને કારણે થયું છે. જો હવે નાઈટ કર્ફ્યૂને કારણે વેપારીઓને નુકસાન થાય છે તો તેમણે મદદ અમને કરવી પડશે.
વડોદરામાં લગભગ કોરોના પૂર્ણ થઈ ગયો હતો પરંતુ ચૂંટણીમાં મોટી મોટી સભાઓ અને કાર્યક્રમોને કારણે ફરી એક વખત કોરોના વકર્યો છે. જેના કારણે અમારે હાલમાં ભોગવવું પડી રહ્યું છે. આ રીતે તઘલખી નિર્ણયો લઈ ઈકોનોમી સાથે સરકારે ચેડાં ન કરવા જોઈએ તેમ પણ લોકોએ કહ્યું હતું.
તંત્ર કોરોનાના આંકડા છુપાવે છે તેના કારણે વકરી રહ્યો છે : નાગરિક
વડોદરામાં લોકોએ આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તઘલખી નિર્ણયોને કારણે વેપારીઓ અને પ્રજા હેરાન થઈ રહી છે. જો તંત્રએ ચૂંટણી ટાણે ઢીલ ન રાખી હોત તો આ કોરોનાના કેસ વધ્યા ન હોત. એક બાજુ કોરોનાના આંકડા ઓછા આવે છે બીજી બાજુ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. કોરોનાના આંકડા છુપાવવામાં આવે છે તેથી લોકો વધારે બેફિકર થઈને ફરે છે અને કોરોના વધારે ફેલાઈ રહ્યો છે.
આંદોલનની ચીમકી
જો સરકાર અને તંત્રને વેપારીઓને હેરાન કરશે અને આ મામલે હવે વધુ કોઈ ઠોસ નિર્ણય ન લેવાયો તો અમે આંદોલનના માર્ગે વિરોધ કરીશું તેવી પણ વેપારીઓએ ચીમકી આપી હતી. વડોદરામાં વેપારીએ કહ્યું હતું કે અમારા કારણે કોરોના વધી રહ્યો છે તેવી ખોટી વાત તો અમે ચલાવીશું જ નહીં. કોરોના વકરવાનું કારણ તંત્રના મનફાવે તેવા નિયમો અને નીતિ છે.