આ સમગ્ર મામલે VTV ન્યૂઝ પાસે અલ્પેશ ઠાકોરને લઈને એક્સક્લુઝિવ માહિતી છે. જેમાં ખાસ કરીને અલ્પેશના રાજીનામા બાદ શું પ્લાન છે તેને લઈને સમગ્ર માહિતી મળી રહી છે.
અલ્પેશ ઠાકોરનાં રાજીનામાંને લઇને છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ગઈ કાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને અલ્પેશ ઠાકોરે પત્ર લખીને રાજીનામું આપ્યું હતું. સોશિયલ મીડિયાનાં માધ્યમથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું હતું. હવે આ સમગ્ર મામલે VTV ન્યૂઝ પાસે અલ્પેશ ઠાકોરને લઈને એક્સક્લુઝિવ માહિતી છે. જેમાં ખાસ કરીને અલ્પેશના રાજીનામા બાદ શું પ્લાન છે તેને લઈને સમગ્ર માહિતી મળી રહી છે.
VTV ન્યૂઝને સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે ત્યારે હવે ભાજપમાં જોડાશે. કહેવાય છે કે લોકસભા ઇલેક્શન બાદ અલ્પેશ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરશે. આ સાથે જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર પણ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરના નજીકના વ્યક્તિ ગણાય છે. માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી સુધી અલ્પેશ કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરશે અને તે રીતે બહાર રહીને પણ ભાજપને મદદ કરશે. આવામાં સાબરકાંઠા અને બનાસકાંઠા એમ 2 સીટો પર જોરશોરથી પ્રચાર કરશે. જ્યારે પાટણ સીટ પર અલ્પેશ ઠાકોર ઢીલી નીતિ રાખશે.
સૂત્રો મુજબ અલ્પેશ ઠાકોર અને તેમના નજીકના બે ધારાસભ્યોનું ચોકઠું ગોઠવવા માટે ભાજપના ટોચના નેતા સાથે સહમતી સધાઈ ગઈ છે. ગઈ કાલે અલ્પેશે કરેલી પ્રેસ કોન્ફરન્સ પહેલાં જ આ રણનીતિ ઘડાઈ ચૂકી હતી.
ગઈ કાલે નીતિન પટેલે આપી હતી પ્રતિક્રિયા
અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, 'કોઇ પણ વ્યક્તિ વિકાસ ઇચ્છતો હોય તો તે ભાજપમાં જોડાઇ શકે છે. અમે કોઇને જોડવા માટે કોઇ ઓપરેશન નથી કરતાં. વિકાસ ઇચ્છતા લોકો ભાજપમાં આવી રહ્યાં છે અને અલ્પેશે ભાજપમાં જોડાવું કે નહીં તે ઠાકોર સેનાએ નિર્ણય કરવાનો છે. ઠાકોર સેના એવું ઈચ્છે છે કે કોંગ્રેસ સાથે હવે નથી રહેવું. ઠાકોર સેના વિકાસ ઈચ્છે છે.'